ગુજરાતમાં માલેતુજારોની દેખાદેખીમાં ગરીબ દલિત સમાજમાં પણ લગ્નોમાં દેખાડો, ભપકો અને ખોટા ખર્ચા વધી ગયા છે. ત્યારે પાટણ જિલ્લાના વણકર સમાજે પોતાના બંધારણમાં લગ્ન દરમિયાન કરવામાં આવતા ખોટા ખર્ચા અને દેખાડા પર કાપ મૂક્યો છે. સાથે જ વરપક્ષ દ્વારા કન્યા પક્ષના ગામમાં જઈને વરઘોડો કાઢવા પર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે. ગઈકાલે પાટણ જિલ્લાના ઝીલીયા ગામમાં 135 પાટણવાડા વણકર સમાજની બેઠક મળી હતી. જેમાં સમાજના નીતિનિયમો અને બંધારણ પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં હાજર સમાજના આગેવાનોની હાજરીમાં સર્વસંમતિથી અનેક મહત્વના સામાજિક સુધારા કરવામાં આવ્યા હતા.
લગ્નના વ્યવહારો અને વરઘોડા અંગે નિયમો બનાવ્યા
લગ્ન વ્યવહારમાં નવા નિયમો નક્કી કરવામાં આવ્યા. દાપાના વ્યવહારમાં 4,135 રૂપિયા, પ્રથમ આણામાં 1,135 રૂપિયા, વરવધાના વ્યવહારમાં 835 રૂપિયા અને સાજનાના આણામાં 2,135 રૂપિયા નક્કી કરવામાં આવ્યા. મામેરામાં યથાશક્તિ પ્રમાણે દાગીના અને રોકડ આપી શકાશે. વરઘોડા અંગે પણ નવા નિયમો બનાવવામાં આવ્યા. વરપક્ષ પોતાના ઘર આંગણે અને ગામમાં ડીજે સાઉન્ડ સિસ્ટમ સાથે વરઘોડો કાઢી શકશે. જોકે, કન્યાના લગ્ન માંડવે કે ગામમાં વરપક્ષનો ડીજે અને વરઘોડો લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે મહિલાઓનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે હલ્દીનો રિવાજ નિયમ મુજબ પોતાના ઘરે જ રાખવાની છૂટ આપવામાં આવી છે. વણકર સમાજ કેળવણી ફંડ ફાળો હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે.
નવા સુધારાઓનો તરત અમલ કરવામાં આવશે
કાર્યક્રમની વ્યવસ્થા કેશણી ગામના વણકર સમાજના લોકોએ કરી હતી. તેમણે બેસવા માટે મંડપ, કૂલર, ખુરશી, ગાદલા તેમજ ચા-કોફી અને મિનરલ પાણીની સુવિધા પૂરી પાડી હતી. કોટવાળ દુઃખવાડા, પાટણ દ્વારા જાહેર કરવામાં આવ્યું કે આ નવા સુધારાઓનો અમલ કરવામાં આવશે. ૧૩૫ પાટણવાડા વણકર સમાજ એકતા સમિતિનાં અગ્રણીઓએ પણ આ બાબતને સમર્થન આપ્યું હતું. હાલ સમાજના અગ્રણીઓએ આ નિયમોનો સમાજના છેવાડા ગામમાં વસતા સમાજના લોકો સુધી પહોંચાડવા માટેના પ્રયત્નો શરૂ કરી દીધાં છે.
લગ્નોમાં પેસી ગયેલી દેખાદેખી પર નિયંત્રણ જરૂરી
135 પાટણવાડા વણકર સમાજના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે, નવા જાહેર કરાયેલા નિયમો સમાજ માટે ખૂબ જ અગત્યના છે. ગરીબીમાં જીવતા આપણા સમાજને દેખાદેખી પોસાય તેમ નથી. એક ઘરમાં ચાર સંતાનો હોય તો તેમના લગ્નમાં જે ખર્ચ થાય છે તે ભેગો કરવામાં અને ભરપાઈ કરવામાં જ ઘરના વડાની આખી જિંદગી ખર્ચાઈ જાય છે. આવું ન થાય તે માટે લગ્ન અને અન્ય પ્રસંગોમાં થતા વ્યવહારો અને ખોટા ખર્ચ પર કાપ મૂકવો જરૂરી બની જાય છે.
