સિવની માલવા: મધ્યપ્રદેશના સિવની માલવા ક્ષેત્રમાં વર્ષ 2022માં બનેલી ચકચારી મોબ લિંચિંગની ઘટનામાં અદાલતે તમામ 14 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. જો કે, આ ચુકાદો આપ્યા બાદ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ (ADJ) તબસ્સુમ ખાનને તેમની ધાર્મિક ઓળખને કારણે સોશિયલ મીડિયા પર દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે. કટ્ટરપંથી તત્વો દ્વારા તેમને અભદ્ર ગાળો આપવા સાથે દેશમાં નર સંહાર કરવાની ખુલ્લી ધમકીઓ આપવામાં આવી રહી છે. પરિસ્થિતિની ગંભીરતા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા જજના નિવાસસ્થાન અને કોર્ટ પરિસરની સુરક્ષામાં મોટો વધારો કરી દેવામાં આવ્યો છે.
મોબ લિંચીગનો કેસ શું હતો
સિવની માલવાના બરાખડ ગામમાં 3 ઓગસ્ટ 2022ની રાત્રે એક ઉશ્કેરાયેલી ભીડે ટ્રક પર સવાર ત્રણ લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હિંસક ઘટનામાં નઝીર અહમદ નામના યુવકનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે પીડિતોને પોલીસે સમયસર પહોંચીને ભીડના ચુંગાલમાંથી બચાવી લીધા હતા. આ મામલે પોલીસે 14 આરોપીઓની ઓળખ કરીને તેમની સામે હત્યા, હત્યાનો પ્રયાસ, બલવો અને રસ્તો રોકવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

આ પણ વાંચો: નેતાઓએ વાયદો ન પાળ્યો, આદિવાસીઓએ જાતે પહાડ કાપી રસ્તો બનાવ્યો
આ કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ એડીજે તબસ્સુમ ખાનની અદાલતે તમામ 14 આરોપીઓને ગુનેગાર ઠેરવી આજીવન કેદની સજા સંભળાવી હતી. ચુકાદા બાદ કોર્ટ પરિસરમાં દોષિતોના પરિવારોએ હોબાળો મચાવી પોલીસ વાહનો રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો.
જજને ધાર્મિક આધારે નિશાન બનાવી નર સંહારની ધમકી
અદાલતી ચુકાદા બાદ સોશિયલ મીડિયા પર જજ તબસ્સુમ ખાન વિરુદ્ધ ભયાનક નફરત ફેલાવવામાં આવી રહી છે. કટ્ટરપંથીઓ દ્વારા તેમને ધર્મના આધારે અપમાનિત કરીને ‘જેહાદી’ જેવા શબ્દો લખવામાં આવી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કટ્ટરપંથી યુવક જજ તબસ્સુમ ખાનને અત્યંત અશ્લીલ ગાળો આપી રહ્યો છે અને ધમકી આપતા કહી રહ્યો છે કે, “જો આગામી 10 દિવસની અંદર અમારા 14 ભાઈઓને મુક્ત કરવામાં નહીં આવે તો સમગ્ર દેશ અને રાજ્યમાં કતલ-એ-આમ (નર સંહાર) કરવામાં આવશે.” આ વીડિયોમાં યુવક અન્ય લોકોને પણ ધાર્મિક રીતે ભડકાવતો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: 12 વર્ષના પુત્રની નજર સામે આદિવાસી મહિલા પર ગેંગરેપ

કોર્ટ પરિસર અને જજના નિવાસસ્થાને સુરક્ષા કડક કરાઈ
જજ તબસ્સુમ ખાનનું સરકારી નિવાસસ્થાન કોર્ટ પરિસરની અંદર જ આવેલું હોવાથી સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. અસામાજિક કે કટ્ટરપંથી તત્વો દ્વારા જજના આવાસ અથવા કોર્ટ પર હુમલો કરવામાં આવે તેવી આશંકાને પગલે સમગ્ર પરિસરમાં ભારે માત્રામાં સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે. હાલમાં કોર્ટ અને તેની આસપાસના વિસ્તારોમાં પોલીસ કમાન્ડો અને સશસ્ત્ર જવાનો દ્વારા સખત દેખરેખ રાખવામાં આવી રહી છે.
ભારતમાં મોબ લિંચિંગ વિરોધી કાયદો
ઉલ્લેખનીય છે કે, ભારતીય કાયદા હેઠળ મોબ લિંચિંગ વિરુદ્ધ કડક જોગવાઈઓ કરવામાં આવી છે. આ કાયદા અનુસાર, જ્યારે 5 કે તેથી વધુ લોકોની ભીડ ભેગી મળીને જ્ઞાતિ, સમુદાય, લિંગ, ભાષા કે વ્યક્તિગત માન્યતાના આધારે કોઈ વ્યક્તિની હત્યા કરે છે, ત્યારે તે ભીડના પ્રત્યેક સભ્યને મૃત્યુદંડ (ફાંસી), આજીવન કેદ અથવા ભારે દંડની સજા કરવાની સ્પષ્ટ જોગવાઈ છે.
આ કાયદાકીય જોગવાઈના આધારે જ અદાલતે તમામ આરોપીઓ સામે કડક વલણ અપનાવ્યું છે. પ્રશાસન હાલમાં વાયરલ વીડિયોની તપાસ કરી રહ્યું છે અને ધમકી આપનાર તત્વો સામે કડક કાનૂની પગલાં લેવાની તૈયારી ચાલી રહી છે.
આ પણ વાંચો: દલિત કર્મચારીને પિસ્તોલ બતાવી બ્રાહ્મણ શખ્સે મફત પેટ્રોલ ભરાવ્યું











