અયોધ્યા: અયોધ્યાના ભવ્ય રામ મંદિરના દાનપાત્રોમાંથી શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરાયેલા દાનની ચોરીના અહેવાલોએ સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. પ્રાથમિક અંદાજ મુજબ આ કથિત નાણાકીય ઉચાપત 200 કરોડ રૂપિયાથી વધુની હોઈ શકે છે. આ કેસની તપાસમાં નોટોની ગણતરી અને ઓડિટ કામગીરી સાથે સંકળાયેલા અંદાજે 50 જેટલા કર્મચારીઓ સીધા શંકાના ઘેરામાં આવ્યા છે.
પોલીસ અને વિવિધ તપાસ એજન્સીઓએ અત્યાર સુધીમાં સઘન કાર્યવાહી કરીને 5 મુખ્ય શંકાસ્પદ કર્મચારીઓ પાસેથી આશરે 2 કરોડ રૂપિયાની રોકડ રકમ, એક વૈભવી કાર અને ૩ આઈફોન જપ્ત કર્યા છે. કૌભાંડની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. ચાર દિવસ પહેલા જ દિલ્હીથી એક ઉચ્ચ સ્તરીય આઈપીએસ (IPS) અધિકારી વિશેષ વિમાન મારફતે અયોધ્યા પહોંચ્યા છે, જેઓ શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના પદાધિકારીઓ સાથે બેઠક કરીને સીધો કેન્દ્ર સરકારને રિપોર્ટ સોંપશે.

બીજી તરફ, ઉત્તર પ્રદેશ શાસન દ્વારા આ મામલાની તપાસ માટે એક હાઈ-લેવલ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે, જે 15 દિવસમાં પોતાનો અંતિમ અહેવાલ રજૂ કરશે.
આ પણ વાંચો: એન્જિનિયરીંગ, MBBS સહિત શિક્ષણ ફ્રી કરીશું: ચંદ્રશેખર આઝાદ
આવી રીતે સામે આવી કરોડોની ચોરી?
મંદિર પરિસરમાં સુરક્ષાના નિયમો મુજબ, રામલલ્લાના ગર્ભગૃહ અને દર્શન પથ પાસે રાખેલા દાનપાત્રોમાંથી કાઢવામાં આવતી તમામ રોકડ રકમને પરિસરની અંદર જ બનેલા એક ‘ગુપ્ત રૂમ’ માં લઈ જવામાં આવે છે. આ રૂમની ચોક્કસ ભૌગોલિક સ્થિતિ અત્યંત ગુપ્ત રાખવામાં આવે છે અને ત્યાં બહારની કોઈપણ વ્યક્તિનો પ્રવેશ નથી. આ ગુપ્ત રૂમમાં દાનની ગણતરી માટે કુલ 50 કર્મચારીઓ તહેનાત હતા, જેમને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા હતા.
પ્રથમ ભાગમાં 24 ખાનગી એજન્સીના કર્મચારીઓ હતા જેઓ નોટો ગણીને બંડલ બનાવતા હતા. બીજા ભાગમાં ટ્રસ્ટના 12 કર્મચારીઓ હતા, જેઓ આ 24 કર્મચારીઓ પર નજર રાખતા હતા. એટલે કે દેખરેખ માટે 1 કર્મચારીના ભાગે 2 ખાનગી કર્મચારી હતા. ત્રીજા ભાગમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના કર્મચારીઓ અને ટીસીએસ (TCS) ની ઓડિટ ટીમના 14 સભ્યો સામેલ હતા.

ખાનગી એજન્સીના કર્મચારીઓનો માસિક પગાર માત્ર 14,500 રૂપિયા છે, જ્યારે ટ્રસ્ટના કેટલાક લોકો માનદ સેવા આપતા હતા. આ કર્મચારીઓ પૈકીના કેટલાક અગ્રણીઓની જીવનશૈલીમાં છેલ્લા 5 વર્ષમાં આવેલા અચાનક અને અકલ્પનીય આર્થિક બદલાવે આ સમગ્ર ચોરીનો ભાંડો ફોડ્યો હતો. મર્યાદિત આવક ધરાવતા કર્મચારીઓ દ્વારા કરોડોની મિલકતો ખરીદવાની હકીકત જ્યારે મંદિર તંત્રે ન સાંભળી, ત્યારે રામકોટ મોહલ્લાના એક કર્મચારીએ આ બાબત જાહેર કરી દીધી અને તે અયોધ્યાની ગલીઓમાંથી રાજકીય ગલિયારા સુધી પહોંચી ગઈ.
આ પણ વાંચો: માણાવદરમાં રૂ. 39 કરોડના ભ્રષ્ટાચાર મુદ્દે દલિતોએ કલેક્ટરને રજૂઆત કરી
શંકાના દાયરામાં આવેલા મુખ્ય ચહેરાઓ અને તેમની સંપત્તિ
રામશંકર ઉર્ફે ટિન્નુ યાદવ: શ્રીરામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના અત્યંત ખાસ સહયોગી તરીકે ઓળખાતો ટિન્નુ યાદવ ટ્રસ્ટમાં ખૂબ જ વગદાર માનવામાં આવે છે. એક સમયે અયોધ્યામાં સામાન્ય મોટરસાયકલ પર ફરતો અને ઓટો ચલાવતો ટિન્નુ આજે અયોધ્યા અને લખનઉમાં અંદાજે 50 કરોડ રૂપિયાની ચલ-અચલ સંપત્તિનો માલિક હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તેનું પૈતૃક મકાન મંદિરથી 1.5 કિમી દૂર સ્વર્ગદ્વારમાં છે, પરંતુ હાલમાં એરપોર્ટ નજીક તેની 70 રૂમની ભવ્ય હોસ્ટેલ આવેલી છે. આ ઉપરાંત અયોધ્યાની 3 મોટી રેસ્ટોરન્ટમાં તેની ભાગીદારી છે અને લખનઉના નાકા વિસ્તારમાં બે માળનું મકાન તથા ફોર્ચ્યુનર કાર છે. હાલ પીસીએફ (PCF) યાત્રી સુવિધા કેન્દ્રમાં તેની કડક પૂછપરછ ચાલી રહી છે.
મનીષ યાદવ: ટિન્નુ યાદવે પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને પોતાના સગા ભત્રીજા મનીષ યાદવને મંદિરમાં નોટો ગણવાના કામમાં ગોઠવ્યો હતો. ચોરી પકડાયા બાદ મનીષની પણ અટકાયત કરાઈ છે અને તેણે બતાવેલી ગુપ્ત જગ્યાએથી તપાસ એજન્સીઓને 36 લાખ રૂપિયાની રોકડ રકમ હાથ લાગી છે.
આ પણ વાંચો: સ્વરોજગાર વધ્યા પણ લોકોની કમાણી કેમ વધતી નથી?
કેડી તિવારી: મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવતા સોના-ચાંદીના કિંમતી દાગીના સાચવવાની અને તેની રસીદ આપવાની મુખ્ય જવાબદારી કેડી તિવારી પાસે હતી. તેમની સામે અંદાજે 5 કરોડની અપ્રમાણસર સંપત્તિ એકત્ર કરવાનો આરોપ છે, જેમાં તાજેતરમાં ખરીદેલી 1.5 કરોડની જમીન તપાસના કેન્દ્રમાં છે. જો કે, તેમણે આક્ષેપો ફગાવતા દાવો કર્યો છે કે તેમનો મોટો દીકરો આઈબી (IB) માં અધિકારી છે, બીજો દીકરો યુપી પોલીસમાં એસઆઈ (SI) છે અને આ મિલકતો પરિવારની કમાણીની છે.
રાજેશ પાઠક અને અનુકલ્પ મિશ્રા: અયોધ્યાના ખાલે પુરવાના રહેવાસી અને નોટ ગણતરી ટીમના સભ્ય રાજેશ પાઠકની બદલાયેલી વૈભવી લાઈફસ્ટાઈલ અંગે પૂછપરછ ચાલુ છે. બીજી તરફ, અન્ય શંકાસ્પદ અનુકલ્પ મિશ્રાએ અયોધ્યાના કૌશલપુરીમાં 65 લાખનું ઘર ખરીદ્યું હતું અને પોતાના પૈતૃક ગામમાં આધુનિક ફાર્મ હાઉસ બનાવીને તાજેતરમાં જ ભાગવત કથા દરમિયાન સાડીઓ વહેંચી ભારે વૈભવ પ્રદર્શન કર્યું હતું.