આ પણ વાંચો: ભૂદાન આંદોલનમાં ગુજરાતમાં જે જમીનો મળી તેનું શું થયું?
ડીજે-વરઘોડા અનેક સમસ્યાઓનું મૂળ છેઃ અગ્રણીઓ
લગ્નમાં ડીજે અને વરઘોડા પર પ્રતિબંધ મૂકવા અંગે અગ્રણીઓનું કહેવું છે કે, ડીજે એક મોટું દૂષણ છે. કાનના પડદા ફાડી નાખતો તેનો અવાજ જોખમી છે. લગ્નોમાં જાનૈયા ભયાનક અવાજ કરતા ડીજે આગળ કલાકો સુધી નાચતા રહે છે. જેની ગંભીર અસર તેમના કાન પર પડે છે. એટલું જ નહીં ડીજેના કારણે ઘણીવાર જે ગામમાં જાન લઈને ગયા હોય ત્યાં અન્ય સમાજના લોકો સાથે ઘર્ષણના બનાવો બનતા હોય છે. જાનૈયાઓ જાન માંડવે પહોંચે એ પહેલા સમયની પરવા કર્યા વિના નાચે જાય છે. જેના કારણે સમયનો ઘણો વ્યય થાય છે. ઘણીવાર ડીજે-વરઘોડાને કારણે જાતિવાદી તત્વો સાથે મારામારી પણ થાય છે. આ બધી સમસ્યાઓના મૂળમા ડીજે-વરઘોડાનું કલ્ચર છે અને એટલે અમે તેને જ મૂળમાંથી કાઢી નાખવાનું નક્કી કર્યું છે.
ગુજરાતના આર્થિક રીતે સદ્ધર સમાજો પાસે ઘણું શીખવાનું છે
ઉલ્લેખનીય છે કે, દલિત સમાજમાં ફિલ્મો-ટીવીની અસર હેઠળ લગ્નોમાં હવે દેખાડો-ભપકો અને ખોટા ખર્ચા સતત વધતા જઈ રહ્યાં છે. જેના કારણે ગરીબ પરિવારના માતાપિતા પર આર્થિક ભીંસ વધી ગઈ છે. એ સ્થિતિમાં 135 પાટણવાડા વણકર સમાજના અગ્રણીઓ પોતાના બંધારણમાં ડીજે-વરઘોડા જેવા દેખાડાને તિલાંજલિ આપીને ખરા અર્થમા પ્રગતિશીલ નિર્ણય લીધો છે.
સમાજે સમજવું પડશે કે લગ્નોમાં ખોટા ખર્ચ કરવા કરતા સાદાઈથી લગ્ન કરી બચતના રૂપિયાનો બાળકોના શિક્ષણ પાછળ કે અન્ય યોગ્ય કામમાં ઉપયોગ કરી શકાય છે. લગ્નો કોઈને આંજી દેવા માટેનો પ્રસંગ નથી તે વાત આપણે જેટલા વહેલા સમજીશું તેટલું સારું રહેશે. હાલ પૈસેટકે સુધી સંપન્ન જાતિના લોકો પોતાના સંતાનોના લગ્નો સાદાઈથી કરવા લાગ્યા છે. પટેલ સમાજ આર્થિક રીતે સમૃદ્ધ હોવા છતાં સમૂહલગ્નોમાં તેમના સંતાનોને પરણાવે છે. તેમની પાસેથી પણ આપણે શીખવું જોઈએ
આ પણ વાંચો: ગાંધીનગરમાં પ્રવીણ ગઢવી સાહેબની સ્મૃતિમાં ગુણાનુવાદ સભા યોજાઈ