રામ મંદિરના દાનમાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડને લઈને દેશના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાને મોટો ધક્કો પહોંચ્યો છે. આ વિવાદ દેશના રાજકારણમાં પણ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. હવે આ વિવાદની સીધી અસર મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના રાજકારણ પર જોવા મળી રહી છે. શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે) પક્ષના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે આ કૌભાંડને લઈને કેન્દ્ર સરકાર અને શાસક પક્ષ વિરુદ્ધ અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. મુંબઈમાં પત્રકારો સાથે વાતચીત કરતા સંજય રાઉતે દાવો કર્યો છે કે, જે લોકો પોતાને ‘હિંદુત્વવાદી’ તરીકે ઓળખાવે છે, તેઓએ જ રામ મંદિરના દાનમાંથી કરોડો રૂપિયાની ચોરી કરી છે.
તેમણે મોટો આરોપ લગાવતા કહ્યું કે, રામ મંદિરમાંથી ચોરી કરવામાં આવેલા આશરે 2000 કરોડ રૂપિયા જેટલી માતબર રકમનો ઉપયોગ દેશના રાજકારણમાં વિરોધ પક્ષોને નબળા કરવા માટે કરવામાં આવ્યો છે. રાઉતના જણાવ્યા અનુસાર, આ ચોરીના પૈસાથી પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને મહારાષ્ટ્રની શિવસેના (UBT) ના સાંસદોને ખરીદવામાં આવ્યા છે અને આ જ નાણાકીય તાકાતના જોરે રાજકીય પક્ષોને તોડવાનું મોટું ષડયંત્ર રચવામાં આવ્યું છે.

આ પણ વાંચો: RSS સંગઠન નથી તો શું છે, તે રજિસ્ટ્રેશનથી કેમ ડરે છે?
સંજય રાઉતે ‘ઓપરેશન ટાઈગર’ અંતર્ગત શિવસેના (UBT) ના છ સાંસદો મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થવા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પક્ષ છોડીને જનારા નેતાઓ પર નિશાન સાધતા કહ્યું કે, જે લોકો વફાદારી છોડીને ગયા છે તે વાઘ નથી પરંતુ શિયાળ છે. રાઉતે શિંદે જૂથને પડકાર ફેંક્યો હતો કે તેઓ ચૂંટણી પંચ, સુપ્રીમ કોર્ટ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આશીર્વાદથી પક્ષનું નામ અને પ્રતીક છીનવીને બેઠા છે, તેથી તેઓ પોતાના દમ પર નવું પ્રતીક મેળવીને ચૂંટણી લડી બતાવે. તેમણે એમ પણ ઉમેર્યું કે કરોડો વફાદાર શિવસૈનિકો આજે પણ ઉદ્ધવ ઠાકરે સાથે છે અને કોઈ સામાન્ય કાર્યકર પક્ષપલટો કરનારા સાંસદો સાથે ગયો નથી. આ ઉપરાંત, શિવસેના દ્વારા રામ મંદિર માટે દાનમાં આપવામાં આવેલી ચાર કિલો ચાંદીના હિસાબ અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
અયોધ્યામાં આ સમગ્ર ચોરીનો મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે અયોધ્યાના પૂર્વ સપા (SP) ધારાસભ્ય પવન પાંડેએ સત્તાવાર રીતે આરોપ લગાવ્યો કે રામ મંદિરના દાનમાંથી આશરે સાડા સાત કરોડ રૂપિયાની રકમ ગાયબ છે. આ ફરિયાદોના આધારે ઉત્તર પ્રદેશ સરકારની સૂચના પર ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ એફઆઈઆરમાં મુખ્ય આરોપીઓ તરીકે અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, અવિનાશ શુક્લા, ટિન્નુ યાદવ, મનીષ યાદવ અને અન્ય કેટલાક શંકાસ્પદ લોકોના નામ સામેલ છે. કૌભાંડનો વ્યાપ જોતાં ઉત્તર પ્રદેશ સરકારે 14 જૂનના રોજ ત્રણ સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરી છે, જે હાલમાં દાનના નાણાંની હેરફેરની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: દલિતોના દસ્તાવેજો પર સવર્ણોએ સબસીડીમાં ભેંસો ખરીદી લીધી

બીજી તરફ, આ મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પણ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં એક નવી અરજી દાખલ કરીને માંગ કરવામાં આવી છે કે આ સમગ્ર નાણાકીય કૌભાંડ, ગુમ થયેલા ફંડ અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના વહીવટની તપાસ કોર્ટની દેખરેખ હેઠળ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ની આગેવાનીવાળી એસઆઈટી દ્વારા કરવામાં આવે, જેથી સત્ય સામે આવી શકે.
સંજય રાઉતના આ આકરા પ્રહારો સામે શિંદે જૂથના શિવસેના નેતા સુસીબેન શાહે વળતો જવાબ આપ્યો છે. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આ મામલે એસઆઈટીની રચના કરી દેવામાં આવી છે અને તપાસ બાદ ‘દૂધનું દૂધ અને પાણીનું પાણી’ થઈ જશે. તેમણે ઉમેર્યું કે જે કોઈ પણ વ્યક્તિ આ કૌભાંડમાં દોષિત જણાશે તેની સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે. સુસીબેન શાહે સંજય રાઉતની ભાષા શૈલી પર કટાક્ષ કરતા કહ્યું કે, આવી નિવેદનબાજીથી શિવસેના (UBT) નું અસ્તિત્વ જોખમાશે અને દેશ તેમજ મહારાષ્ટ્રના વિકાસમાં રસ ધરાવતા લોકોએ શિંદે સરકાર સાથે જોડાવું જોઈએ. હાલમાં આ મુદ્દો કાનૂની તપાસ અને તીવ્ર રાજકીય આક્ષેપબાજીની વચ્ચે અટવાયેલો છે.
આ પણ વાંચો: રામ મંદિરના 3500 કરોડના દાનમાં 2020માં જ ગેરરીતિના પુરાવા મળ્યા હતા











