Dr. Ambedkars statue vandalized: ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નજીક આવતાની સાથે જ દર વખતની જેમ ફરી આ વર્ષે પણ જાતિવાદી તત્વો સક્રિય થઈ ગયા છે. 14મી એપ્રિલે આવી રહેલી બાબાસાહેબની જન્મજયંતી પૂર્વે જ દેશમાં સામાજિક સૌહાર્દ બગાડવાના પ્રયાસો તેજ થયા હોય તેમ મધ્યપ્રદેશના સતના(Satna, MP) જિલ્લાના ગોબરાંવ કલાં ગામમાં જાતિવાદી તત્વોએ ડો. આંબેડકરની પ્રતિમાને નિશાન બનાવી તેને ખંડિત કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં દલિત સમાજ અને ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. શુક્રવારે વહેલી સવારે જ્યારે ગ્રામજનોને આ કૃત્યની જાણ થઈ ત્યારે વાતાવરણ તંગ બની ગયું હતું અને લોકોએ ન્યાયની માંગ સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.
રાત્રે તોફાની તત્વોએ પ્રતિમા ખંડિત કરી
મળતી માહિતી મુજબ, ગુરુવારે સાંજ સુધી પ્રતિમા સંપૂર્ણપણે સુરક્ષિત અને યોગ્ય હાલતમાં હતી. સ્થાનિકોનું કહેવું છે કે અસામાજિક તત્વોએ રાત્રિના અંધકારનો લાભ લઈને આ હીન કૃત્યને અંજામ આપ્યો હતો. તોફાની તત્વોએ માત્ર પ્રતિમાને નુકસાન જ નહોતું પહોંચાડ્યું, પરંતુ તેના પર કાળો રંગ ચોપડીને બાબાસાહેબને અપમાનિત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. શુક્રવારે સવારે જ્યારે ગામલોકો પ્રતિમા પાસે પહોંચ્યા ત્યારે ખંડિત મૂર્તિ જોઈને તેમનો રોષે ભરાયા હતા. જોતજોતામાં ગામના સેંકડો લોકો એકઠા થઈ ગયા હતા અને આ ઘટનાને પૂર્વનિયોજિત કાવતરું ગણાવી રસ્તા પર ઉતરી આવ્યા હતા.

આ પણ વાંચો: Dr.Ambedkar શા માટે RSS પર પ્રતિબંધની તરફેણમાં હતા?
ગામલોકોએ રસ્તો રોકી આરોપીઓને પકડવાની માંગ કરી
આ ઘટનાના વિરોધમાં ગ્રામજનોએ ઉચેહરા-નાગોદ માર્ગ પર ધરણા યોજીને ચક્કાજામ કરી દીધો હતો. આશરે દોઢ કલાક સુધી વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો, જેના કારણે રસ્તાની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી. પ્રદર્શનકારી ગ્રામજનોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી ગામના અમુક શખ્સો દ્વારા ડો. આંબેડકરની પ્રતિમા તોડી પાડવાની ધમકીઓ આપવામાં આવી રહી હતી. આ અંગે અગાઉ રજૂઆત કરવામાં આવી હોવા છતાં યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ન ગોઠવાતા આખરે જાતિવાદી તત્વોએ ઘટનાને અંજામ આપ્યો હતો. લોકોએ સ્પષ્ટ માંગ કરી હતી કે ધમકી આપનાર અને પ્રતિમા ખંડિત કરનાર તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે.
આ પણ વાંચો: એ પુસ્તક જે વાંચીને Dr. Ambedkar ચોધાર આંસુએ રડ્યા હતા
વહીવટી તંત્રે નવી પ્રતિમા મૂકવાની ખાતરી આપી
પરિસ્થિતિ વણસતી જોઈને એસડીએમ સોમેશ દ્વિવેદી અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. વહીવટી અધિકારીઓએ ગ્રામજનોને શાંત પાડવા પ્રયાસો હાથ ધર્યા હતા. વહીવટી તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે ખંડિત પ્રતિમાના સ્થાને નવી મૂર્તિ સરકારી ખર્ચે સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત, ગ્રામજનોના નિવેદનો નોંધીને શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરવાની ખાતરી મળ્યા બાદ જ ચક્કાજામ હટાવવામાં આવ્યો હતો. એસડીએમ દ્વારા તાત્કાલિક અસરથી ચિત્રકૂટથી નવી આદમકદની પ્રતિમા મંગાવવાના આદેશો પણ આપી દેવામાં આવ્યા છે.

14મી એપ્રિલ પહેલા જ પ્રતિમાઓને ટાર્ગેટ કરાય છે
દર વર્ષે 14મી એપ્રિલ નજીક આવતા જ દેશના વિવિધ રાજ્યોમાં ડો. આંબેડકરની પ્રતિમાઓને નિશાન બનાવવાની ઘટનાઓ વધતી જાય છે. આ એક ચોક્કસ પેટર્ન મુજબ ચાલતી પ્રવૃત્તિ હોય તેવું જણાય છે, જેનો હેતુ માત્ર પ્રતિમા તોડવાનો જ નહીં પરંતુ સમાજ વચ્ચે વૈમનસ્ય પેદા કરવાનો હોય છે. સતનાની આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કાયદાના રક્ષકોની હાજરી હોવા છતાં જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો હજુ પણ સક્રિય છે. હાલમાં ગોબરાંવ કલાં ગામમાં શાંતિ જાળવવા માટે પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: 50 વર્ષ પહેલા અમદાવાદમાં 14મી એપ્રિલની ઉજવણીની પત્રિકા વાયરલ















*અસામાજિક તત્વોને અંકુશમાં લેવા તે જે તે શહેર, જીલ્લો અને રાજ્યનાં પોલીસ વડા તથા તેઓની ટીમનું કાર્ય છે નહિ કે RSS ની સામ્પ્રદાયિક સંસ્થાઓનું…! આવા કટ્ટરવાદી ગુનેગારોને શાનમાં સમજી લેવાની ખાસ સલાહ છે…! જીવો અને જીવવા દો! કેમકે એક મરણિયો સોને ભારે પડે એવી સ્થિતિ પૈદા થશે, એની જવાબદારી
કોનાં સિરે જશે?