Ahmedabad Demolition: ગુજરાતની ભાજપ સરકારે રાજ્યના મોટા શહેરોમાં એક ચોક્કસ પેટર્નથી ગરીબ દલિત, આદિવાસી, ઓબીસી અને લઘુમતી સમાજના લોકોને શહેરોમાંથી હટાવવાનું કરવાનું શરૂ કર્યું છે. અમદાવાદ સહિતના મોટા શહેરોમાં કથિત ઉચ્ચ જાતિના પહોંચેલા લોકો દ્વારા પણ અનેક જગ્યાએ ગેરકાયદે દબાણો કરાયા છે પરંતુ તેમના પર ભાગ્યે જ કોઈ કાર્યવાહી થાય છે.
જ્યારે ગરીબો, દલિતો, આદિવાસીઓ, ઓબીસી અને લઘુમતીઓને ઘરવિહોણા કરી દેતા પણ સરકાર ખચકાતી નથી. અગાઉ આ જ રીતે અમદાવાદના ચંડોળા તળાવ, ઈસનપુરમાં મેગા ડિમોલિશન ઉપરાંત ગાંધીનગરના પેથાપુરમાં 900 જેટલા ઝૂંપડા, સેક્ટર 30માં દબાણોના નામે ગરીબોને મોકાની જમીનો પરથી હટાવી દેવાયા હતા. હવે આજે અમદાવાદના કુબેરનગરના કમલ (ઉમલા) તળાવ ખાતે એએમસીની ટીમ ત્રાટકી હતી અને અંદાજે 150 જેટલા દબાણો તોડી પાડ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના કુબેરનગર ITI રોડ પર આવેલા કમલ તળાવની જમીન પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે આજે સવારથી AMC દ્વારા મેગા ડિમોલિશન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગે પોલીસ બંદોબસ્ત સાથે તળાવની આસપાસના આશરે 150 જેટલા દબાણો પર બુલડોઝર ફેરવી દીધું છે, જેના કારણે અનેક પરિવારો બેઘર બન્યા છે અને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી છે.
આ પણ વાંચો: અમદાવાદના સ્મશાનમાં મૃતકની ટાયર અને ગોદડાંથી અંતિમવિધિ કરવી પડી
સ્થાનિકો નિરાધાર થયા, વૈકલ્પિક વ્યવસ્થાની માંગ
વર્ષોથી રહેતા લોકોના મકાનો તૂટતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ તંત્ર પાસે માંગ કરી હતી કે તેમને રહેવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે. અસરગ્રસ્તોએ જણાવ્યું હતું કે, જો સરકાર તેમને અન્ય સ્થળે રહેવાની વ્યવસ્થા કરી આપે તો તેઓ ત્યાં જવા માટે તૈયાર છે, પરંતુ અચાનક છત છીનવાઈ જતાં તેમની હાલત કફોડી બની છે. સ્થાનિકોના વિરોધ અને હોબાળાને પગલે સ્થળ પર હાજર પોલીસે મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો અને શાંતિપૂર્ણ રીતે કામગીરી પૂર્ણ કરાવવા જહેમત ઉઠાવી હતી.
આ પણ વાંચો: અમદાવાદના ચાંદખેડામાં ‘સંવિધાન સર્કલ’ના નિર્માણનું કામ પૂરજોશમાં

મહિલાઓ, બાળકો, વડીલોનું હૈયાફાટ રુદન
સ્થાનિક પોલીસની હાજરીમાં તંત્રએ ઘર પર બુલડોઝર ફેરવતા સ્થાનિકો ચોધાર આંસુએ રડી પડ્યા હતા. મહિલા, બાળકો, વૃદ્ધો નજર સામે ઘર તૂટતાં જોઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. સ્થાનિકોની માંગ છે કે સરકાર ઘર તોડી રહી છે તો તેમને રહેવા માટે બીજી વ્યવસ્થા કરવામાં આવે. તળાવની આસપાસ કુલ 150 ઘર તોડવામાં આવ્યા છે.
ઘાટલોડિયામાં ગેરકાયદે સોસાયટીના રહીશોને 4 BHK મકાન અપાશે?
એએમસી તંત્રના ગરીબો અને પૈસાદારો માટેના કાટલાં કેટલા અલગ અલગ છે, તે એક જ દિવસમાં ખબર પડી ગઈ. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી સ્નેહાંજલિ સોસાયટી ગેરકાયદે હોવાનું સામે આવ્યું છે. બિલ્ડરે છેતરપિંડી કરી હોવાથી આ સોસાયટીને તોડી પાડવાનું નક્કી થયું છે.
આ સોસાયટીમાં મોટાભાગે સવર્ણ હિંદુઓની વસ્તી હોવાથી એએમસી તંત્રે તેમને તાત્કાલિક શાસ્ત્રીનગરમાં જગ્યાએ 4BHK ઘરોમાં વૈકલ્પિક વ્યવસ્થા કરી આપશે તેવું નક્કી થયું છે. બીજી તરફ કુબેરનગરમાં 150 મકાનો તોડી પડાયા છે, પરંતુ તેમના રહેવા માટે કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. અહીં ગરીબના બાળકો, મહિલાઓ અને વૃદ્ધો કડકડતી ઠંડીમાં ઉપર આભ નીચે ધરતી પર રહેવા મજબૂર બન્યાં છે.
આ પણ વાંચો: અમદાવાદના ઈસનપુર તળાવમાં ડિમોલિશન શરૂ, ગરીબોનો આશરો છીનવાયો












*જાહેર અને સાર્વજનિક રોડ રસ્તે અને ધાર્મિક ભીડ ઊભી કરતા નાનાં મોટાં ધાર્મિક સ્થાનોને પણ દૂર કરવા જ રહ્યા! જો આનો અમલ જલ્દી થશે તો અવશ્ય ટ્રાફિક જામ થવાનાં બનાવોમાં ઘટાડો થશે અને ટ્રાફિક પોલીસ પ્રશાસનને રાહતનો અનુભવ થશે. જય સંવિધાન જય ભારત જય લોકતંત્ર!