Janhvi Kapoor Boyfriend Shikhar Pahariya: જાહ્નવી કપૂરનો બોયફ્રેન્ડ અને સ્કાઈ ફોર્સ ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યૂ કરનાર વીર પહાડિયાનો ભાઈ શિખર પહાડિયા(Shikhar Pahariya) ની ગણતરી સોશિયલ મીડિયાના સૌથી મોટા સેલિબ્રિટીઓ પૈકીના એકમાં થાય છે. સામાન્ય લોકોમાં તે જાહ્વની કપૂરના બોયફ્રેન્ડ તરીકે તે વધુ જાણીતો છે પરંતુ તે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશીલકુમાર શિંદેના પરિવારમાંથી આવે છે અને બિઝનેસમેન પિતાનો ટેલેન્ટેડ પુત્ર છે. જો કે, સોશિયલ મીડિયા પર ફરતા ટપોરી ટ્રોલર્સો તેને પણ જાતિના ચશ્માથી જોવા લાગ્યા છે. આવી જ એક ઘટનામાં એક ટ્રોલરે શિખર પહાડિયાને તું તો દલિત છે કહીને જાહેરમાં ઉતારી પાડવાની ચેષ્ટા કરી હતી. જો કે શિખરે પણ તેને બરાબરનો જવાબ આપ્યો હતો.
કોણે શિખર પહાડિયાને દલિત કહ્યો?
વાસ્તવમાં, શિખર પહાડિયા(Shikhar Pahariya) એ તેના પાલતુ કૂતરાઓ સાથેના કેટલાક ફોટા સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. એ દરમિયાન એક ટ્રોલરે તેના પર કોમેન્ટ કરી હતી કે, “પણ તું તો દલિત છો” સામાન્ય રીતે મોટાભાગના સેલિબ્રિટીઓ આવી કોમેન્ટને અવગણતા હોય છે. પરંતુ આ ઘટનામાં શિખર પહાડિયા(Shikhar Pahariya)એ ટ્રોલરને બરાબરનો જવાબ આપ્યો હતો, કારણ કે મામલો તેની પ્રતિભાને બદલે તેની જાતિનો હતો. શિખરે ટ્રોલરને જવાબ આપતા લખ્યું, “આ ખરેખર દુઃખદ બાબત છે કે 2025 માં પણ તમારા જેવા લોકો આટલી સંકુચિત અને પછાત માનસિકતા ધરાવે છે.”
એટલું જ નહીં, ફોટા દિવાળી વખતના હોવાથી શિખરે પોસ્ટમાં આગળ કહ્યું, “દિવાળીનો તહેવાર પ્રગતિ અને એકતાનું પ્રતીક માનવામાં આવે છે. પણ આવી ભાવનાઓ તમારી સંકુચિત વિચારસરણીથી સંપૂર્ણપણે પરે છે. ભારતની તાકાત હંમેશા તેની વિવિધતા અને સમાવેશકતામાં રહી છે, જેને સમજવામાં તમે સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છો. કાશ, આવા ગંદા વિચારો ફેલાવવાને બદલે તમે પોતાને શિક્ષિત કરવા પર ધ્યાન આપ્યું હોત. કારણ કે હાલમાં એકમાત્ર વસ્તુ જે ખરેખર અસ્પૃશ્ય છે તે છે તમારી વિચારસરણી.”
કોણ છે Shikhar Pahariya?
શિખરને દલિત કહીને ઉતારી પાડનારા ટ્રોલરોને કદાચ ખ્યાલ નહીં હોય કે, શિખર પહાડિયા (Shikhar Pahariya) તેના પિતાનો બિઝનેસ સંભાળે છે. આ ઉપરાંત, તે એક પ્રોફેશનલ પોલો ખેલાડી પણ છે. તે લંડનમાં વાધવાન ગ્લોબલ કેપિટલમાં ઈનવેસ્ટેન્ટ એનાલિસ્ટ તરીકે પણ કામ કરે છે. ૨૦૧૩માં તેણે રોયલ જયપુર પોલો ટીમના સભ્ય તરીકે લંડનની બર્કશાયર પોલો ક્લબમાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. શિખર પહેલા સોશિયલ મીડિયા પર સક્રિય નહોતો રહેતો, પરંતુ હવે તે ઘણીવાર કંઈક ને કંઈક શેર કરતો રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના 4 લાખ 12 હજાર ફોલોઅર્સ છે.
શિખર પહાડિયા સાથે આવું કેમ થયું?
તમને જણાવી દઈએ કે શિખર પહાડિયા (Shikhar Pahariya) મહારાષ્ટ્રના પ્રથમ દલિત મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદેનો પૌત્ર છે. સુશીલ કુમારને ત્રણ પુત્રીઓ છે અને શિખર સ્મૃતિ શિંદેનો પુત્ર છે. અભિનેત્રી જ્હાન્વી કપૂર અને શિખર પહાડિયા સ્કૂલકાળથી જ ખૂબ સારા મિત્રો છે અને બંનેએ હાઈસ્કૂલ સુધી સાથે અભ્યાસ કર્યો છે. બંને ઘણા વર્ષો સુધી સાથે હતા, પરંતુ કોઈ કારણોસર તેમની વચ્ચે અંતર આવી ગયું હતું. પણ હવે તેઓ ફરી એકવાર સાથે છે અને કદાચ એ જ કારણ ટ્રોલરના રૂપમાં ફરતા જાતિવાદી તત્વોને ગમતી નથી. એટલે તેઓ શિખર જેવા સફળ બિઝનેસમેનને તેની જાતિના કારણે અપમાનિત કરે છે. એ વાત જુદી છે કે, શિખર પહાડિયા જેવી પ્રતિભાને તેનાથી કોઈ ફરક નથી પડતો.
પરંતુ આ ઘટના પરથી ફરી એકવાર સાબિત થાય છે કે, ભારતમાં કોઈ દલિત સમાજમાંથી આવતી વ્યક્તિ ગમે તેટલા ઉંચા હોદ્દા કે પદ પર પહોંચી જાય તો પણ જાતિવાદી તત્વો તેની સફળતાને બદલે તેની જાતિના આધારે જ તેનું મૂલ્યાંકન કરવાની કુચેષ્ટા કરતા રહે છે. ભારતને પછાત રાખવામાં જાતિવાદનો બહુ મોટો ફાળો આ રીતે છે.
આ પણ વાંચો: Chamar Studio: જ્ઞાતિના થપ્પાને જ બ્રાન્ડ બનાવી દીધી!