દિલ્હી ખાતે વિવિધ મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શનો શમ્યાના 24 કલાકમાં જ ગુજરાતમાં RSS ના ઈશારે સોશિયલ મીડિયા પર ‘રિઝર્વેશન હટાવો આંદોલન’ નામના અનામત વિરોધી જૂથે જોર પકડ્યું હતું. પણ ગુજરાતના જાગૃત ઓબીસી, એસસી, એસટી યુવાનોના કાઉન્ટરને કારણે આ હુમલાનું સૂરસૂરિયું થઈ ગયું હતું.
આ અભિયાનના કારણે દેશ સહિત ગુજરાતના રાજકારણ અને સામાજિક વર્તુળોમાં ભારે સળવળાટ શરૂ થયો છે. રાજ્યમાં અનામત આંદોલનનો ચહેરો બનેલા કેટલાક આગેવાનોએ આ અનામત વિરોધી આંદોલનને ખુલ્લું સમર્થન આપ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે આઝાદીના 75 વર્ષ પછી હવે દેશમાં અનામતની નીતિમાં સુધારો જરૂરી છે અને અનામત જ્ઞાતિ આધારિત નહીં, પરંતુ માત્ર ગરીબી અને આર્થિક સ્થિતિના આધારે જ મળવી જોઈએ. પરંતુ તેમને જયેશ વરિયા, અંકિત ઠાકોર,કૌશિક શરૂઆત, આર.કે. પરમાર, બકુલા સોલંકી, મધુબેન કોરડીયા, વિનુ બામણીયા સહિતના યુવાનોએ બરાબરનો જવાબ આપ્યો હતો.

ભાજપ-RSS પ્રેરિત પ્યાદાંઓનો નિષ્ફળ પ્રયાસ!
સૂત્રોના મતે દિલ્હીમાં નીટ (NEET) પેપર લીક અને અન્ય મુદ્દાઓને લઈને જેન-ઝી (Gen-Z) યુવાનોના વિરોધ પ્રદર્શનો શાંત પડ્યા બાદ, સોશિયલ મીડિયા દ્વારા અનામત હટાવવા મુદ્દે ઝુંબેશ શરૂ કરાઈ હતી. આ સમગ્ર હિલચાલ પાછળ ભાજપ અને આરએસએસનો ઈશારો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
આ પણ વાંચો: SC-ST અનામતને ‘આવકના આધારે’ કરવાનો તખ્તો તૈયાર?
અનામતને આર્થિક ગરીબી હટાવવાનો કાર્યક્રમ ગણાવીને જ્ઞાતિ આધારિત અનામત નાબૂદ કરવાની આ નેતાઓની દલીલોનો મૂળ હેતુ દેશમાં પુનઃ મનુવાદી વર્ણવ્યવસ્થા દાખલ કરવાનો છે. સંઘ અને શાસક પક્ષ ભાજપ દ્વારા વર્ષોથી અનામત વ્યવસ્થા દૂર કરીને હિંદુ રાષ્ટ્ર મુજબની વર્ણવ્યવસ્થા સ્થાપિત કરવા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ વંચિત સમાજના લોકોની હિંમત અને સતત સંઘર્ષના કારણે તેમની કારી હજુ સુધી ફાવી નથી.
બહુજન યુવાનોનો સોશિયલ મીડિયા પર પ્રતિકાર
આ વખતે પણ સંઘ દ્વારા પ્યાદાંઓને આગળ ધરીને અનામત હટાવવાના નામે ગુજરાતમાં ફરી એકવાર જાતિવાદનું ઝેર ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો હતો, પરંતુ આ વખતે તેમની કોઈ ચાલ સફળ થઈ નથી. કારણ કે ગુજરાતનો ઓબીસી, એસસી અને એસટી સમાજ હવે જાગૃત થઈ ચૂક્યો છે. સોશિયલ મીડિયા પર અનામતની તરફેણમાં હવે બહુજન અને વંચિત સમાજના યુવાનોએ અભૂતપૂર્વ મોરચો સંભાળી લીધો છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા માધ્યમો પર જયેશ વરિયા, અંકિત રાઠોડ, કૌશિક શરૂઆત, આર.કે. પરમાર, બકુલા સોલંકી, મધુબેન કોરડીયા, વિનુ બામણીયા સહિતના જાગૃત એસસી, એસટી, ઓબીસી યુવાનો ખુલ્લેઆમ અનામતના સમર્થનમાં મેદાને આવ્યા છે. ઓબીસી, એસસી સમાજના યુવાનો હવે તેમના અસલી દુશ્મનોને ઓળખી ગયા છે અને પોતાના અનામત ક્વોટાનું રક્ષણ કરવા લડી રહ્યા છે.

