ગુજરાતમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સવર્ણ જૂથો દ્વારા શરૂ કરવામાં આવેલા કહેવાતા ‘અનામત હટાવો આંદોલન’નું સંપૂર્ણપણે સૂરસૂરિયું થઈ ગયું છે. RSS ના ઈશારે અનામત નાબૂદ કરવાની અને જાતિગત અસમાનતાને પ્રોત્સાહન આપવાની જે કવાયત હાથ ધરવામાં આવી હતી, તેની સામે દલિત, આદિવાસી અને ઓબીસી (SC, ST, OBC) સમાજના જાગૃત નાગરિકોએ એવો મજબૂત પલટવાર કર્યો છે કે અનામત વિરોધીઓના ગળામાં હાડકું ભરાઈ ગયું છે.
સોશિયલ મીડિયા પર અનામત હટાવવાની વાતો કરનારા તત્વો હવે બેકફૂટ પર આવી ગયા છે, કારણ કે આ વિરોધના જવાબમાં હવે ‘EWS હટાવો’, ‘ખાનગી સેક્ટરમાં અનામત આપો’ અને ‘રિઝર્વેશન બઢાવો’ જેવા નવા અને આક્રમક અભિયાનોએ જોર પકડ્યું છે.

‘EWS હટાવો’ અને ‘ખાનગી ક્ષેત્રમાં અનામત’ના હેશટેગ ટ્રેન્ડ થયા
એક્સ (ટ્વિટર), ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર બહુજન સમાજના જાગૃત યુવાનો અને વિશ્લેષકો દ્વારા અનામતની તરફેણમાં વ્યાપક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ટ્રેન્ડ થઈ રહેલા હેશટેગ્સ અને પોસ્ટ્સ આ બાબતની સ્પષ્ટ જુબાની પૂરે છે.
આ પણ વાંચો: મુસ્લિમ યુવકના હત્યારા 14 ‘ગૌરક્ષકો’ને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
અનામત વિરોધીઓની ચાલ ઊંધી પડી ગઈ છે અને હવે સામાન્ય વર્ગના સંપન્ન લોકોને આપવામાં આવેલા 10 ટકા EWS અનામતને ગેરબંધારણીય ગણાવીને તેને તાત્કાલિક રદ કરવાની માંગણી સાથે યુવાનો વીડિયો અને પોસ્ટ શેર કરી રહ્યા છે. આ ઉપરાંત, દેશમાં સરકારી નોકરીઓનું પ્રમાણ ઘટી રહ્યું હોવાથી ખાનગી ક્ષેત્રમાં પણ એસસી, એસટી અને ઓબીસી સમાજને વસ્તીના ધોરણે અનામત આપવાની માંગણીએ જોર પકડ્યું છે.
સામાજિક ન્યાય અને પ્રતિનિધિત્વની માંગ પ્રબળ બની
બહુજન સમાજના યુવાનોનું કહેવું છે કે, અનામત એ કોઈ ગરીબી નાબૂદી યોજના કે આર્થિક સહાયની ભીખ નથી પરંતુ હજારો વર્ષોથી સામાજિક અસમાનતા અને શોષણનો ભોગ બનેલા સમાજને શાસન, પ્રશાસન, નોકરીઓ અને શિક્ષણ ક્ષેત્રે યોગ્ય પ્રતિનિધિત્વ આપવાનું બંધારણીય સાધન છે. જ્યારે અનામત વિરોધી જૂથોએ સવર્ણોના હિતમાં અનામત સમીક્ષાની વાતો વહેતી કરી, ત્યારે બહુજન સમાજે 50 ટકાની મર્યાદા દૂર કરીને વસ્તીના પ્રમાણમાં ‘અનામત બઢાવો’ આંદોલન શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો: ગૌશાળાઓએ મરેલી ગાયોના નામે કરોડોની સરકારી સહાય પડાવી
પરિણામે, જે લોકો અનામત નાબૂદ કરવાના સપના જોઈ રહ્યા હતા, તેમને હવે પોતાના ગેરબંધારણીય EWS ક્વોટાને બચાવવાના ફાંફા પડી રહ્યા છે.
#EWSआरक्षणहटाओ#Reservation_in_private_sectors pic.twitter.com/3KnxfTnAwV
— Reservation Badhao Andolan (@raambhagwaan) July 27, 2026
જાગૃત બહુજન સમાજ સામે ષડયંત્રો નિષ્ફળ
વર્ષોથી શાસક પક્ષ અને સંઘ પ્રેરિત તત્વો દ્વારા અનામત પ્રણાલીને નબળી પાડવાના અને બંધારણીય હકો છીનવી લેવાના પ્રયાસો થતા રહ્યા છે. પરંતુ વર્તમાન સમયમાં ડિજિટલ માધ્યમોના ઉપયોગથી દલિત, આદિવાસી અને ઓબીસી વર્ગના યુવાનો સંપૂર્ણપણે સંગઠિત અને જાગૃત થઈ ચૂક્યા છે. તેઓ પોતાના સામાજિક અને બંધારણીય અધિકારો પ્રત્યે સભાન બનીને દરેક ષડયંત્રનો યોગ્ય જવાબ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર શરૂ થયેલા આ વૈચારિક કાઉન્ટર-એટેકે સાબિત કરી દીધું છે કે, હવે વંચિત સમાજ પોતાના હકો પર ત્રાટકવાના કોઈ પણ પ્રયાસને સહન નહીં કરે અને સામાજિક ન્યાયની આ લડાઈને વધુ ઉગ્ર બનાવશે.
આ પણ વાંચો: શું કોકરોચ આંદોલન નવું અન્ના કે જેપી આંદોલન બની શકશે?











