ગુજરાતમાં વસતા બૌદ્ધ સમાજ વતી એક પ્રતિનિધિમંડળે બુદ્ધ પૂર્ણિમાની જાહેર રજા આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળીને લેખિતમાં રજૂઆત કરી છે. દેશના 20થી વધુ રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોમાં બુદ્ધ પૂર્ણિમાના દિવસે જાહેર રજા હોય છે. પરંતુ ગુજરાતમાં હજુ સુધી આ રજા જાહેર ન થતાં બૌદ્ધ સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. ગુજરાતમાં વસતા આશરે 3.66 બૌદ્ધ સમાજ વતી એક પ્રતિનિધિમંડળ બુદ્ધ પૂર્ણિમાના દિવસે જાહેર રજા જાહેર કરવાની માંગ સાથે ગાંધીનગર પહોંચીને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1979થી બૌદ્ધ ધર્મને લઘુમતીનો દરજ્જો મળ્યો હોવા છતાં બૌદ્ધ સમાજના મુખ્ય પર્વ બુદ્ધ પૂર્ણિમાને આજદિન સુધી સરકારી જાહેર રજાનો દરજ્જો આપવામાં આવ્યો નથી. બૌદ્ધ ધર્મના લોકોએ જણાવ્યુ હતું કે, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી, જૈન અને શીખ સમાજના તહેવારો પર જાહેર રજાઓ આપવામાં આવે છે, જ્યારે બૌદ્ધ વસ્તી 3.66 લાખથી વધારે હોવા છતાં જાહેર રજા આપવામાં આવતી નથી.

આ પણ વાંચો: ભારતના બૌદ્ધો દશેરાને બદલે ‘અશોક વિજયાદશમી’ કેમ ઉજવે છે?
દેશના 20થી વધુ રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોમાં બુદ્ધ પૂર્ણિમા જાહેર રજા હોવા છતાં ગુજરાતમાં રજા જાહેર કરવામાં આવતી નથી.સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે પરંતુ ગુજરાતમાં આ દિવસે જાહેર રજા નથી જાહેર કરાઈ.
બૌદ્ધ સંસ્થાઓએ જણાવ્યું હતું કે, 2026ની રજાની યાદીમાં બુદ્ધ પૂર્ણિમાને ફરજિયાત જાહેર રજા તરીકે સામેલ કરવામાં નહીં આવે તો બૌદ્ધ સમાજ દ્વારા ન્યાય મેળવવા કોર્ટનો સહારો લેવાનો વારો આવશે અથવા આજીવન ચૂંટણી બહિષ્કાર કરશે. મુખ્યમંત્રીને મળવા ગયેલા આ પ્રતિનિધિમંડળમાં અમદાવાદથી આયુ. આયુ.સિંહલ બોધિધર્મન, ગાંધીનગરથી આયુ.લવેશ રાણા, જૂનાગઢથી આયુ.વિક્રમ બૌદ્ધ, કચ્છથી આયુ. સિંહલ રાજવર્ધન અને આણંદથી આયુ. સિંહલ રજનીકાંત હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: આણંદના મોરજમાં 7 ગામના 19 લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો











