આરએસએસ અને ભાજપ દ્વારા હિંદુઓમાં સતત મુસ્લિમો વિરુદ્ધ ઝેર ભરવામાં આવી રહ્યું છે, મોગલોના નામે તો ક્યારેક મસ્જિદોના નામે મુસ્લિમોને ટાર્ગેટ કરીહિંદુઓને ખુશ કરવાનો પ્રયત્ન ભાજપ સાશિત રાજ્યોમાં સતત ચાલતો રહે છે. કોમી વૈમનસ્યની ખાઈ સતત પહોળી થતી જઈ રહી છે ત્યારે આ ખાઈને પુરવાનો નાનકડો પણ મહત્વનો પ્રસંગ સામે આવ્યો છે. જેમાં એક મુસ્લિમ યુવકે રોઝા હોવા છતાં એક હિંદુ મહિલા માટે થઈને રક્તદાન કર્યું હતું અને તેમને નવજીવન આપવામાં મદદ કરી હતી.
ઘટના દેશની બંગાળના પાટનગર કોલકાતાની છે. અહીં ધર્મ અને જાતિથી પણ ઉપર માણસાઈ અને ભાઈચારાની ભાવના છે તેનું ઉદાહરણ 27 વર્ષના મુસ્લિમ યુવક નસીમ મલિતા(nasim malita)એ પુરું પાડ્યું છે. નસીમે રમઝાનનો ઉપવાસ હોવા છતાં એક હિંદુ મહિલાને રક્તદાન (donates blood for hindu woman) કર્યું હતું. આ ઘટના કોલકાતાના કલ્યાણીની એક ખાનગી હોસ્પિટલમાં બની હતી, જ્યાં નસીમે માનવતાને પોતાના ધર્મથી ઉપર રાખીને કિડનીની બીમારીથી પીડાતી સંગીતા ઘોષ(Sangeeta Ghosh)ને મદદ કરી હતી. આ ઉમદા કાર્યથી સાબિત થયું કે કોમવાદી તાકાતો લોકોમાં ગમે તેટલા ભાગલા પડાવવાના પ્રયત્નો કરે તો પણ માણસાઈને કોઈ મર્યાદા નડતી નથી અને માનવતા જ સાચો ધર્મ છે.
આ પણ વાંચો:ફાતિમા શેખને ‘કાલ્પનિક’ કહેનાર પ્રો. દિલીપ મંડલની જબરી ધુલાઈ થઈ?
સંગીતા ઘોષ વર્ષ 2017-18 થી કિડનીની બીમારીથી પીડાઈ રહી છે, તેને સમયાંતરે રક્તદાનની જરૂર પડે છે. નસીમે રવિવારે કલ્યાણીમાં એક ખાનગી દવાખાનામાં સંગીતા માટે રક્તદાન કર્યું અને તેમને નવજીવન જીવવામાં મદદ કરી.
સંગીતા ઘોષ નાદિયાના માજદિયાની રહેવાસી છે. તેને કિડની સંબંધિત બીમારીઓ છે જેમાં નિયમિત રક્તદાનની જરૂર પડે છે અને રવિવારે તેને તાત્કાલિક રક્તદાનની જરૂર હતી.
ઇમરજન્સી બ્લડ સર્વિસીસ (EBS) સંસ્થાએ મુર્શિદાબાદના પલાશીની રહેવાસી નસીમ મલીતાનો સંપર્ક કર્યો, જે હાલમાં કલ્યાણીમાં અભ્યાસ કરી રહ્યો છે. રવિવારે બપોરે મદદ માટેનો કોલ મળતા જ નસીમે કોઈપણ પ્રકારની આનાકાની વિના, કે મહિલાની જાતિ-ધર્મ પૂછ્યા વિના લોહી આપવા માટે તૈયારી દર્શાવી હતી. એ પછી તેણે હોસ્પિટલ પહોંચી જઈને રક્તદાન કર્યું હતું.
