સમાન સિવિલ કોડ (UCC) ના વિરોધમાં આજે વડોદરા શહેરમાં ભીમ આર્મીએ ઓલ ઇન્ડિયા ઇત્યાદૂ મુસ્લિમ હિન્દ અને મુસ્લિમ આગેવાનો સાથે મળીને નાયબ નિવાસી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભીમ આર્મીએ યુસીસીનો કાયદો રદ કરવા માગણી કરી હતી. અગ્રણીઓએ જણાવ્યું હતું કે યુસીસીનો કાયદો મુસ્લિમ સમાજ સહિત હિન્દુઓના કેટલાક સમાજ માટે ખતરા રૂપ છે.
ઓલ ઇન્ડિયા ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ શાહિદ મન્સુરીએ જણાવ્યું હતું કે UCCની મુસ્લિમ સમાજને જરૂર નથી. આર્ટિકલ 25 નું હનન થઈ રહ્યું છે. આથી આ કાયદો રદ કરવો જોઈએ. યુસીસી માટે બનાવવામાં આવેલી કમિટી મુસ્લિમ વિરોધી કમિટી છે. અમે અમારી ધાર્મિક સંસ્કૃતિ બચાવવા માટે, ધર્મ બચાવવા માટે આ લડત આપી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા પણ અમારી ફરિયાદો સાંભળવામાં આવનાર નથી તેની અમને ચોક્કસપણે ખબર છે. કારણ કે યુસીસી માટે બનાવવામાં આવેલી કમિટી ચોક્કસ માનસિકતા ધરાવતા સભ્યોની બનેલી હોવાથી આ કાયદો તાત્કાલિક રીતે નાબૂદ કરવા અમારી માંગણી છે.
આ પણ વાંચો: RSS શા માટે રાષ્ટ્રધ્વજનો વિરોધ કરે છે?
મુસ્લિમ અગ્રણીઓએ જણાવ્યું હતું કે, UCC નો કાયદો મુસ્લિમ લોને ખતમ કરે છે. આર્ટિકલ 25 નું ધરાર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. યુસીસી કાયદાથી અમારા સમાજ અમારા ધર્મને નુકસાન થવાનું છે. યુસીસી કાયદાથી માત્ર મુસ્લિમ સમાજને નહીં પરંતુ આદિવાસી સમાજ તેમજ દલિત સમાજને પણ આ કાયદાથી અસર થવાની છે. માટે યુસીસીનો કાયદો તાત્કાલિક પણે નાબૂદ કરવા અમારી માંગણી છે. યુસીસી કમિટીમાં બેઠેલા ચોક્કસ માનસિકતા ધરાવતા હોવાથી મુસ્લિમ સમાજને ખતમ કરવા માટે આ ષડયંત્ર રચવામાં આવી રહ્યું હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો હતો.
UCC ના વિરોધમાં આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ, ભીમ આર્મીના કાર્યકરો, સંગઠનોના અગ્રણીઓ આવી પહોંચ્યા હતા અને કાયદાના વિરોધમાં સૂત્રોચાર કરીને યુસીસીનો કાયદ રદ કરવાની માંગણી કરી હતી. કાયદાના વિરોધમાં આંદોલનના માર્ગે ચડેલા સંગઠનો દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો નવાઈ નહીં. આજે વિવિધ મુસ્લિમ સંગઠનો દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને માત્ર રજૂઆત કરવામાં આવી હતી. તેઓની સાથે હિન્દુ સંગઠનો પણ જોડાયા હતા અને યુસીસીના કાયદાનો વિરોધ કર્યો હતો.
આ પણ વાંચો: કેરળમાં કંપનીએ ટાર્ગેટ પુરો ન કરનાર કર્મચારીઓને ગળામાં પટ્ટા પહેરાવ્યા