14મી એપ્રિલે સામાજિક ન્યાયના પ્રણેતા ડો.આંબેડકરની જન્મ જયંતીની ઉજવણીનો માહોલ હજુ ઠંડો પડ્યો પણ નથી ત્યાં જાતિવાદી તત્વોએ ફેણ ચડાવવા માંડી છે. ઉત્તર પ્રદેશના ભદોહીના ગોપીગંજ પોલીસ સ્ટેશનના સુંદરપુર વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરન્ટમાં માત્ર ખુરશી પર બેસવા જેવી બાબતે એક આદિવાસી વિદ્યાર્થી અને દલિત પિતા-પુત્ર સાથે હોટલના માલિકોએ મારામારી કરી હતી. આ મામલે પોલીસે ચાર લોકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મામલો શું હતો
પોલીસના જણાવ્યા અનુસાર, ગત 10 એપ્રિલની સાંજે સંસારાપુર ગામનો રહેવાસી 20 વર્ષીય આદિવાસી વિદ્યાર્થી ધર્મેન્દ્ર કોચિંગ ક્લાસથી પરત ફરી રહ્યો હતો ત્યારે નાસ્તો કરવા માટે સુંદરપુર સ્થિત એક દુકાને રોકાયો હતો. એ વખતે ત્યાં અગાઉથી જ અનુસૂચિત જાતિના કનૈયાલાલ અને તેમનો પુત્ર સૂર્યા ખુરશી પર બેસીને નાસ્તો કરી રહ્યા હતા.

આ પણ વાંચો: ઉમરગામના મામલતદારે ‘મોટા માથાઓના’ દબાણથી આપઘાત કર્યો?
આદિવાસી યુવક ધર્મેન્દ્ર જ્યારે સમોસા ખરીદીને ખાવા માટે ત્યાં પડેલી એક ખુરશી પર બેઠો, તે જોઈને દુકાનનો જાતિવાદી માલિક અને તેના પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતા. જાતિવાદી આ તત્વોએ ધર્મેન્દ્રને ખુરશી પર બેસવા બદલ જાતિસૂચક અપશબ્દો કહી માર મારવાનું શરૂ કર્યું હતું.
દલિત પિતા-પુત્ર વચ્ચે પડ્યાં તો તેમને પણ માર્યા
જ્યારે ધર્મેન્દ્ર પર થઈ રહેલા હુમલાનો ત્યાં હાજર દલિત પિતા-પુત્ર (કનૈયાલાલ અને સૂર્યા) એ વિરોધ કર્યો, ત્યારે આરોપીઓએ તેમને પણ છોડ્યા નહોતા. આરોપીઓએ આ પિતા-પુત્ર સામે પણ જાતિવાદ ઝેર ઓક્યું હતું અને તેમની સાથે પણ મારામારી કરી હતી. હુમલાખોરોએ સાર્વજનિક સ્થળે અપમાનજનક નિવેદનો કરીને ત્રણેયને ઢોર માર માર્યો હતો.
આ પણ વાંચો: છેલ્લા 25 વર્ષમાં દેશનું સંરક્ષણ બજેટ કેટલું વધ્યું?

પોલીસે ચાર લોકો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી
આ મામલે પીડિત વિદ્યાર્થી ધર્મેન્દ્ર વનવાસીની ફરિયાદના આધારે સોમવારે સાંજે પોલીસે એફ.આઈ.આર. (FIR) દાખલ કરી છે. પોલીસ ક્ષેત્રાધિકારી (CO) પ્રભાત રાયે જણાવ્યું હતું કે, રેસ્ટોરન્ટ માલિક જોખૂ રામ પ્રજાપતિ, તેના બે પુત્રો મુરલીધર અને કન્હૈયાલાલ તેમજ પૌત્ર મોહિત વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસ અધિકારીએ વધુમાં ઉમેર્યું કે, “ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપીઓએ જાતિસૂચક શબ્દોનો પ્રયોગ કર્યો છે અને મારપીટ કરી છે. હાલ પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.”
આ પણ વાંચો: જૂનાગઢના બિલ્ડર ચેતન ફળદુ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ











