ડો.આંબેડકરની પ્રતિમાને તોફાની તત્વોએ બે વર્ષમાં બે વખત ખંડિત કરી

ડો. આંબેડકરની પ્રતિમાની મોકાની જમીન પડાવી લેવા તોફાની તત્વોએ બે વર્ષમાં બે વાર પ્રતિમાને ખંડિત કરી નાખી. દલિતો રોષે ભરાયા.
Dr. Ambedkars statue vandalized

ડો.આંબેડકરની પ્રતિમાને તેમની મહાર જાતિના કારણે ખંડિત કરી નાખનારા મનુવાદી ગુંડાઓ તો તમે ઘણાં જોયા હશે. પણ આ ઘટના તેનાથી જુદી છે. ઉત્તર પ્રદેશના મીર્ઝાપુર-ચુનાર-વારાણસી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા નકહરા ગામ નજીક હાઇવે પાસે સ્થાપિત બંધારણ ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને અસામાજિક તત્વોએ બે વર્ષમાં બે વાર ખંડિત કરી નાખી. જેના કારણે સ્થાનિક દલિતો રોષે ભરાયા છે. દલિતોનું કહેવું છે કે, અહીંના કેટલાક જાતિવાદી ગુંડાઓ પ્રતિમા જે જગ્યાએ સ્થાપિત કરેલી છે તે મોકાની જમીન પડાવી લેવા માંગે છે અને એટલે તેઓ વારંવાર પ્રતિમા સાથે ચેડાં કરતા રહે છે.

રવિવારે વહેલી સવારે પ્રતિમાની આંગળી તોડી પાડવામાં આવી હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ સ્થાનિક ગ્રામજનો અને દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. પ્રતિમાને નુકસાન પહોંચાડવાને કારણે સમગ્ર પંથકમાં ભારે તણાવની સ્થિતિ સર્જાઈ હતી અને લોકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.

આ પણ વાંચો: ગિરનારના અંબાજી મંદિરમાં દારૂ-નોનવેજ પાર્ટી કરતા 10 પૂજારી ઝડપાયા!

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) રાજેશ કુમાર વર્મા અને પીઆઈ વિજય શંકર સિંહ પટેલ પોલીસ કાફલા સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. અધિકારીઓએ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે રોષે ભરાયેલા લોકોને સમજાવીને સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી. જનઆક્રોશને શાંત કરવા માટે એસડીએમ રાજેશ કુમારે તુરંત જ નવી પ્રતિમા મંગાવીને સન્માનપૂર્વક પુનઃસ્થાપિત કરવાના લેખિત આદેશ આપ્યા હતા, જે અંતર્ગત વહીવટીતંત્ર દ્વારા નવી મૂર્તિ લાવીને સ્થાપના કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

સ્થાનિક રહીશોએ મીડિયા સમક્ષ અત્યંત ગંભીર આક્ષેપ કર્યો છે કે, હાઇવેને અડીને આવેલી આ જમીન બજાર ભાવ મુજબ ખૂબ જ કિંમતી છે. આ મૂલ્યવાન સરકારી જમીન હડપી લેવાના બદઈરાદાથી કેટલાક ભૂમાફિયાઓ અને હિત ધરાવતા તત્વો સુનિયોજિત કાવતરાના ભાગરૂપે વારંવાર પ્રતિમાને નુકસાન પહોંચાડી રહ્યા છે, જેથી કરીને આ વિવાદિત સ્મારકને અહીંથી અન્ય કોઈ જગ્યાએ ખસેડવાની ફરજ પડે.

આ પણ વાંચો: ધ્રાંગધ્રામાં AAP પ્રમુખ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે વર્ષના ટૂંકા ગાળામાં આ જ ચોક્કસ સ્થળે પ્રતિમાને નુકસાન પહોંચાડવાની આ બીજી ઘટના છે, જેને કારણે સ્મારક સ્થળની કાયમી સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. આશરે બે વર્ષ પૂર્વે પણ આ સ્થળે આંબેડકર પ્રતિમાને તોડવામાં આવી હતી અને ત્યારે પણ વહીવટીતંત્રે નવી પ્રતિમા મૂકીને મામલો શાંત પાડ્યો હતો.

રવિવારે બનેલી આ ઘટનાની જાણ થતાં જ બહુજન સમાજ પાર્ટી (BSP) ના વિધાનસભા પ્રભારી માતા પ્રસાદ પટેલ અને વિધાનસભા અધ્યક્ષ પ્રમોદ કુમાર સહિત સંતોષ કુમાર, સિંદુ કુમાર, વિકાસ કુમાર અને અભિષેક જેવા સ્થાનિક આગેવાનો ગ્રામજનો સાથે ધરણા પર બેસી ગયા હતા. પ્રદર્શનકારીઓએ પ્રતિમાને નુકસાન કરનારા ગુનેગારોની તાત્કાલિક ધરપકડ, નવી મૂર્તિની સ્થાપના અને સ્થળની કાયમી સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી.

આ પણ વાંચો: ગાંધીનગરમાં આવતી કાલે ‘ગ્રંથ-પ્રત્યક્ષ’ સાહિત્ય ઉત્સવ યોજાશે

તણાવપૂર્ણ માહોલ વચ્ચે એસડીએમે તુરંત જ મહેસૂલ વિભાગના સ્થાનિક તલાટીને બોલાવીને જમીનના રેકોર્ડ અને માલિકી હક અંગેનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો. સરકારી દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ તલાટીએ સત્તાવાર માહિતી આપી હતી કે, આ જમીન સરકારી હિસ્સાની છે.

વળી, ભૂતકાળમાં ફોરલેન હાઇવે રોડના નિર્માણ દરમિયાન આ જમીન પર પોતાનો હક દાવો કરનારા તમામ સંબંધિત ખાતેદારોને નિયમાનુસાર વળતરની રકમ પહેલેથી જ ચૂકવી દેવામાં આવી છે, આથી આ જમીન પર અન્ય કોઈનો કાનૂની દાવો રહેતો નથી. તંત્રે સ્પષ્ટ કર્યું છે કે નવી પ્રતિમા સ્થાપિત થઈ રહી છે અને આ કેસમાં તોફાની તત્વો વિરુદ્ધ આકરા પગલાં ભરવા માટે સ્થાનિક પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધવાની સૂચના આપી દેવામાં આવી છે.

આ પણ વાંચો: અહીં પાણી માટે આદિવાસી બાળકો 30 ફૂટ ઊંડા કૂવામાં ઉતરે છે!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x