દાહોદમાં મતદાર યાદીમાં દલિતો માટે પ્રતિબંધિત શબ્દોનો ઉપયોગ કરાયો

દાહોદની ડાંગરિયા ગ્રામ પંચાયતની મતદાર યાદીમાં સરકારે દલિતો માટે પ્રતિબંધિત કરેલા વાંધાજનક શબ્દોનો પ્રયોગ કરાતા ચકચાર મચી છે.
dalit news

ગુજરાત રાજ્યમાં સરકારી તંત્રમાં કેવું લહેરિયું ખાતું ચાલું છે તેનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. હાલ રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયેલો છે. બીજી તરફ રાજ્યમાં દલિતો પર થઈ રહેલા અત્યાચારોને લઈને પણ પરિસ્થિતિ વણસેલી છે. એવામાં દાહોદ જિલ્લાના દેવગઢબારિયાના ડાંગરિયા ગામમાં પંચાયતની ચૂંટણીની મતદાર યાદીમાં દલિતો માટે ખુદ રાજ્ય સરકારે પ્રતિબંધિત કરેલા વાંધાજનક શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ ડાંગરીયા ગ્રામ પંચાયતની મતદાર યાદીમાં વોર્ડ નંબર 8ના મતદારોની ઓળખ અને મતદાન સ્થાન અંગેની જાણકારીમાં સરકારી અધિકારીઓ દ્વારા જ પ્રતિબંધિત શબ્દોનો ઉપયોગ કરાયો છે. આ યાદીમાં ડાંગરીયા ગામના વિવિધ ફળિયાના મતદાર નંબરની વિગતો દર્શાવવામાં આવી છે, જેમાં સીમાડા, ટાંક, અવીચની સાથે અનુસૂચિત જાતિના સમાજના ફળિયા માટે પ્રતિબંધિત શબ્દનો ઉલ્લેખ છે.

આ પણ વાંચો: રાજકોટમાં ડિમોલિશન અટકાવવા ભાજપ કોર્પોરેટરે 4 લાખ લીધા?

dalit news

ચોંકાવનારી બાબત એ છે કે, ડાંગરીયા ગ્રામ પંચાયત, મામલતદાર કચેરીના અધિકારીઓ દ્વારા આ મતદારીની ચકાસણી કરવામાં આવી હતી. તેમ છતાં આ પ્રકારના વાંધાજનક શબ્દોનો પ્રયોગ કરાયો તે તેમણે ધ્યાન પર લીધું નહોતું. એટલું જ નહીં ગામની બહારના મુખ્ય રોડ પર કિલોમીટર દર્શાવતા બોર્ડમાં પણ આ પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ કરાયો છે. આ રીતે વાંધાજનક શબ્દના પ્રયોગના કારણે જાતિવાદને પ્રોત્સાહન મળે છે અને લોકો વચ્ચે વૈમનસ્ય પેદા થાય છે.

દાહોદ કલેક્ટરે તપાસના આદેશ આપ્યા

આ મામલે હવે દાહોદના કલેક્ટર યોગેશ નિરગુડેએ તપાસના આદેશ આપ્યા છે. મીડિયાને તેમણે જણાવ્યું કે, ‘આ બાબતે તપાસ કરાવી જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે અને ભવિષ્યમાં આવી ભૂલોનું પુનરાવર્તન ન થાય તે માટે કડક પગલાં લેવામાં આવશે.’

રાજ્ય સરકારના જ પરિપત્રોનો તેમના જ અધિકારીઓ ભંગ કરે છે

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અનેક પરિપત્રો બહાર પાડીને અનુસૂચિત જાતિઓ માટે વાપરવામાં આવતા જાતિસૂચક વાંધાજનક શબ્દોની જગ્યાએ અન્ય શબ્દોનો ઉપયોગ કરવાની જ સરકારી વિભાગોને સૂચના અપાઈ છે. તેમ છતાં ખુદ સરકારના જ કર્મચારીઓ તેમના આદેશનો ભંગ કરે છે. જે દર્શાવે છે કે, દલિતો માટે લીધેલા સરકારના આદેશોને તેઓ ગંભીરતાથી લેતા નથી.

ગુજરાત સરકારે જાતિવાદી કે અપમાનજનક શબ્દોના પ્રયોગ પર વિવિધ સમયે અને જુદા જુદા પરિપત્રો દ્વારા પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધોનો મુખ્ય ઉદ્દેશ સામાજિક સમાનતા, સન્માન અને સૌહાર્દ જાળવવાનો છે, જેથી કોઈ પણ સમુદાયની લાગણી દુભાય નહીં અને ભેદભાવ ઓછો થાય. પરંતુ ખુદ સરકાર જ તેના પરિપત્રના ધજાગરા ઉડાવી રહી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: મહિલા IAS એ દલિત વિદ્યાર્થીઓને કહ્યું, ‘ટોઈલેટ સાફ કેમ નથી કરતા?’

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું ગુજરાત કોંગ્રેસ અને તેના સવર્ણ નેતાઓ દલિતો સાથે ભેદભાવ રાખે છે?
0
Would love your thoughts, please comment.x
()
x