ઉત્તરાખંડના હલ્દવાની સ્થિત રામલીલા મેદાનમાં આયોજિત કોંગ્રેસની ‘વિજય શંખનાદ’ રેલી બાદ મંચ પર કરવામાં આવેલા ‘શુદ્ધિકરણ હવન’ના મામલે રાજકારણ ભારે ગરમાયું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આ ઘટનાને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP) અને ધાર્મિક સંગઠનો પર ગંભીર આરોપો લગાવ્યા છે. સંસદની અંદર અને બહાર આકરા પ્રહારો કરતા ખડગેએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “દેશમાં દલિતો માટે કોઈ સ્થાન નથી અને ધર્મના નામે લોકોને વિભાજિત કરવાનું રાજકારણ રમાઈ રહ્યું છે.”
સંસદમાં ખડગેનો સવાલ: ‘આ કેવું લોકતંત્ર છે?’
ગત 8 ઓગસ્ટે હલ્દવાનીના રામલીલા મેદાનમાં ખડગેની રેલી યોજાઈ હતી. ત્યારબાદ શ્રીરામ સેના ધર્માર્થ સેવા ન્યાસ દ્વારા તે જ મંચ પર વૈદિક મંત્રોચ્ચાર સાથે શુદ્ધિકરણ હવન કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે રાજ્યસભામાં ગંભીર ચિંતા વ્યક્ત કરતા ખડગેએ ભારે દુઃખ સાથે કહ્યું હતું કે, “મેં હલ્દવાનીમાં રેલી દરમિયાન કોઈ ધર્મ કે સમાજનું નામ લીધું નહોતું, પરંતુ માત્ર જનતાની મૂળભૂત સમસ્યાઓ વાચા આપી હતી. આમ છતાં મારા સંબોધન બાદ મંચનું હવન કરીને શુદ્ધિકરણ કરવામાં આવ્યું. આ કેવી લોકશાહી છે?”
તેમણે ઉમેર્યું કે તેઓ આ મુદ્દાને માત્ર રાજકીય રંગ આપવા નથી માગતા, પરંતુ તે તેમની વ્યક્તિગત ગરિમા અને સામાજિક સન્માન પર સીધો પ્રહાર છે.

આ પણ વાંચો: દલિતોના ઉત્થાન માટે RSS ના રામરાજ્યની નહીં આંબેડકર યુગની જરૂર છે
‘હું મક્કમ છું, લડવાની તાકાત ધરાવું છું’
પોતાના દલિત પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, “હું અનુસૂચિત જાતિ (SC) સમાજમાંથી આવું છું, પરંતુ હું ક્યારેય કોઈની સામે મારી રક્ષા માટે કરગર્યો નથી. મારામાં અન્યાય સામે લડવાની સંપૂર્ણ શક્તિ છે અને હું લડતો રહીશ. પરંતુ ભાજપ અને તેના સહયોગી સંગઠનો શુદ્ધિકરણ નાટક કરીને મારો અને સમગ્ર દલિત સમાજનો અનાદર કરી રહ્યા છે.” ખડગેએ સાર્વજનિક મંચ પરથી માંગ કરી હતી કે શુદ્ધિકરણના નામે સામાજિક ભેદભાવ ફેલાવનારા આવા અસામાજિક તત્વો સામે તાત્કાલિક ગુનો નોંધીને તેમની ધરપકડ કરવામાં આવે.
આ પણ વાંચો: OBC-SC-ST યુવાનોની જાગૃતિને કારણે ‘અનામત હટાવો’નું સૂરસૂરિયું!
ધર્મના નામે રાજકારણ અને દેશને વહેંચવાનો પ્રયાસ
સંસદ ભવનની બહાર મીડિયા સાથે વાતચીત કરતી વખતે ખડગેએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે રામલીલા મેદાનનો ઉપયોગ તમામ રાજકીય પક્ષો સભાઓ માટે કરે છે, તો પછી દલિત નેતાના સંબોધન બાદ જ હવન કરવાની જરૂર કેમ પડી? આ પ્રકારના આયોજનો દેશમાં જાતિગત વૈમનસ્ય અને સામાજિક તિરાડ ઊભી કરવાનું કામ કરે છે.

ગૃહમંત્રી અમિત શાહ અને સરકાર સામે નિશાન તાક્યું
આ ઉપરાંત, ગૃહમંત્રી અમિત શાહના તાજેતરના નિવેદન અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ખડગેએ કહ્યું હતું કે, “જ્યારે સંસદ 19 દિવસ સુધી ચાલી અને સરકાર પાસે 25 થી 26 દિવસનો સમય હતો, ત્યારે તેમને કોઈ વાત યાદ ન આવી. હવે જ્યારે આખો એજન્ડા પૂરો થઈ ગયો છે ત્યારે લોકોનું ધ્યાન ભટકાવવા માટે નિવેદનો આપવામાં આવી રહ્યા છે.” તેમણે આક્ષેપ કર્યો કે સરકાર સંસદનો મૂલ્યવાન સમય બગાડી રહી છે અને જનતાના મુખ્ય પ્રશ્નોના જવાબ આપવાથી ભાગી રહી છે.
આ પણ વાંચો: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પણ જાતિ નડી!











