Pahalgam terrorist attack માં ગોદી મીડિયા અને સત્તા પક્ષના આઈટી સેલે ‘ધર્મ પૂછકર ગોલી મારી’ શબ્દને પકડીને નફરતી ઝેર ફેલાવવાનું શરૂ કરી દીધું છે ત્યારે આ હુમલામાં માર્યા ગયેલા એકમાત્ર મુસ્લિમ યુવક સૈયદ આદિલ હુસૈન શાહ સાથે શું થયું તે જાણવું જરૂરી છે.
પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોમાં સૈયદ આદિલ હુસૈન શાહનો પણ સમાવેશ થાય છે, જે આ વિસ્તારમાં ઘોડેસવારીનું કામ કરતા હતા. તેઓ પર્યટકોને બચાવવા માટે થઈને આતંકવાદીઓ સામે બહાદુરીથી લડ્યા હતા, તેમણે આતંકવાદીઓને વિનંતી કરી હતી કે “યે હમ કશ્મીરિયોં કે મહેમાન હૈ, ઈન્હે ગોલી મત મારો..” પણ આતંકીઓએ તેમનું સાંભળ્યું નહોતું. એ દરમિયાન તેમને ગોળી વાગી ગઈ અને મોત થઈ ગયું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આદિલ હુસૈન શાહ પહેલગામના રહેવાસી હતા અને એક મહિલાને આતંકી હુમલાથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમણે એક આતંકવાદી પાસેથી રાઇફલ છીનવી લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. જેના કારણે આતંકીઓએ તેમને ગોળી મારી દીધી હતી. આદિલ તેમના પરિવારના એકમાત્ર કમાનાર સભ્ય હતા અને હુમલામાં મૃત્યુ પામેલા એકમાત્ર મુસ્લિમ હતા.
અહેવાલો અનુસાર, આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછ્યું હતું અને તેમને ઇસ્લામિક આયાત કલમાનો પાઠ કરવાનું કહ્યું હતું. અને જે લોકો તે ન કરી શક્યા તેમને નિર્દયતાથી ગોળી મારી દીધી હતી.
સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા, સૈયદ આદિલ હુસૈન શાહના પિતાએ કહ્યું, “મારો દીકરો કામ કરવા માટે પહેલગામ ગયો હતો અને બપોરે 3 વાગ્યાની આસપાસ અમને હુમલાની જાણ થઈ. અમે તેને ફોન કર્યો પરંતુ તેનો ફોન બંધ હતો.”
તેમણે આગળ કહ્યું, “બાદમાં સાંજે ૪.૪૦ વાગ્યે તેનો ફોન ચાલુ થઈ ગયો પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો નહીં. અમે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પછી અમને ખબર પડી કે તે હુમલામાં ઘાયલ થઈ ગયો છે. આ હુમલા માટે જે કોઈ પણ જવાબદાર હશે તેણે પરિણામ ભોગવવું પડશે.”
સૈયદ આદિલ હુસૈન શાહનું બાદમાં હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. તેમની માતાએ તેમને યાદ કરીને રડતાં રડતાં કહ્યું, “તે પરિવારમાં એકમાત્ર કમાનાર હતો.”
આ પણ વાંચો: જસ્ટિસ નરીમને મસ્જિદ નીચે મંદિર શોધતા કેસો રોકવાનો ઉપાય બતાવ્યો
આ હુમલામાં કુલ 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. ખીણમાં થયેલા સૌથી ભયાનક આતંકવાદી હુમલાઓમાંના એકમાં 26 પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવ્યાના એક દિવસ પછી આજે 35 વર્ષમાં પહેલી વાર કાશ્મીર સંપૂર્ણપણે બંધ છે.
મસ્જિદોમાં લગાવવામાં આવેલા લાઉડસ્પીકર દ્વારા લોકોને બંધમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી હતી અને રસ્તાઓ પર વિરોધ પ્રદર્શનો થયા હતા.
પહેલગામના બજારો સંપૂર્ણપણે બંધ છે. આ પર્યટન સ્થળ ગઈકાલે બનેલી ઘટનાને ભૂલી જવાનો પ્રયાસ કરી રહ્યું છે, પણ તેના ઘા એટલા ઉંડા છે કે તરત રૂઝાય તેમ નથી. માર્યા ગયેલા 26 નિર્દોષ લોકોમાં સૈયદ આદિલ હુસૈન શાહનો પણ સમાવેશ થાય છે, જે પ્રવાસીઓને ઘોડેસવારી કરાવતા હતા અને જ્યારે તેમણે હત્યારાઓનો સામનો કરવાનો અને આતંકવાદીઓ સામે લડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.
જે લોકો આ ઘટનામાં ‘ધર્મ પૂછકર ગોલી મારી’ વાક્યને પકડીને નફરત ફેલાવવા પ્રયત્ન કરે છે તેમને એટલું જ પૂછવાનું કે, સૈયદ આદિલ હુસૈનનો ધર્મ ક્યો હતો, જો ધર્મ પૂછીને જ ગોળી મારવાની હતી તો આતંકવાદીઓએ તેમને શા માટે ગોળી મારી દીધી?
આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરમાં સૌથી મોટો આતંકી હુમલો, 24 લોકોના મોત