Bhavnagar Groom kills bride: ભાવનગર શહેર (Bhavnagar)માં લગ્નના દિવસે જ યુવતીની તેના થનાર પતિએ લોખંડના પાઈપના ઘા મારીને હત્યા કરી(Groom kills bride) નાખી છે. શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ટેકરી ચોક નજીક આજે સવારે એક યુવતીની લોખંડના પાઇપ મારી હત્યા થતા પોલીસ કાફલો દોડી ગયો હતો. મરનાર યુવતીના આજે લગ્ન થવાના હતા અને તેના ભાવિ પતિએ જ તેની હત્યા કરી દીધી છે. સોનીબેન હિંમતભાઈ રાઠોડની હત્યા કરી આરોપી નાસી છૂટ્યો હતો. આ બનાવની જાણ થતા જ પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ યુવતી તેના ભાવિ પતિ સાથે લિવ-ઇનમાં રહેતી હતી અને આજે બંનેના લગ્ન થવાના હતા. લગ્ન થાય તે પૂર્વે તેની હત્યા થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ અધિકારીએ શું કહ્યું?
આ ઘટનાને લઈને સિટી ડીવાયએસપી આર.આર.સિંધાલે જણાવ્યું હતું કે, ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રભુદાસ તળાવ શેરી નંબર 10 પાસે આજે સવારે એક હત્યાનો બનાવ બન્યો છે. જેમાં મૃતક સોનીબેનના હત્યા કરનાર આરોપી સાજન સાથે આજે લગ્ન થવાના હતા. વહેલી સવારે આરોપી સાજન દુલ્હનના ઘરે આવ્યો હતો જ્યાં તેના સાથે બોલાચાલી થઈ હતી. જેમાં સાજન ઉશ્કેરાઇ ગયો હતો અને બંને વચ્ચે ઝઘડો થયો હતો.

આ પણ વાંચો: રાજપૂતોએ દલિત વરરાજાને ઘોડી પર બેસાડી શોભાયાત્રા કાઢી
લોખંડના પાઈપ મારી હત્યા કરી નાખી
આ ઝઘડામાં આરોપીએ લોખંડના પાઇપથી સોનીબેનને માથાના ભાગે અને શરીરે ઇજા કરી હતી, સાથે જ દીવાલ સાથે માથું ભટકાડી સોનીબેનનું મૃત્યુ નીપજાવ્યું હતું. આ બનાવ અંગે પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો છે.
વર-કન્યા લિવ ઈનમાં રહેતા હતા
વધુમાં જણાવ્યું હતું કે સાજન અને મૃતક સોનીબેન છેલ્લા ઘણા સમયથી સાથે રહેતા હતા. આજે 15 તારીખે તેમના લગ્ન થવાના હતા અને ગઈકાલે મૃતકની પીઠીની વિધિ કરવામાં આવી હતી. આજે વહેલી સવારે કોઈપણ કારણોસર પાનેતર બાબતે તથા પૈસાની મામલે બોલાચાલી થઈ હતી અને હત્યાનો બનાવ બન્યો હતો.
પોલીસે હાલમાં ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ કરી છે. આરોપી સાજન બારૈયાએ ઉશ્કેરાઈને ઘરની પાસે બાજુમાં પણ ઝઘડો કર્યો હતો. હાલ આરોપી સાજનને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરાઈ છે. જો કે, હાલ તો આ ઘટનાએ સમગ્ર ભાવનગર શહેરમાં ચકચાર મચાવી દીધી છે.

આ પણ વાંચો: સહમતીથી સેક્સની ઉંમર 16 વર્ષ કરો, સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ













