દેશમાં ભાજપ શાસિત રાજ્યોમાં ગૌરક્ષાના નામે થતી હિંસા ફરી એકવાર ચર્ચામાં આવી છે. રાજસ્થાનના અલવર જિલ્લાના ભિવાડી વિસ્તારમાં ગત ગુરુવારે મોડી રાત્રે એક અત્યંત હચમચાવી દે તેવી ઘટના બની હતી. હરિયાણાના પલ્લા ગામના રહેવાસી 28 વર્ષીય મુસ્લિમ યુવક આમિરની ગૌતસ્કરીના શંકાના આધારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે.
મામલો શું હતો?
મૃતક આમિરના પરિવાર દ્વારા નોંધાવવામાં આવેલી FIR મુજબ, આમિર પોતાની પિકઅપ ગાડીમાં ભિવાડી તરફ જઈ રહ્યો હતો. ચોપાનકી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેને કેટલાક લોકોના ટોળાએ અટકાવ્યો હતો. પરિવારનો દાવો છે કે આ ટોળું ‘બજરંગ દળ’ સાથે જોડાયેલા કથિત ગૌરક્ષકોનું હતું. આરોપ મુજબ, આ લોકોએ કોઈ પણ પૂછપરછ વગર આમિર પર ગૌતસ્કરીનો આરોપ મૂકીને તેને નિર્દયતાથી માર મારવાનું શરૂ કરી દીધું હતું. વિવાદ વધતા, આ ટોળાના સભ્યોએ આમિર પર ગોળીબાર કર્યો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો: ‘મંગળવારે જો મટનની દુકાન ખોલી તો તારી દુકાન સળગાવી દઈશ…’
ભાજપ શાસિત રાજ્યોમાં વધતી અરાજકતા
કેન્દ્રમાં અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં ભાજપની સત્તા આવ્યા પછી, ગૌરક્ષાના નામે બજરંગ દળ, વિહિપ સહિતના સંગઠનોના કાર્યકરોનો આતંક સતત વધતો જઈ રહ્યો છે. રાજકીય પ્રોત્સાહન અને પોલીસની ઢીલી નીતિને કારણે આ કહેવાતા ગૌરક્ષકો હવે પોતાને કાયદાથી ઉપર માનવા લાગ્યા છે. ભિવાડીની આ ઘટના ગત વર્ષના જુનૈદ અને નાસિર હત્યાકાંડની યાદ અપાવે છે, જેમને ગાડીમાં જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. તે કેસમાં પણ મુખ્ય આરોપી મોનુ માનેસર જેવા કથિત ગૌરક્ષકોના નામ હતા, જેમને લાંબા સમય સુધી વહીવટીતંત્ર દ્વારા રક્ષણ મળતું હોવાના આક્ષેપો થયા હતા. આ પેટર્ન દર્શાવે છે કે લઘુમતી સમાજના લોકોને નિશાન બનાવીને ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે.

પોલીસની શંકાસ્પદ ભૂમિકા
ભિવાડીના પોલીસ અધિક્ષક પ્રશાંત કિરણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. જોકે, પોલીસના નિવેદનો હંમેશાની જેમ સાવચેતીભર્યા છે. પોલીસે સ્વીકાર્યું છે કે ત્યાં ઝઘડો થયો હતો, પરંતુ ગોળીબારની સત્તાવાર પુષ્ટિ માટે તેઓ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. પોલીસે આમિરની ગાડીમાંથી પાંચ પશુઓ જપ્ત કર્યા હોવાનું પણ જણાવ્યું છે. ઘણીવાર આવા કેસોમાં પોલીસ ભોગ બનનાર સામે જ ‘ગૌતસ્કરી’નો ગુનો નોંધીને તપાસની દિશા બદલી નાખતી હોય છે, જે લોકશાહી અને ન્યાયતંત્ર માટે જોખમી બાબત છે.
આ પણ વાંચો: જંગલેશ્વરમાં બુલડોઝર નીચે કચડાયાં ગરીબોનાં સપનાં, હજારો પરિવારો બેઘર
કથિત ગૌરક્ષકોની કાયદો હાથમાં લેવાની વૃત્તિ સામે સવાલ
સિવિલ રાઈટ્સ સંગઠનો અને માનવાધિકાર કાર્યકર્તાઓનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ ગૌતસ્કરીમાં સંડોવાયેલી હોય તો તેની તપાસ કરવાની અને સજા આપવાની સત્તા માત્ર પોલીસ અને કોર્ટ પાસે છે. પરંતુ ભાજપ શાસિત રાજ્યોમાં આ સત્તા ગલીએ-ગલીએ ફરતા ગુંડા તત્વોએ સંભાળી લીધી હોય તેવું લાગે છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાને બદલે ઘણીવાર તેમનું સન્માન કરવામાં આવે છે અથવા તેમને જામીન મેળવવામાં મદદ કરવામાં આવે છે, જેનાથી તેમને ગુનો કરવાનું વધુ પ્રોત્સાહન મળે છે.
આમિરના પરિવારે ન્યાયની માગ કરી
ભિવાડીમાં હાલમાં તણાવપૂર્ણ શાંતિ છે. સ્થાનિક પ્રશાસને વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરી છે જેથી કોમી રમખાણો ન ફાટી નીકળે. આમિરના પરિવારે ન્યાયની માંગ સાથે ધરણાં કર્યા છે અને માંગ કરી છે કે FIRમાં નામજદ તમામ આરોપીઓની તત્કાલ ધરપકડ કરવામાં આવે. જો સરકાર અને પોલીસ આ મામલે કડક વલણ નહીં અપનાવે, તો ગૌરક્ષાના નામે થતી આ હત્યાઓ લોકશાહીના પાયાને વધુ નબળો પાડશે.
આ પણ વાંચો: અમદાવાદમાં હિંદુ યુવતી-મુસ્લિમ યુવકના લગ્ન મુદ્દે VHP-બજરંગદળે ધમાલ મચાવી










