ચીન જેવા દેશમાં એકબાજુ ટેકનોલોજી હરણફાળ ભરી રહી છે, માનવજાતને વધુને વધુ મદદરૂપ થઈ શકાય તે માટે સતત વૈજ્ઞાનિક સંશોધનો થઈ રહ્યાં છે. બીજી તરફ આપણા કથિત વિશ્વગુરુ ભારત દેશમાં સવર્ણો દેશનો અધોગતિ તરફ ધકેલી રહ્યાં હોય તેવી સ્થિતિ છે.
જાતિવાદ દિન પ્રતિદિન વકરતો જાય છે અને સરકાર મૂકપ્રેક્ષક બની સવર્ણોને જાણે છાવરી રહી હોય તેવી સ્થિતિ છે. આવી જ એક ઘટનામાં બે દલિત યુવકો પર પાણી પીવા જેવી સામાન્ય બાબતે છરીથી હુમલો કરાયો હતો.

મામલો ઉત્તરાખંડના હલ્દ્વાનીનો છે. અહીંના ગૌલાપાર વિસ્તારમાં આયોજિત એક લગ્નના રિસેપ્શન સમારોહમાં પાણી પીવા જેવી ક્ષુલ્લક બાબતે થયેલા વિવાદમાં બે દલિત યુવકો પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં બંને યુવકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: રાજકોટના સરધારમાં ડૉ.આંબેડકરની પ્રતિમા ઉખાડીને ફેંકી દેવાતા રોષ
શું છે સમગ્ર ઘટના?
મળેલી માહિતી મુજબ, 10 મેની રાત્રે ગૌલાપારના દેવલા મલ્લા ગામમાં એક લગ્ન પ્રસંગ હતો. આ પ્રસંગમાં શુભમ ટમટા અને તેનો સાળો અજય ડીજે (DJ) વગાડવાનું કામ કરી રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તરસ લાગતા શુભમ નજીકમાં રાખેલા ગ્લાસમાંથી પાણી પીવા ગયો હતો. આ સમયે ત્યાં હાજર એક શખ્સે તેને અટકાવી જ્ઞાતિસૂચક અપશબ્દો બોલી ગાળાગાળી શરૂ કરી હતી.
શુભમે આ અભદ્ર વર્તનનો વિરોધ કરતા મામલો ઉગ્ર બન્યો હતો. જોતજોતામાં વર પક્ષના અન્ય લોકો ત્યાં ધસી આવ્યા હતા અને બંને દલિત યુવકો સાથે મારામારી શરૂ કરી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ ધારદાર છરી વડે હુમલો કરતા શુભમ અને અજય લોહીલુહાણ થયા હતા. આ ઘટનાની જાણ થતા શુભમનો ભાઈ ઉમેશ ચંદ ટમટા સ્થળ પર પહોંચ્યો હતો, તેની સાથે પણ હુમલાખોરોએ મારપીટ કરી સોનાની ચેન અને રોકડ રકમ લૂંટી લીધી હોવાનો આક્ષેપ કરાયો છે.

આ પણ વાંચો: ઓડિશામાં કોર્ટે દલિતો-આદિવાસીઓને પોલીસ સ્ટેશન સાફ કરવાની સજા કરી!
ભીમ આર્મીના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું
ઘટના બાદ બંને ઇજાગ્રસ્તોને ડૉ. સુશીલા તિવારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. સોમવારે આ ઘટનાના વિરોધમાં ગ્રામીણ મહિલાઓ, સ્થાનિકો અને ભીમ આર્મીના કાર્યકરો મોટી સંખ્યામાં કાઠગોદામ પોલીસ મથકે પહોંચ્યા હતા. પ્રદર્શનકારીઓએ આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.
4 શંકાસ્પદોની માત્ર અટકાયત કરાઈ
કાઠગોદામ પોલીસના જણાવ્યા અનુસાર, પીડિત પક્ષની ફરિયાદના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં ચાર શંકાસ્પદ શખ્સોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. બીજી તરફ, સામા પક્ષે પણ મહિલાને ઈજા થઈ હોવાની વળતી ફરિયાદ કરી છે. એસ.ઓ. વિમલ મિશ્રાએ જણાવ્યું હતું કે, આ મામલે એસસી-એસટી (SC-ST) એક્ટ હેઠળના આક્ષેપોની તપાસ ક્ષેત્રાધિકારી (CO) સ્તરના અધિકારી દ્વારા કરવામાં આવશે. તપાસમાં જે પણ તથ્યો સામે આવશે તેના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: બાલાઘાટમાં બાબાસાહેબ અને ફૂલે દંપતીની પ્રતિમા ઉખાડીને ફેંકી દેવાઈ











