તમિલનાડુ (Tamil Nadu) ના શિવગંગા જિલ્લા (Sivaganga district) માં બુલેટ બાઈક ચલાવવા પર જાતિવાદી તત્વોએ એક દલિત યુવકના હાથ ભાંગી નાખ્યા હોવાની ઘટનાએ દેશભરમાં ચકચાર મચાવી છે ત્યારે આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ અને ભીમ આર્મી ચીફ (Bhim Army Chief) ચંદ્રશેખર રાવણે આ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારની આકરી ઝાટકણી કાઢી છે.
આઝાદ સમાજ પાર્ટી (Azad Samaj Party) ના અધ્યક્ષ અને નગીનાના સાંસદ (Nagina MP) ચંદ્રશેખર આઝાદે આ ઘટનાનો સખત વિરોધ કરતા કહ્યું, “તમિલનાડુના શિવગંગા જિલ્લામાં દલિત યુવક પર હુમલો કોઈ સામાન્ય ઘટના નથી. આ ફક્ત જાતિવાદ નથી, આ માનવતા વિરુદ્ધનો ગુનો છે. આ હુમલો એ ઝેરી જાતિવાદી માનસિકતાનો પુરાવો છે જે દલિતોને ફક્ત ગુલામ અને દુર્બળ તરીકે જોવા માંગે છે.
તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે શું મહેનત કરીને બુલેટ ખરીદવી એ ગુનો છે? શું દલિત માટે પોતાની મરજી મુજબ જીવન જીવવું એ એટલો મોટો ગુનો છે કે તેના હાથ કાપી નાખવાનો પ્રયાસ કરવામાં આવે?
આજે પણ દેશમાં ઘણી જગ્યાએ જો કોઈ દલિત ઘોડી ચલાવે છે, મૂછ રાખે છે, સારું ઘર બનાવે છે, સારી કાર ચલાવે છે અથવા મંદિરમાં જાય તો તેને મારી નાખવામાં આવે છે. આ માનસિકતા સમાજને સદીઓ પાછળ લઈ જાય છે. જાતિવાદને ઘણીવાર ફક્ત એક સામાજિક દુષણ તરીકે જોવામાં આવે છે, પરંતુ શું તે ફક્ત એટલું જ છે?
तमिलनाडु के शिवगंगा जिले में एक दलित युवक पर हुआ हमला कोई साधारण घटना नहीं है। यह सिर्फ जातिवाद नहीं, यह इंसानियत के खिलाफ अपराध है। यह हमला जातिवाद की उस जहरीली मानसिकता का प्रमाण है, जो दलितों को सिर्फ गुलाम और कमजोर देखना चाहती है।
क्या मेहनत करके बुलेट खरीद लेना गुनाह है?… pic.twitter.com/dyghanWhHu
— Chandra Shekhar Aazad (@BhimArmyChief) February 14, 2025
ચંદ્રશેખર આઝાદે (Chandrashekhar Azad) કહ્યું કે જાતિવાદ માત્ર એક સામાજિક દુષણ નથી પરંતુ એક સુનિયોજિત આતંક છે જેનો હેતુ દલિતોને દબાવવા, ડરાવવા અને તેમની પ્રગતિમાં અવરોધ પેદા કરવાનો છે.
આ પણ વાંચો: મહત્વના પદો પર SC-ST કેટલાં? ચંદ્રશેખર આઝાદે હિસાબ માંગ્યો
ચંદ્રશેખર આઝાદે તમિલનાડુ સરકાર અને કેન્દ્ર સરકારને કેટલાક મહત્વના પ્રશ્નો પૂછ્યા હતા.
તમિલનાડુ સરકારને શું સવાલ કર્યા?
૧. શું ફક્ત ધરપકડ કરવાથી જ ન્યાય મળશે? ગુનેગારોને સજા આપવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાયલ ક્યારે શરૂ થશે?
૨.પીડિતના પરિવારની સુરક્ષાની શું ગેરંટી છે?
૩. શું તમિલનાડુ સરકાર જાતિવાદી હિંસાના દોષિતો પર આર્થિક દંડ લાદશે?
કેન્દ્ર સરકારને શું સવાલ કર્યા?
૧.જાતિવાદી ગુનેગારો કેમ નિર્ભય હોય છે?
૨. સાંપ્રદાયિક હિંસાને ફક્ત ‘સામાજિક ગુનો’ કેમ કહેવામાં આવે છે? આને ક્યારે આતંકવાદની શ્રેણીમાં મૂકવામાં આવશે?
૩. દલિતોને સ્વરક્ષણનો કાનૂની અધિકાર ક્યારે મળશે?
૪. પોલીસ સુધારા ક્યારે થશે? દલિતો સામેની હિંસામાં પોલીસની બેદરકારી પર ખાસ દેખરેખ ક્યારે રાખવામાં આવશે?
૫. ‘કાસ્ટ મોબ લિંચિંગ’ સામે અલગ કાયદો લાવવાની પહેલ ક્યારે થશે? જ્યારે ધર્મ આધારિત હિંસાને હેટ ક્રાઈમ ગણવામાં આવે છે, તો પછી જાતિવાદી હુમલાઓને પણ તે જ શ્રેણીમાં કેમ નથી મૂકવામાં આવતા?
ચંદ્રશેખર આઝાદે કહ્યું કે “જે ભારતનું સ્વપ્ન સૌથી ડૉ. બાબા સાહેબે જોયું હતું તે આવું નહોતું. જાતિવાદના આ બંધનો તોડવા જ જોઈએ. આ ફક્ત દલિતોનો સંઘર્ષ નથી, પરંતુ દરેક ન્યાયપ્રેમી નાગરિકની જવાબદારી છે. સરકારો આવશે અને જશે, પણ સમાજે પોતાનો વિચાર બદલવો પડશે, નહીં તો આવા ઘા વધતા રહેશે.
મામલો શું હતો
આ ઘટના શિવગંગા જિલ્લાના મેલાપિદવુર ગામની છે. દલિત યુવક અય્યાસામી, સરકારી કોલેજમાં ત્રીજા વર્ષનો વિદ્યાર્થી છે. મળતી માહિતી મુજબ 12 ફેબ્રુઆરીને બુધવારે સાંજે જ્યારે તે પોતાની બુલેટ બાઇક પર ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે ત્રણ યુવાનોએ તેને રોક્યો અને તેના પર નિર્દયતાથી હુમલો કર્યો. 13 ફેબ્રુઆરીના રોજ, ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને કેસની તપાસ ચાલુ છે. અય્યાસામીની માતાએ જણાવ્યું હતું કે હુમલાખોરોએ પહેલા તેમની જાતિનું અપમાન કર્યું અને પછી હિંસક હુમલો કર્યો. ગામલોકોએ જેમતેમ કરીને તેને બચાવ્યો અને તાત્કાલિક મદુરાઈની રાજાજી સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, હાલ ત્યાં તેની સારવાર ચાલી રહી છે. આરોપીઓએ અય્યાસામીના હાથ ભાંગી નાખ્યા હતા અને તેના બાઈકને પણ નુકસાન પહોંચાડ્યું હતું.
આ પણ વાંચો: જાતિવાદનો ભોગ બનેલા PI એ હિંદુ ધર્મ છોડ્યો, હવે બૌદ્ધ બનશે?