મોદી સરકારની કથની અને કરણીમાં આભ-જમીનનું અંતર હોય છે તે બાબત અનેક કિસ્સાઓમાં સાચી પડી ચૂકી છે. ત્યારે આવો જ વધુ એક કિસ્સો પાણી મામલે સામે આવ્યો છે. સરકારે જે જિલ્લાને દેશનો પ્રથમ હર ઘર જલ જિલ્લો જાહેર કર્યો હતો, તે જિલ્લામાં પાણીનું સંકટ ગંભીર બન્યું છે. સ્થિતિ એવી પેદા થઈ છે કે, આદિવાસી બાળકો એક બેડું પાણી માટે 30 ફૂટ ઉંડા કૂવામાં જીવના જોખમે ઉતરીને પાણી ભરવા મજબૂર બન્યા છે.
મામલો મધ્ય પ્રદેશના બુરહાનપુરનો છે. હાલ મધ્યપ્રદેશ સહિત દેશ આખો જ્યારે ભીષણ ગરમી અને 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો સામનો કરી રહ્યો છે, ત્યારે અહીંના બુરહાનપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે. સરકારી તંત્ર દ્વારા ચલાવવામાં આવતી નલ-જલ યોજનાઓ અને જલ જીવન મિશનના દાવાઓ વચ્ચે ધુલકોટ ક્ષેત્રના ગ્રામ પંચાયત ભગવાનિયા હેઠળ આવતા રેખલિયા ઝિરા ફાલિયામાં વાસ્તવિકતા તદ્દન વિપરીત જોવા મળી રહી છે. અહીંના 30થી વધુ આદિવાસી પરિવારો આજે પણ પાણીના એક-એક ટીપા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

જીવના જોખમે 30 ફૂટ ઊંડા કૂવામાં ઉતરતા માસૂમો
રેખલિયા ઝિરા ફાલિયામાં ગ્રામીણો પાસે પાણી મેળવવાનો એકમાત્ર સ્ત્રોત એક અધૂરો કૂવો છે, જેની સુરક્ષા માટે કોઈ મુંડેર (દિવાલ) પણ બનાવવામાં આવી નથી. આ વિસ્તારમાં અન્ય કોઈ જળ સ્ત્રોત ન હોવાને કારણે, માસૂમ બાળકો અને મહિલાઓ દોરડા અને ઝાડના મૂળના સહારે 30 ફૂટ ઊંડા અને પથરાળ ઢાળવાળા જોખમી કૂવામાં ઉતરવા મજબૂર બન્યા છે. પાણી ભરવાની આ પ્રક્રિયા અત્યંત જોખમી છે, જેમાં એક બાળક નીચે ઉતરીને વાસણ ભરે છે, બીજો બાળક ઢાળ પર ઊભા રહીને તેને ઉપર પહોંચાડે છે અને ત્રીજો બાળક પાણી એકઠું કરે છે. આ દરમિયાન સહેજ પણ પગ લપસતાં મોટી દુર્ઘટના થવાનો ભય સતત રહે છે.
આ પણ વાંચોઃ કરજણના MLA ના પુત્રએ આદિવાસી ડ્રાઈવરને ઉંધો લટકાવી માર્યો!

‘હર ઘર જલ’ જિલ્લાના દાવાઓની પોલ ખૂલી
નોંધનીય છે કે બુરહાનપુર જિલ્લાને દેશનો પ્રથમ “હર ઘર જલ” સુવિધા આપનારો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. તંત્ર અને સરકાર દ્વારા દરેક ઘરે સ્વચ્છ પાણી પહોંચાડવાના દાવા કરવામાં આવે છે, પરંતુ આ આદિવાસી બહુલ વિસ્તારના વાસ્તવિક દ્રશ્યો સરકારી દાવાઓની પોલ ખોલી રહ્યા છે. ગ્રામીણોના જણાવ્યા અનુસાર, કૂવાનું આ પાણી અત્યંત ગંદુ અને દુર્ગંધયુક્ત છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવા છતાં તેમની પાસે અન્ય કોઈ વિકલ્પ નથી. સ્વચ્છ પાણી માટે અહીંથી આશરે 5 કિલોમીટર દૂર જવું પડે તેમ છે, જે આ કાળઝાળ ગરમીમાં શક્ય નથી.
#MP: बुरहानपुर के धूलकोट क्षेत्र में जल जीवन मिशन के दावों की हकीकत सामने आई है। यहां रेखालिया झिरा फालिया के 45 आदिवासी परिवार गंदे कुएं के पानी पर निर्भर हैं, जबकि बच्चे जान जोखिम में डालकर 25 फीट गहरे कुएं में उतरकर पानी भरने को मजबूर हैं। pic.twitter.com/ARpSrqAsh2
— तरुण चतुर्वेदी (@imbebaktarun) May 26, 2026
40 વર્ષથી સમસ્યા યથાવત: ગ્રામીણોમાં આક્રોશ
સ્થાનિક ગ્રામીણોના જણાવ્યા અનુસાર, આ ફળિયામાં છેલ્લા 40 વર્ષથી પરિવારો વસવાટ કરે છે. ગ્રામીણોએ શ્રમદાન કરીને એક કૂવો ખોદ્યો હતો, પરંતુ તે હજુ પણ અધૂરો છે. ગ્રામ પંચાયત સમક્ષ અનેકવાર કૂવાને ઊંડો કરવા અને તેના પાકા નિર્માણ માટે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા તેને નજરઅંદાજ કરવામાં આવી છે. સ્થાનિક મહિલા કોનુ બાઈએ પણ વહીવટી તંત્ર પાસે તાત્કાલિક ટેન્કરો દ્વારા સ્વચ્છ પાણી પૂરું પાડવાની અને વીજળી તેમજ પાણીની કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરી છે.

આ પણ વાંચોઃ આદિવાસી ક્રાંતિકારીઓ સિદ્ધૂ-કાન્હૂની પ્રતિમા તોડી ભાજપના ઝંડા લગાવાયા
કલેક્ટરે શું કહ્યું?
આ ગંભીર મામલો સોશિયલ મીડિયા અને મીડિયા અહેવાલો દ્વારા પ્રકાશમાં આવ્યા બાદ વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. બુરહાનપુરના કલેક્ટર હર્ષ સિંહે જણાવ્યું હતું કે, આ બાબત ધ્યાનમાં આવતા જ તપાસ કરાવવામાં આવી છે. કૂવાના જળસ્તર નીચે ગયા હોવાનું સામે આવ્યું છે. સુરક્ષાના પગલાં રૂપે કૂવામાં નીચે ઉતરવાનો જોખમી રસ્તો બંધ કરાવી દેવામાં આવ્યો છે અને ગ્રામીણો માટે તાત્કાલિક ધોરણે ટેન્કરો દ્વારા પાણી પુરવઠો શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, સ્થાનિક ખેડૂતને કપિલધારા યોજનાનો લાભ આપવાની પ્રક્રિયા પણ શરૂ કરાઈ છે.
આ પણ વાંચોઃ આદિવાસીઓ સામેના ગુનાઓ મામલે MP ફરી નંબર-1










