પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુર જિલ્લામાં આવેલા બંસીહારી તાલુકાના દેઉરિયા ગામમાં એક ચોંકાવનારી ઘટના બની છે. શનિવાર, 9 મેના રોજ અહીં ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ ગણાતા સંથાલ વિદ્રોહના પ્રણેતા આદિવાસી નાયકો સિદ્ધૂ મુર્મૂ અને કાન્હૂ મુર્મૂની પ્રતિમાઓ સાથે થયેલી તોડફોડ હતી. સ્થાનિક ગ્રામીણો જ્યારે સવારે ઘરની બહાર નીકળ્યા ત્યારે તેમણે જોયું કે દાયકાઓ પહેલા સ્થાપિત આ પ્રતિમાઓના હાથ તોડી નાખવામાં આવ્યા હતા અને તેના પર ભારતીય જનતા પાર્ટી (BJP) ના ઝંડા લહેરાવી દેવામાં આવ્યા હતા. આ દ્રશ્ય જોતા જ આદિવાસી સમાજમાં તીવ્ર આક્રોશ ફેલાઈ ગયો હતો.
ઘટનાની ગંભીરતાને જોતા સેંકડો આદિવાસી પુરુષો અને મહિલાઓ પરંપરાગત હથિયારો જેવા કે ધનુષ-બાણ અને લાકડીઓ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ બુનિયાદપુર-દૌલતપુર માર્ગ પર વાંસના બેરિકેડ્સ લગાવીને ચક્કાજામ કરી દીધો હતો. આ દરમિયાન ભીડનો ગુસ્સો ફાટી નીકળ્યો અને તેમણે સ્થાનિક ભાજપ કાર્યાલયમાં તોડફોડ કરી હતી તેમજ પક્ષના ઝંડા અને ફર્નિચરને આગ ચાંપી દીધી હતી. પ્રદર્શનનું નેતૃત્વ મુખ્યત્વે મહિલાઓ કરી રહી હતી, જેઓ દોષિતોની તાત્કાલિક ધરપકડની માંગ કરી રહી હતી.

આ પણ વાંચો: જાતિવાદી તત્વોએ મધરાતે ડો.આંબેડકરની પ્રતિમાનો હાથ તોડી નાખ્યો
રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ
આ ઘટનાએ પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભાજપ વચ્ચે રાજકીય યુદ્ધ છેડ્યું છે. આદિવાસી પ્રદર્શનકારીઓ અને તૃણમૂલ નેતાઓનો સીધો આક્ષેપ છે કે પ્રતિમા પર ભાજપના ઝંડા લગાવવા એ સ્પષ્ટ કરે છે કે આ કૃત્ય પાછળ કોનો હાથ છે. બીજી તરફ, ભાજપે આ આરોપોને સદંતર ફગાવી દીધા છે અને તેને વિપક્ષનું ષડયંત્ર ગણાવ્યું છે. પોલીસ અને કેન્દ્રીય દળોની ભારે અવરજવર બાદ આખરે ચાર કલાક પછી રસ્તો ખુલ્લો થયો હતો, પરંતુ સમગ્ર વિસ્તારમાં હજુ પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તે છે.
સંથાલ વિદ્રોહ અને ઐતિહાસિક અન્યાય
સિદ્ધૂ અને કાન્હૂ મુર્મૂ માત્ર મૂર્તિઓ નથી, પરંતુ તે આદિવાસી અસ્મિતા અને બ્રિટિશ શોષણ સામેના સંઘર્ષનું પ્રતીક છે. 1855માં થયેલા સંથાલ વિદ્રોહ બાદ અંગ્રેજોએ ‘સંથાલ પરગણા અધિનિયમ’ લાગુ કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ સંસ્થાનવાદી કાયદો આજે પણ ભારતીય કાયદાકીય માળખાનો હિસ્સો છે. આ કાયદાની પ્રસ્તાવનામાં આદિવાસીઓને ‘અસભ્ય’ ગણાવવામાં આવ્યા હતા, જે માનસિકતા આજે પણ કોઈને કોઈ સ્વરૂપે સિસ્ટમમાં જોવા મળે છે.
આ પણ વાંચો: ‘જો મારી લારી નહીં મળે તો પોલીસ ચોકી સામે દારૂ વેચીશ’

વળી, આઝાદી પછી પણ ‘ક્રિમિનલ ટ્રાઈબ્સ એક્ટ’ (1871) જેવી જોગવાઈઓ ‘હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ એક્ટ’ તરીકે ચાલુ રહી, જેના કારણે ડિ-નોટિફાઇડ આદિવાસી સમુદાયો આજે પણ સામાજિક પૂર્વગ્રહોનો શિકાર બને છે. દક્ષિણ દિનાજપુરની આ ઘટના માત્ર પ્રતિમાની તોડફોડ નથી, પરંતુ આદિવાસી ઇતિહાસ અને તેમના સ્વાભિમાન પરના હુમલા સમાન છે.
આદિવાસી સમાજને ન્યાય ક્યારે
આદિવાસી સમુદાયના ઉત્થાન માટે માત્ર કાયદાઓ કે સુરક્ષા પૂરતી નથી. બંધારણની પાંચમી અને છઠ્ઠી અનુસૂચિમાં આદિવાસી વિસ્તારો માટે વિશેષ જોગવાઈઓ હોવા છતાં, જમીની સ્તરે માનસિકતા બદલાવી જરૂરી છે. જયપાલ સિંહ મુંડા અને સરદાર પટેલ જેવા મહાનુભાવોએ બંધારણ સભામાં જે સન્માન અને સમાનતાની વાત કરી હતી, તેને ખરા અર્થમાં અમલમાં મૂકવાની જરૂર છે. જ્યાં સુધી આદિવાસી નાયકો અને તેમની વિરાસતને રાજકીય સ્વાર્થથી દૂર રાખીને સન્માન નહીં મળે, ત્યાં સુધી આવી ઘટનાઓ સામાજિક એકતા માટે જોખમ બની રહેશે.
આ પણ વાંચો: દલિત મહિલાને મર્યા પછી પણ તેનું ‘દલિત’ હોવું નડ્યું











