આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના મીતલી ગામમાં વણકર સમાજના કૂવામાં કોઈ અસામાજિક તત્વો શૌચક્રિયા કરી ગયા હોવાથી 100 જેટલા વણકર પરિવારો માટે ભરઉનાળે પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. ખંભાતના મીતલી ગામે અસામાજિક તત્વોએ વણકર સમાજના લોકો સામે બદલો લેવાના ઈરાદે આ કર્યું હોય તેમ જણાય છે. મીતલી ગામે આજે પણ દરેક સમાજના લોકો માટે પાણી ભરવાના જુદા જુદા કૂવા છે. વણકરો સવર્ણોના કૂવા પરથી પાણી ભરતી શકતા નથી. હવે વણકરોના કૂવામાં કોઈ શૌચ કરી જતા તેમના માટે ક્યાંથી પીવાનું પાણી ભરવું તે સમસ્યા સર્જાઈ છે.
રાત્રિ દરમિયાન લુખ્ખા તત્વો શૌચ કરી ગયા
હાલ મીતલીના વણકરો માટે પીવાના પાણી માટે આ કૂવો જ એકમાત્ર પીવાના પાણીનો સ્ત્રોત છે. પણ તેમાં જ કોઈ શૌચ કરી જતા પાણીની સમસ્યા સર્જાઈ છે. ગામના તળાવ પાસે આવેલ વણકર સમાજના વર્ષો જૂના આ કૂવામાંથી આજે પણ 100 જેટલા વણકર પરિવારો પીવાનું પાણી ભરે છે. કૂવા આસપાસ રાત્રિ દરમિયાન લુખ્ખા તત્વો વારંવાર શૌચ કરી જતા હોવાથી પાણી ભરવા આવનાર લોકોને ભારે હેરાનગતિ થાય છે. જો કે, આ વખતે તો અસામાજિક તત્વોએ વણકરોના પીવાના પાણીમાં જ શૌચ કરી દીધું હોવાથી પાણી પી શકાય તેવી સ્થિતિમાં રહ્યું નથી.
આ પણ વાંચો: દલિત યુવકે માટલામાંથી પાણી પીતા સવર્ણ દુકાનદારોએ માર માર્યો
અગાઉ પણ કૂવાને લઈને મોટો વિવાદ સર્જાયો હતો
એક સમયે વણકર સમાજના આ કૂવા પાસે અન્ય સમાજના લોકોએ વસવાટ કરી આ કૂવાને હડપ કરવાના ઇરાદે વણકર મહિલાઓને હેરાનગતિ કરવામાં આવી હતી. જે બાબતે વિવાદ પણ સર્જાયો હતો. ત્યાર બાદ હવે એકાએક લુખ્ખા તત્વો વણકરોના કૂવામાં જ શૌચ કરી જતા મામલો ઉગ્ર બન્યો છે. પીવાના પાણીના કૂવામાં તેમજ આસપાસ શૌચ કરી પાણીમાં ગંદકી ફેલાવાઈ છે. આ ઘટનાને લઈને વણકર સમાજમાં ભારે રોષ છે અને આ મામલે ગ્રામ પંચાયત દ્વારા વહેલીતકે કાર્યવાહી હાથ ધરી ફોજદારી ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.
મીતલીના વણકરોમાં રોષ ફાટી નીકળ્યો
ઉલ્લેખનીય છે કે, કનેવાલ તળાવનું રિડેવલપમેન્ટનું કામકાજ ચાલી રહ્યું છે. જેના કારણે આ વિસ્તારમાં 15 દિવસે એકવાર પાણી આવતું હોય છે. એક તરફ પાણીની તંગી અને બીજી તરફ પીવાના પાણીના એક માત્ર સ્ત્રોત ગણાતા કૂવાને અસામાજિક તત્વો શૌચ કરી ગંદો મૂકતા મીતલી સહિત આસપાસના ગામોના વણકર-દલિત સમાજના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. જોવાનું એ રહેશે કે પંચાયત કે પોલીસ શું કાર્યવાહી કરે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 71.4 % દલિતો સાથે જાહેર પાણીના નળે આભડછેટ પળાય છે
*વણકર સમાજની અસ્મિતાને તોડવાનું દૂષ્કૃત્ય કરનાર અસામાજિક તત્વોને બળ કોણ આપે છે? જે વણકરો નાં પાણી પીવાનાં કૂવાને અભડાવી ને દૂષિત કરે છે?
જયભીમ નમો બુદ્ધાય જય સંવિધાન જય ભારત!