Dalit News: ભાજપના નેતાઓ જાહેરમાં દલિત-આદિવાસીઓના હિતોની વાતો કરે છે પરંતુ જ્યારે તેમના ફાયદાની વાત આવે ત્યારે તેઓ કોઈપણ હદે જતા હોય છે. ભાજપના નેતાઓ દલિતોના હક-અધિકારો પર તો તરાપ મારે જ છે, હવે તેમની માલિકીની જમીનો પણ ખોટા પુરાવા ઉભા કરીને પડાવી રહ્યાં છે. આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં ભાજપના ચૂંટાયેલા નેતા અને રાજ્યકક્ષાના મંત્રીના ટ્રસ્ટે દલિત સમાજના 10 પરિવારો પાસે રહેલી 19 વીઘા જમીન ખોટા મેડિકલ સર્ટિફિકેટ ઉભા કરીને પચાવી પાડી હોવાનો આરોપ લાગ્યો છે.
મામલો બટેંગે તો કટેંગે ફેઈમ ઉત્તરપ્રદેશનો છે. અહીંના મેરઠમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક મંત્રીના ટ્રસ્ટ પર દલિતો બીમાર હોવાનો દાવો કરીને તેમની કરોડોની કિંમતની મોકાની જમીન ખરીદી લેવાનો આરોપ લાગ્યો છે. જમીન અસલી માલિક એવા દલિતો દાવો કરે છે કે તેમના મેડિકલ સર્ટિફિકેટ નકલી છે અને તેઓ બિલકુલ બીમાર નથી.

આ પણ વાંચો: સરકારે ન સાંભળતા 24 ગામના આદિવાસીઓએ જાતે 3 કિમીનો રસ્તો બનાવ્યો
મંત્રીના ટ્રસ્ટે ‘ફેક મેડિકલ સર્ટિફિકેટ’ બનાવી જમીન ખરીદી!
મેરઠમાં દલિત સમાજની આશરે 19 વીઘા જમીન નકલી તબીબી પ્રમાણપત્રો બતાવીને હડપ કરવામાં આવી છે. આ ઘટના મેરઠથી 15 કિમી દૂર કાયસ્થ ગવરી ગામમાં બની હતી. દલિત સમાજના લોકોએ યુપીના ઉર્જા રાજ્યમંત્રી ડૉ. સોમેન્દ્ર તોમર પર ગંભીર આરોપ લગાવ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મંત્રીના શાંતિ નિકેતન ટ્રસ્ટના લોકોએ તેમને પ્યારેલાલ હોસ્પિટલમાં લઈ જઈને બળજબરીથી તબીબી તપાસ કરાવી હતી અને તેમને બીમાર જાહેર કરી દીધા હતા.
આ પણ વાંચો: ગોધરામાં કિન્નરોએ સ્મશાન માટે જમીન માંગી, કાઠિયાવાડનો ધક્કો થાય છે
પીડિતોનો આરોપ છે કે તબીબી રિપોર્ટ નકલી છે
દલિત સમાજના લોકોએ જણાવ્યું હતું કે 13 સપ્ટેમ્બર, 2024 ના રોજ, 10 દલિત પરિવારોના 46 સભ્યોને ખોટી રીતે ગંભીર બીમાર જાહેર કરવામાં આવ્યા હતા અને તેમની 19.09 વીઘા જમીન ₹10.55 કરોડમાં ખરીદી લેવામાં આવી હતી. સમગ્ર જમીનનો સોદો ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. હવે એક વર્ષ પછી આ જમીનની નજીક મેરઠ વિકાસ સત્તામંડળનો ટાઉનશીપ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે, જેનાથી જમીનની કિંમત અનેકગણી વધી ગઈ છે.

દલિત જમીન હડપ કરવાનો આરોપ
દલિતોને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો છે અને તેમણે આ છેતરપિંડી સામે અવાજ ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. જો કે, વહીવટીતંત્રે હજુ સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરી નથી. ઉલ્લેખીય છે કે, યોગી આદિત્યનાથના સાશનમાં ઉત્તર પ્રદેશમાં દલિતોની જમીન પચાવી પાડવાના આરોપો લાગતા રહ્યા છે. હવે તો ખુદ સરકારના એક મંત્રીએ જ આ કાંડ કર્યો હોવાના આરોપો લાગ્યા છે. ત્યારે સરકાર આના ઉકેલ માટે શું પગલાં લે છે તે જોવાનું રહેશે.
આ પણ વાંચો: મુસ્લિમ પડોશીનું ઘર તંત્રે તોડ્યું, હિંદુ પડોશીએ જમીન દાનમાં આપી











