ગુનાખોરી અને જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશમાં વધુ એક દલિત ભોગ બન્યો છે. અહીંના મુઝફ્ફરનગર જિલ્લાના રામરાજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દલિત મજૂરની અપહરણ કરી ગળું દબાવી હત્યા કરવામાં આવી છે. આરોપીઓએ હત્યા બાદ પુરાવાનો નાશ કરવાના હેતુથી મૃતદેહને ગંગા નહેરમાં ફેંકી દીધો હતો. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા એક મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે.
મામલો શું હતો
મૃતકની ઓળખ રામરાજ પોલીસ સ્ટેશન હેઠળના ઇબ્રાહિમપુર ગામના રહેવાસી સુરેશ (45) તરીકે થઈ છે. સુરેશ વ્યવસાયે મજૂર હતો અને 16 એપ્રિલના રોજ ઈંટોના ભઠ્ઠા પર કામ કરવા માટે ઘરેથી નીકળ્યો હતો. પરંતુ સાંજ સુધી તે પરત ન ફરતા પરિવારમાં ચિંતા પ્રસરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઈંટોના ભઠ્ઠા પાસે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ ત્રણ શખ્સોએ તેને બળજબરીપૂર્વક કારમાં બેસાડી તેનું અપહરણ કર્યું હતું.

આ પણ વાંચો: 50 વર્ષ પહેલા અમદાવાદમાં 14મી એપ્રિલની ઉજવણીની પત્રિકા વાયરલ
ત્રણ આરોપીઓ સામે એટ્રોસિટીની ફરિયાદ થઈ
રામરાજ પોલીસ સ્ટેશનના પ્રભારી નિરીક્ષક (SHO) રવિન્દ્ર યાદવે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ કેસમાં વિકલ, કાર્તિક ભાટી અને આદેશ ગોસ્વામી નામના ત્રણ વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે તમામ વિરુદ્ધ હત્યા અને અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (SC/ST Act) હેઠળ ગુનો દાખલ કર્યો છે.
ગળું દબાવી હત્યા કરી દેવાઈ હતી
તપાસ દરમિયાન પોલીસે વિસ્તારના CCTV ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજના આધારે પોલીસ આરોપી વિકલ સુધી પહોંચવામાં સફળ રહી હતી. કડક પૂછપરછમાં વિકલે ગુનો કબૂલ્યો હતો અને તેણે આપેલી માહિતીના આધારે પોલીસે ગંગા નહેરમાંથી સુરેશનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ સુરેશનું અપહરણ કર્યા બાદ કારમાં જ ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી.
આ પણ વાંચો: નશામાં ધૂત બ્રાહ્મણ રસોઈયાએ આદિવાસી વિદ્યાર્થી પર કુહાડીથી હુમલો કર્યો

બે આરોપીઓ હજુ પણ ફરાર
હાલમાં પોલીસે એક આરોપી વિકલની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે, જ્યારે ફરાર અન્ય બે આરોપીઓ કાર્તિક ભાટી અને આદેશ ગોસ્વામીને પકડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને દરોડા પાડવામાં આવી રહ્યા છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આગળની કાયદેસરની વિધિ હાથ ધરી છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: કચ્છના ખાંડેકમાં લુખ્ખાઓએ દિવાલ પર ડૉ.આંબેડકર વિશે અપશબ્દો લખ્યાં