લવકુશ: પૂર્વ કાર મિકેનિક અને અનુકલ્પના સાળા લવકુશની આર્થિક સ્થિતિ મંદિરમાં નોકરી મળ્યા બાદ રોકેટ ગતિએ બદલાઈ હતી. તેણે ગામલોકોને દારૂ પીવડાવવા પાછળ જ 50 હજાર રૂપિયા ખર્ચ્યા હતા. તપાસ ટીમે જ્યારે તેના રુદૌલી સ્થિત ઘરે દરોડો પાડ્યો ત્યારે કબાટ ઉપરાંત ઘરના પાછળના ભાગે રાખેલા છાણના ઢગલામાંથી છુપાવેલા 10 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. ફૈઝાબાદમાં બની રહેલું તેનું નવું મકાન પણ હાલ સીઝ કરાયું છે.
આ પણ વાંચો: યુપીમાં ડૉ. આંબેડકરના અસ્થિ કળશ સ્મારક મુદ્દે મોટો જંગ!
SIT ની રચના અને વહીવટી તપાસની રૂપરેખા
કરોડોના નાણાકીય કૌભાંડની ગંભીર તપાસ માટે સરકારે જે વિશેષ તપાસ સમિતિ (SIT) ની રચના કરી છે, તેમાં લખનઉના કમિશનર વિજય વિશ્વાસ પંત (IAS), આઈજી રેન્જ કિરણ એસ. (IPS) અને નાણા વિભાગના વિશેષ સચિવ નીલરતનને સામેલ કરાયા છે. આઈટી કાનપુરના પૂર્વ વિદ્યાર્થી વિજય વિશ્વાસ પંત સમગ્ર એસઆઈટીનું નેતૃત્વ કરીને દાનની વ્યવસ્થામાં સુધારા સૂચવશે. જ્યારે સીબીઆઈ (CBI) માં ડીઆઈજી રહી ચૂકેલા આઈપીએસ કિરણ એસ. ગુનાહિત અને પોલીસ દ્રષ્ટિકોણથી તપાસ સંભાળશે. વિશેષ સચિવ નીલરતન મંદિરના ઓડિટ અને બેંકિંગ વ્યવહારોનું ટેકનિકલ નિરીક્ષણ કરશે.
राम मंदिर चढ़ावे में आए सोने चांदी हीरे के जेवरात को पार करके वहां नकली रख देने का मामला भी सामने आया है, प्रतिदिन 10 से 15 लाख रुपए या इससे भी ज्यादा की चोरी डकैती की बात सामने आ रही है।
प्राप्त सूचनाओं के अनुसार यह चोरी 200 करोड रुपए से अधिक की हो सकती है, जमीन घोटाला, दान,… pic.twitter.com/8Iznsr2ndw
— Samajwadi Party Media Cell (@mediacellsp) June 15, 2026
જો કે, આ સમિતિમાં કોઈ નિવૃત્ત ન્યાયાધીશ ન હોવાથી અયોધ્યાના સંતોમાં તપાસની પારદર્શિતા અંગે અસંતોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ અયોધ્યા પહોંચીને સ્પષ્ટ કર્યું છે કે તેમનું કામ માત્ર નિર્માણ કાર્ય જોવાનું છે, ટ્રસ્ટની આંતરિક બાબતો કે ચઢાવાની ચોરી સાથે તેમને કોઈ સંબંધ નથી. હાલ તમામ 50 કર્મચારીઓના બેંક ખાતા અને મિલકતોના દસ્તાવેજો ચકાસવાની કાર્યવાહી એજન્સીઓ દ્વારા યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: રામ મંદિરનું દાન ગણનાર બ્રાહ્મણના ઘરેથી છાણામાં છુપાવેલા રૂ. 10 લાખ મળ્યાં











