કોક્રોચ જનતા પાર્ટીની સંસદ માર્ચ શરૂ, ચંદ્રશેખર આઝાદ પણ પહોંચ્યાં

કોક્રોચ જનતા પાર્ટીની સંસદ માર્ચ શરૂ થઈ ચૂકી છે. હજારો વિદ્યાર્થીઓ, નાગરિકો ઉમટી પડ્યાં છે. ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ અને પ્રકાશ રાજ પહોંચ્યા, કલમ 163 લાગુ.
cjp-sansad-march-delhi-police-lathicharge
cjp-sansad-march-delhi-police-lathicharge

કોક્રોચ જનતા પાર્ટી (CJP) દ્વારા આજે દિલ્હીમાં સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ જંતર-મંતર પર દ્વારા આયોજિત ‘ચલો સંસદ’ માર્ચને પગલે રસ્તાથી લઈને સંસદ સુધી ભારે ગરમાવો જોવા મળ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ અને દેશભરમાંથી આવેલા જાગૃત નાગરિકોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ આંદોલનને સમર્થન આપવા માટે આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) ના વડા અને સાંસદ ચંદ્રશેખર આઝાદ જંતર-મંતર સ્થિત CJP ના મંચ પર પહોંચ્યા હતા. તેમની સાથે જાણીતા અભિનેતા પ્રકાશ રાજ પણ હાજર રહ્યા હતા.
મંચ પરથી પ્રદર્શનકારીઓને સંબોધિત કરતા સાંસદ ચંદ્રશેખર આઝાદે જણાવ્યું હતું કે, “સરકાર પોતાનો ‘ધર્મ’ નિભાવી રહી છે, પોલીસ પોતાનો ‘ધર્મ’ નિભાવી રહી છે અને હું આ દેશની માટી પ્રત્યે મારી ફરજ અદા કરવા માટે આ સંઘર્ષનો હિસ્સો બન્યો છું.” તેમણે ઉમેર્યું હતું કે એક ભારતીય યુવાન તરીકે તેઓ દેશના યુવાનોનું દર્દ સારી રીતે સમજે છે અને યુવાનોની આક્રોશપૂર્ણ વાણી બનવા તેમજ તેમની સાથે અડગ ઊભા રહેવા માટે જ તેઓ અહીં આવ્યા છે. દેશના યુવાનો સાથે અન્યાય થઈ રહ્યો છે અને સરકાર તેને મૂકપ્રેક્ષક બનીને જોઈ રહી છે.

પોલીસે કલમ 163 લાગુ કરી, 5 મેટ્રો સ્ટેશન બંધ કરાયા

CJP દ્વારા આશરે 30,000 થી વધુ પ્રદર્શનકારીઓ સાથે સંસદ તરફ કૂચ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે આ માર્ચ માટે કોઈ અધિકૃત પરવાનગી આપી નથી. સુરક્ષાના કારણોસર દિલ્હી પોલીસે નવી દિલ્હી જિલ્લામાં કલમ 163 લાગુ કરી દીધી છે અને વધારાના બેરિકેડ્સ ગોઠવી દીધા છે. અનેક પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત DMRC દ્વારા સુરક્ષાત્મક પગલાં રૂપે જનપથ, રાજીવ ચોક, પટેલ ચોક, સેન્ટ્રલ સેક્રેટિએટ અને સેવા તીર્થ મેટ્રો સ્ટેશનોને આગળના આદેશ સુધી તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ CJP ના અભિજિત દીપકે ‘જય ભીમ’ના નારા સાથે શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગ્યું

સરકાર સાથે વાટાઘાટો અને સોનમ વાંગચુકની પરિસ્થિતિ

CJP ના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે જણાવ્યું હતું કે પ્રશાસન સરકાર સાથે વાતચીત શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે તેઓ ખૂબ મોડા આવ્યા છે, છતાં પણ CJP ખુલ્લા મનથી વાતચીત કરવા તૈયાર છે. બીજી તરફ, છેલ્લા 30 દિવસથી ચાલી રહેલા આ આંદોલન વચ્ચે 20 જૂનથી ભૂખ હડતાળ પર બેઠેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની તબિયત હાલ સ્થિર છે.

સંસદ માર્ચ પહેલાં સોનમ વાંગચુકે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે જો સરકાર શિક્ષણ વ્યવસ્થાની નિષ્ફળતાઓ અને પેપર લીકની જવાબદારી સ્વીકારે, અથવા વિપક્ષી સાંસદો તેમને સંસદમાં આ મુદ્દો ઉઠાવવાની ખાતરી આપે તો તેઓ પોતાનું અનશન સમેટવા તૈયાર છે. દરમિયાન, સોનમ વાંગચુકના પત્ની ડૉ. ગીતાંજલિ આંગ્મોએ દિલ્હી હાઈકોર્ટની ડિવિઝન બેંચમાં અરજી કરીને વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવાની માંગ કરી છે.

વિદેશથી પણ સમર્થન અને શાંતિપૂર્ણ માર્ચની અપીલ

CJP ના સ્થાપક પ્રમુખ અભિજિત દીપકે જણાવ્યું હતું કે ભારતના ઇતિહાસમાં વિદ્યાર્થીઓ અને યુવાનોની આ સૌથી મોટી સંસદ માર્ચ થવા જઈ રહી છે. તેમણે ભારપૂર્વક અપીલ કરી કે તમામ પ્રદર્શનકારીઓ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રીતે જ વિરોધ દર્શાવે. તેમણે કહ્યું કે જંતર-મંતર તરફ આવતા તમામ 4 રસ્તાઓ નાગરિકોથી ભરાઈ ગયા છે, જે દર્શાવે છે કે દેશનો યુવા વર્ગ જાગૃત થઈ ચૂક્યો છે. આ આંદોલન NEET પરીક્ષામાં કથિત ગડબડીઓ, પેપર લીક અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની મુખ્ય માંગ સાથે ચલાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ  કોક્રોચ જનતા પાર્ટીની સંસદ માર્ચના સમર્થનમાં હજારો લોકો ઉતર્યા

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x