જમીન વિવાદમાં ફાયરિંગ થતા ઘર બહાર બેઠેલા દલિત યુવકનું મોત

જમીન વિવાદમાં બે પક્ષો વચ્ચે થયેલા અંધાધૂંધ ફાયરિંગ દરમિયાન પોતાના ઘર બહાર બેઠેલા નિર્દોષ દલિત યુવકનું મોત થઈ ગયું.
Dalit youth dies

મુરાદાબાદ: ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના કુંદરકી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા ખનૂપુરા ગામમાં રવિવારે સવારે જમીન વિવાદને લઈને બે પક્ષો વચ્ચે હિંસક અથડામણ અને અંધાધૂંધ ફાયરિંગની ઘટના દરમિયાન પોતાના ઘરની બહાર બેઠેલા અંકિત નામના એક નિર્દોષ દલિત યુવકનું ગળામાં ગોળી વાગવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ હતી અને દલિત સમાજે કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવી દેખાવો કર્યા હતા. સ્થિતિ વણસતા જ કલેક્ટર (DM) ડૉ. રાજેન્દ્ર પેન્સિયા અને જિલ્લા પોલીસ વડા (SSP) સતપાલ અંતિલ સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો.

મામલો શું હતો?

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, ખનૂપુરા ગામના રહેવાસી સુખવીર સિંહે ત્રણ વર્ષ પહેલાં ગામના જ વિશાલ નામના વ્યક્તિના પરિવાર પાસેથી ત્રણ વીઘા જમીન ખરીદી હતી. જો કે, વિશાલ આ જમીનને પોતાની માલિકીની ગણાવતો હતો, જેના કારણે સુખવીર અને વિશાલના પરિવાર વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ગંભીર વિવાદ ચાલી રહ્યો હતો. આ પૂર્વે પણ બંને પક્ષો વચ્ચે અવારનવાર મારામારી અને સામસામે ફાયરિંગની ઘટનાઓ બની ચૂકી હતી. રવિવારે સવારે આશરે સાત વાગ્યાની આસપાસ સુખવીર સિંહનો પુત્ર આશિષ ટ્રેક્ટર-ટ્રોલી લઈને વિશાલના ઘરની સામે આવેલા પોતાના ખેતરમાં ખાતર નાખવા માટે ગયો હતો.

આ પણ વાંચો: ગટર સફાઈ દરમિયાન બાપ-દીકરા સહિત 3નાં મોત, મૃતદેહો રઝળ્યાં

બંને ભાઈઓએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું

આશિષને ખેતરમાં જોઈને જૂની અદાવતમાં વિશાલ તેના ભાઈ નિખિલ સાથે ત્યાં પહોંચી ગયો હતો અને ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. આશિષે ગાળાગાળીનો વિરોધ કરતા જ બંને ભાઈઓએ લાકડી-ડંડા વડે તેના પર તૂટી પડીને જીવલેણ હુમલો કર્યો હતો. બૂમાબૂમ થતાં આસપાસના ગ્રામજનો અને આશિષના પરિવારના સભ્યો તેને બચાવવા દોડ્યા હતા. ભીડને પોતાની તરફ આવતી જોઈને વિશાલ અને નિખિલ ભાગીને પોતાના ઘરે ગયા હતા અને અંદરથી ગેરકાયદેસર તમંચા (દેશી બંદૂક) કાઢી લાવ્યા હતા. બંને ભાઈઓએ આવીને તુરંત જ ત્યાં ઉભેલા લોકો પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

પોતાના ઘરે બેઠેલા નિર્દોષ દલિત યુવકને ગોળી વાગી

આ ગોળીબાર દરમિયાન એક ગોળી આશિષને અડકીને નીકળી ગઈ હતી, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જ્યારે બીજી તરફ, આ વિવાદ સાથે કોઈ લેવાદેવા ન ધરાવતો અને પોતાના ઘરની બહાર આરામથી બેઠેલો દલિત યુવક અંકિત અચાનક આ ફાયરિંગની ઝપેટમાં આવી ગયો હતો. એક ગોળી સીધી અંકિતની ગરદન પર વાગતા તે લોહીલુહાણ થઈને ઢળી પડ્યો હતો અને ઘટનાસ્થળે જ તેણે દમ તોડી દીધો હતો. હત્યાની આ ઘટનાને અંજામ આપ્યા બાદ બંને આરોપી ભાઈઓ હવામાં હથિયારો લહેરાવતા ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો: 14 વર્ષની દલિત સગીરાને 20 દિવસ બંધક બનાવી સામૂહિક દુષ્કર્મ

દલિત સમાજે યુવકના શબને ત્યાં જ મૂકીને વિરોધ નોંધાવ્યો

નિર્દોષ યુવકની હત્યાથી રોષે ભરાયેલા દલિત સમાજના લોકો અને ગ્રામજનોએ ઘટનાસ્થળે જ શબને રોકીને ભારે સૂત્રોચ્ચાર અને હંગામો શરૂ કર્યો હતો. પોલીસ જ્યારે શબનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે ગ્રામજનોએ પોલીસ સાથે ઉગ્ર હુંસાતુંસી કરી હતી. ગ્રામીણ નેતાઓ અને પીડિત પક્ષના લોકો આરોપીઓની તાત્કાલિક ધરપકડ ન થાય ત્યાં સુધી શવને પોસ્ટમોર્ટમ માટે ન મોકલવાની જીદ પર અડી ગયા હતા.

ઘટનાની ગંભીરતાને જોતા એસપી દેહાત કુંવર આકાશ સિંહ સહિત ભારે પોલીસ કાફલો તહેનાત કરી દેવાયો હતો. અંતે ડીએમ અને એસએસપીએ પીડિત પરિવારને કડક ન્યાયિક કાર્યવાહી અને આરોપીઓને ટૂંક સમયમાં પકડી પાડવાનું સત્તાવાર આશ્વાસન આપ્યા બાદ જ મામલો શાંત પડ્યો હતો અને શવને પીએમ માટે મોકલાયો હતો. હાલ પોલીસની અલગ-અલગ ટીમો ફરાર આરોપીઓની શોધખોળ ચલાવી રહી છે.

આ પણ વાંચો: ડે.કલેક્ટરની હેરાનગતિથી કંટાળી દલિત યુવકે કલેક્ટર કચેરીમાં ગળેફાંસો ખાધો!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x