EBS એ 2016 માં ફક્ત પાંચ સભ્યો સાથે કાર્ય કરવાનું શરૂ કર્યું. ઇમરજન્સી બ્લડ સર્વિસના સેક્રેટરી સુબીર સેને જણાવ્યું હતું કે સંસ્થામાં હવે 15,000 સભ્યો છે. અમે રક્તદાનમાં વચેટિયાઓને હટાવવા માટે આ સંગઠન શરૂ કર્યું હતું. હવે અમે લોકોને વિવિધ સ્થળોએ ઓછા ખર્ચે રક્તદાન શિબિરોનું આયોજન કરવા પ્રોત્સાહિત કરીએ છીએ.
આ ઘટના બાદ દર્દી સંગીતાના પુત્ર સંજુએ નસીમનો આભાર માનવા માટે તેની સાથે મુલાકાત કરી હતી. એ પછી તેને ખ્યાલ આવ્યો કે તે નસીમને ઓળખે છે. સંગીતાનો પુત્ર સંજુ પણ નસીમના રસ્તે ચાલીને રક્તદાન કરે છે.
રોઝા દરમિયાન એક મુસ્લિમ યુવકે એક હિન્દુ મહિલાને રક્તદાન કર્યાની આ ઘટનાએ કોમવાદી તાકાતોને જડબાતોડ જવાબ આપી દીધો છે. મઝહબ નહીં સિખાતા આપસ મેં બૈર રખના એવું આપણે માત્ર ગીતોમાં સાંભળ્યું છે. ક્રાંતિવીર ફિલ્મમાં આપણે હિંદુ-મુસ્લિમના લોહીને ભેળવીને તેને અલગ પાડી બતાવવાનું પૂછતા નાના પાટેકરને જોયો છે. પણ નસીમે એ ફિલ્મી કહાની વાસ્તવિકતાની જમીન પર ઉતારી છે. જેની વર્તમાન સમયને તાતી જરૂર છે.
નસીમે કહ્યું, “ઉપવાસ દરમિયાન રક્તદાન કરવું મારા માટે એક અલગ અનુભવ હતો, પરંતુ હું માનતો હતો કે આ જ સાચું કામ છે. મને એ જોઈને આનંદ થયો કે માનવતા માટે કોઈ ધર્મ કે જાતિની સીમાઓ નથી હોતી.”
मुस्लिम नौजवान ने रोज़ा तोड़कर हिन्दू महिला को किया रक्तदान #BloodDonation #Hindumuslim #Bangal #Roza pic.twitter.com/vjbJem1R0T
— Salaam TV (@salaamtvnews) March 19, 2025
આ ઘટનાએ એકતા અને ભાઈચારાની ભાવનાને મજબૂતીથી ઉજાગર કરી છે, અને સાબિત કર્યું છે કે જ્યારે આપણે એકબીજાને મદદનો હાથ લંબાવીએ છીએ ત્યારે આપણે સાચા માનવતાવાદી બનીએ છીએ, નહીં કે કોઈ ધર્મ કે જાતિના આધારે. આ ઘટનાએ એ પણ સાબિત કર્યું કે માનવતાની ભાવના અને માનવીય મૂલ્યો ધાર્મિક સીમાઓથી પર છે.
સંગીતા ઘોષે નસીમના ઉમદા કાર્યની પ્રશંસા કરતા કહ્યું, “નસીમે જે રીતે રોઝા હોવા છતાં ઈમરજન્સીની સ્થિતિ પારખીને મને રક્તદાન કર્યું તેનાથી મને ઘણી આશા બંધાઈ છે. તેણે કરેલા રક્તદાનથી મારી જિંદગીને એક નવો દૃષ્ટિકોણ મળ્યો છે.”
આ પણ વાંચો: Chamar Studio: જ્ઞાતિના થપ્પાને જ બ્રાન્ડ બનાવી દીધી!