શું આ જ જોવાનું બાકી હતું, કમ સે કમ મંદિરને તો છોડી દો. ત્યાં પણ અશ્લીલતા ચાલી રહી છે.” ઉત્તરાખંડ હાઈકોર્ટના ન્યાયાધીશ રાકેશ થાપલિયાલે એક મંદિરના મહંત વિરુદ્ધ અરજીની સુનાવણી કરતી વખતે આવું કહ્યું. આરોપ એ છે કે મહંત એક મહિલા સાથે કથિત રીતે લિવ-ઈન રિલેશનશિપમાં છે અને આ સંબંધથી એક બાળક પણ જન્મ્યું છે. એવું પણ જાણવા મળ્યું છે કે તેમની સામે પહેલાથી જ અનેક ફોજદારી કેસ નોંધાયેલા છે.
આ કેસ હરિદ્વારના ચંદા દેવી મંદિરનો છે. ન્યાયાધીશ થાપલિયાલની બેન્ચ આ મંદિર સંબંધિત અરજીઓની સુનાવણી કરી રહી હતી. આરોપ એ છે કે મહંત રોહિત ગિરી, એક મહિલા સાથે સંબંધ ધરાવે છે અને તેમને એક બાળક પણ છે. મીડિયા રિપોર્ટ મુજબ, હાઈકોર્ટે 18 ફેબ્રુઆરીએ કેસની સુનાવણી કરી હતી.

ઉત્તરાખંડ હાઈકોર્ટે શું કહ્યું?
સુનાવણી દરમિયાન, ન્યાયાધીશે કહ્યું, “જો ઉત્તરાખંડના મંદિરો અને આશ્રમોમાં આવી હરકતો ચાલી રહી છે, તો તે ખૂબ ચિંતાનો વિષય છે. આવી પ્રવૃત્તિઓ લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી રહી છે. આપણે ભક્તો તરીકે મંદિરોની મુલાકાત લઈએ છીએ. કેટલાક કેરળથી આવે છે, કેટલાક કર્ણાટકથી, અને કેટલાક વિદેશથી આવે છે, કેમ કે તેમની આસ્થા હોય છે. લોકો કહે છે કે ભગવાન ત્યાં રહે છે. પરંતુ જ્યારે કોઈ મંદિરના મહંત છૂટાછેડાના કેસનો સામનો કરી રહ્યા હોય, કોઈની સાથે લિવ-ઇન રિલેશનશિપમાં હોય, અને તે સંબંધથી બાળક પણ હોય, ત્યારે આ એક ગંભીર બાબત છે.”
આ પણ વાંચો: બેલગાવીમાં દલિત મહિલાને નિર્વસ્ત્ર કરવાના કેસમાં 12 દોષિતોને 5 વર્ષની કેદ

જજે પૂછ્યું, “મંદિરોમાં આ શું ચાલી રહ્યું છે?”
જજે ભક્તોની શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને આગળ પૂછ્યું, “મંદિરોમાં આ શું ચાલી રહ્યું છે? શું હવે એવા દિવસો આવી ગયા છે કે મંદિરો, મસ્જિદો અને ગુરુદ્વારાઓની અંદર આવું બધું બનશે? કોઈ ભક્ત આવીને દાન કરે છે. શું તે દાન તમારા અંગત ખર્ચ માટે છે? મંદિરોમાં આવું થઈ રહ્યું છે અને તે સહન કરવામાં નહીં આવે.”
સુનાવણી દરમિયાન, ન્યાયાધીશે એમ પણ કહ્યું કે મંદિરોમાં આપવામાં આવતા દાનનો ઉપયોગ હોસ્પિટલો અને શાળાઓ બનાવવા જેવા જાહેર સખાવતી સંસ્થાઓ માટે થવો જોઈએ. કોર્ટે જિલ્લા વહીવટીતંત્રને ઉત્તરાખંડમાં મંદિરો અને આશ્રમોનું અચાનક નિરીક્ષણ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
આ પણ વાંચો: ધર્મ પરિવર્તન પહેલા ડૉ.આંબેડકરે ક્યા ધર્મોનો અભ્યાસ કર્યો હતો?
લંપટ મહંતની એક કેસમાં ધરપકડ કરવામાં આવી હતી
આ કેસના આરોપી મહંતની અગાઉ એક કેસમાં ધરપકડ પણ કરવામાં આવી ચૂકી છે. ગયા વર્ષે, 6 નવેમ્બરના રોજ, પંજાબ પોલીસે રોહિત ગિરીની જાતીય સતામણીના આરોપસર ધરપકડ કરી હતી. મીડિયા રિપોર્ટ મુજબ, પીડિતાએ જણાવ્યું હતું કે તે રોહિત ગિરી સાથેના કૌટુંબિક વિવાદને ઉકેલવા માટે હરિદ્વાર ગઈ હતી. ત્યાં તેણે હવન કર્યા બાદ તેણીને કારમાં બેસાડી એકાંત સ્થળે લઈ ગયો અને તેનું જાતીય શોષણ કર્યું હતું. આ કેસમાં રોહિત ગિરીને જામીન આપવામાં આવ્યા છે.
હાઈકોર્ટે કહ્યું – ધાર્મિક સ્થળોની પવિત્રતા જાળવો
ઉત્તરાખંડ હાઈકોર્ટનું માનવું છે કે ધાર્મિક સ્થળોના સંચાલનમાં સામેલ લોકો સામે ફોજદારી આરોપો વધી રહ્યા છે. કોર્ટે વહીવટીતંત્રને તપાસ કરવાનો અને ખાતરી કરવાનો નિર્દેશ આપ્યો હતો કે ધાર્મિક સ્થળોની પવિત્રતા જળવાઈ રહે અને ત્યાં કોઈ ખોટું કામ કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે તપાસમાંથી જે પણ તારણો નીકળે છે તે સીલબંધ કવરમાં કોર્ટમાં રજૂ કરવા જોઈએ.
આ પણ વાંચો: જૂનાગઢમાં મહંત ગૌશાળામાંથી સાયબર ફ્રોડનું નેટવર્ક ચલાવતો ઝડપાયો?










