પીએમ મોદી અને ભાજપના નેતાઓ પોતે દલિતો, આદિવાસી અને ઓબીસીના હામી હોવાનો દેખાડો કરે છે પરંતુ વાત જ્યારે આ સમાજના લોકોના હકો આપવાની આવે ત્યારે સરકારની મેલી મુરાદ સામે આવ્યા વિના રહેતી નથી. સવર્ણ હિંદુઓની તરફદાર મોદી સરકારે રાજ્યસભામાં જે આંકડાઓ આપ્યા છે તેના પરથી સાબિત થાય છે કે, ભાજપ અને વડાપ્રધાનની માનસિકતા દેશના દલિત, આદિવાસી અને ઓબીસીને તેના હક આપવા માટેની જરાય નથી.
ધ વાયર ના એક રિપોર્ટ મુજબ, મોદી સરકારે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં સ્વીકાર્યું છે કે ઉચ્ચ શિક્ષણમાં અનામત શ્રેણીઓ માટે ફાળવવામાં આવેલી પોણા ભાગની જગ્યાઓ તેણે ભરી નથી. કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી સુકાંત મજુમદારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે OBC માં પ્રોફેસર માટે મંજૂર કરાયેલી 423 જગ્યાઓમાંથી ફક્ત 84 જગ્યાઓ જ ભરાઈ છે. ST કેટેગરીમાં 144 માંથી માત્ર 24 જગ્યાઓ ભરાઈ છે, જ્યારે SC કેટેગરીમાં 64 ટકા પ્રોફેસરોની જગ્યાઓ ખાલી છે.

આ આંકડાઓ આઘાતજનક એટલા માટે પણ છે, કેમ કે જનરલ કેટેગરીમાં ઉમેદવારોની નિમણૂક અનામત કેટેગરીના ઉમેદવારો કરતા વધુ છે. જ્યારે અન્ય પછાત જાતિઓ (OBC), SC અને ST સમાજના ઉમેદવારોની નિમણૂકોમાં આ તફાવત ઘણો વધારે છે. ઉદાહરણ તરીકે, મંજૂર કરાયેલી 423 જગ્યાઓમાંથી OBC સમુદાયના ફક્ત 84 પ્રોફેસરોની નિમણૂક કરવામાં આવી છે. એટલે કે, OBC ની 80% જગ્યાઓ ખાલી છે.
દરમિયાન, છેલ્લા પાંચ વર્ષમાં, દલિત સમાજના ફક્ત 111 પ્રોફેસરોની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ઓછામાં ઓછી 308 નિમણૂકો થવી જોઈતી હતી. એટલે કે 64% જગ્યાઓ ખાલી છે.

આ પણ વાંચો: હિન્દી ફિલ્મોમાં હીરોની જાતિ હંમેશા ‘સવર્ણ’ જ કેમ હોય છે?
તેવી જ રીતે, આદિવાસી સમાજમાંથી 144 પ્રોફેસરોની નિમણૂક થવી જોઈતી હતી, પરંતુ ફક્ત 24 ની જ નિમણૂક કરાઈ છે. એટલે કે 83% જગ્યાઓ ખાલી છે.
30 જૂન, 2025 સુધીમાં, કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં તમામ શ્રેણીઓમાં પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસર માટે મંજૂર જગ્યાઓની કુલ સંખ્યા 18,951 હતી. તેમાંથી, 14,062 જગ્યાઓ ભરાઈ ગઈ છે, જેનાથી 25% જગ્યાઓ ખાલી રહી છે. જનરલ કેટેગરીમાં ફક્ત 15% બેઠકો ખાલી રહે છે, જ્યારે અનામત કેટેગરીઓમાં ખાલી જગ્યાઓનો દર સૌથી વધુ છે.
OBC માટે કુલ 3,688 જગ્યાઓ ખાલી હતી, જેમાંથી 2,197 જગ્યાઓ ભરવામાં આવી છે, એટલે કે 40% જગ્યાઓ ખાલી છે.
તેવી જ રીતે, નિમણૂક માટે નિર્ધારિત 2,310 જગ્યાઓમાંથી, દલિત સમાજમાંથી ફક્ત 1,599 જગ્યાઓ ભરાઈ હતી. એટલે કે લગભગ 30% જગ્યાઓ ખાલી હતી.
અનુસૂચિત જનજાતિ (ST) સમાજમાંથી કરવામાં આવેલી નિમણૂકોમાં આ તફાવત સૌથી વધુ છે. 1,155 મંજૂર જગ્યાઓમાંથી ફક્ત 727 પર નિમણૂકો કરવામાં આવી હતી. એટલે કે, 37% જગ્યાઓ ખાલી રહી હતી.
રાજ્યસભામાં શિક્ષણ રાજ્યમંત્રી સુકાંત મજુમદાર દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, જનરલ કેટેગરી હેઠળ સૌથી વધુ જગ્યાઓ ભરાઈ હતી. તેમણે આરજેડીના પ્રોફેસર મનોજ કુમાર ઝા દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં પોસ્ટ્સ અને ખાલી જગ્યાઓના ડેટા વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી.
(સોર્સઃ ધ વાયર)
આ પણ વાંચો: દલિત યુવકને મંદિરમાં પૂજા કરતા રોકી 3 પૂજારીઓએ ઘંટથી માર્યો