આ પણ વાંચો: બંગાળની શુભેન્દુ સરકારે OBC અનામત 17 ટકાથી ઘટાડીને 7 ટકા કરી!
ગેરબંધારણીય EWS અનામત સામે આંદોલનનું બ્યુગલ
આ ઉપરાંત, ગુજરાતના જાગૃત ઓબીસી, એસસી, એસટી સમાજના યુવાનોએ હવે ગેરબંધારણીય EWS (આર્થિક રીતે નબળા વર્ગ) અનામત સામે પણ આંદોલન છેડ્યું છે. સામાન્ય વર્ગના આર્થિક રીતે સક્ષમ લોકોને ફાયદો કરાવવા માટે EWS અનામત લાવવામાં આવ્યું હોવાનો આરોપ મૂકીને યુવાનો તેને રદ કરવાની માગ કરી રહ્યા છે. શાસક પક્ષ અને આરએસએસ પ્રેરિત પ્યાદાંઓ દ્વારા ચલાવવામાં આવતા કોઈપણ અનામત વિરોધી આંદોલન સામે બહુજન સમાજ એકજૂથ થઈને પોતાના બંધારણીય હકોનું રક્ષણ કરવા સંપૂર્ણપણે સમર્પિત જોવા મળી રહ્યો છે.
ડો. આંબેડકરના બંધારણીય તર્ક અને સામાજિક ન્યાય
આ જાગૃત યુવાનો સ્પષ્ટ કરી રહ્યા છે કે અનામત એ કોઈ આર્થિક ભીખ કે ગરીબી નાબૂદીની યોજના નથી, પરંતુ હજારો વર્ષોથી સામાજિક રીતે શોષિત અને પછાત રખાયેલા સમાજને શાસન, પ્રશાસન, નોકરીઓ અને શિક્ષણમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવાનું સશક્ત બંધારણીય માધ્યમ છે. અનામત અંગે ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરે બંધારણ સભામાં અત્યંત સ્પષ્ટ અને મજબૂત તર્ક રજૂ કર્યા હતા.
આ પણ વાંચો: ‘જ્યાં સુધી બ્રાહ્મણ દીકરી ન આપે, ત્યાં સુધી અનામત ચાલુ રહેશે’
ડો. આંબેડકરે ભારપૂર્વક કહ્યું હતું કે, “અનામત એ આર્થિક ગરીબી નાબૂદીનો કાર્યક્રમ નથી, પરંતુ તે સદીઓથી ચાલી આવતી સામાજિક અસમાનતા, જાતિગત વિષમતા અને આભડછેટ દૂર કરવાનું સાધન છે.”
ભારતમાં ગરીબી આર્થિક હોઈ શકે છે, પરંતુ તેની પાછળ સામાજિક અને જાતિગત પૃષ્ઠભૂમિ સદીઓથી જવાબદાર રહી છે. જ્યાં સુધી સમાજમાં જાતિના આધારે ગૌરવ કે અપમાન નક્કી થાય છે, ત્યાં સુધી અનામત એ પછાત સમાજનો કુદરતી અને બંધારણીય અધિકાર છે. બંધારણના અનુચ્છેદ 15(4) અને 16(4) દ્વારા સ્પષ્ટ જોગવાઈ કરાઈ છે કે રાજ્યના વહીવટમાં જે વર્ગોનું પુરતું પ્રતિનિધિત્વ નથી, તેમને વિશેષ તકો, ભાગીદારી આપવી એ રાજ્યની બંધારણીય ફરજ છે.
આ પણ વાંચો: ‘OBC માં ક્રીમીલેયર માત્ર માતાપિતાની આવકના આધારે નક્કી ન થઈ શકે’











