દેવભૂમિ: અયોધ્યાના રામ મંદિરમાં દાનની રકમમાં થયેલી કરોડો રૂપિયાની ચોરીનો મામલો હજુ શાંત પડ્યો નથી ત્યાં ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાંથી પણ દાન અને ચઢાવામાં કથિત ગોટાળાનો મામલો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ અંગેની વ્યાપક ચર્ચા અને હિન્દુવાદી સંગઠન દ્વારા સત્તાવાર લેખિત ફરિયાદ મળ્યા બાદ બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) એ સમગ્ર મામલાની આંતરિક તપાસના કડક આદેશ આપ્યા છે.
મંદિર સમિતિએ ખાતરી આપી છે કે આ બાબતે નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે અને જો કોઈ પણ કર્મચારી કે અધિકારી દોષિત સાબિત થશે તો તેની સામે કાયદેસરની સખત કાર્યવાહી કરવામાં આવશે.

આ સમગ્ર વિવાદની શરૂઆત હિન્દુવાદી સંગઠન ‘ભૈરવ સેના’ ના સંસ્થાપક અધ્યક્ષ સંદીપ ખત્રી દ્વારા કરવામાં આવેલી એક લેખિત ફરિયાદથી થઈ હતી. તેમણે ૩ જુલાઈના રોજ BKTC ના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) સોહન સિંહ રાંગળને એક સત્તાવાર પત્ર મોકલ્યો હતો. આ પત્રમાં અત્યંત ગંભીર દાવો કરવામાં આવ્યો હતો કે બદ્રીનાથ ધામમાં ભક્તો દ્વારા ચડાવવામાં આવતા દાનની ગણતરી દરમિયાન કથિત રૂપે મોટી ચોરી આચરવામાં આવી છે. આ ફરિયાદમાં સીધો આક્ષેપ છે કે BKTC અધ્યક્ષના કથિત ખાનગી સચિવે આ દાનમાંથી ચોરી કરી છે. ભૈરવ સેનાએ આ મામલે તાત્કાલિક એફ.આઈ.આર. દાખલ કરી કાયદાકીય તપાસ કરવાની માંગ કરી છે.
આ પણ વાંચો: રામ મંદિરમાંથી 1,250 સોના, ચાંદી, હીરા જડિત ઈંટો ગુમ થઈ ગઈ!
બીજી તરફ, સોશિયલ મીડિયા અને લેખિત ફરિયાદના આધારે BKTC ના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ ઇન્ટર્નલ ઇન્ક્વાયરીના આદેશ જારી કર્યા છે. તેમણે જણાવ્યું કે આ કેસની ઝીણવટભરી તપાસ માટે એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી રહી છે. આ સમિતિ મંદિરના તમામ ઉપલબ્ધ દસ્તાવેજો, તે સમયના સીસીટીવી (CCTV) ફૂટેજ અને ઘટના સમયે હાજર તમામ કર્મચારીઓના નિવેદનો નોંધીને પોતાનો વિગતવાર અહેવાલ રજૂ કરશે. અધ્યક્ષે સ્પષ્ટ કર્યું છે કે પુરાવા મળશે તો કોઈપણ સ્તરે સંડોવાયેલા કર્મચારી સામે આકરા વહીવટી પગલાં લેવાશે.
આ વિવાદમાં પોતાનું નામ જોડાતા અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ સત્તાવાર સફાઈ આપતા જણાવ્યું છે કે, સોશિયલ મીડિયામાં જે વ્યક્તિને તેમના “ખાનગી સચિવ” તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે તે હકીકતમાં તેમનો પર્સનલ સેક્રેટરી નથી. તે વ્યક્તિ મંદિર સમિતિનો જ એક નિયમિત કર્મચારી છે જે સહાયક (આસિસ્ટન્ટ) તરીકે ફરજ બજાવે છે.

મંદિર સમિતિના રેકોર્ડ અનુસાર, 09 એપ્રિલ 2026 ના રોજ તત્કાલીન સીઈઓ વિશાલ મિશ્રા દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર રોસ્ટરમાં પ્રમોદ નૌટિયાલ નામના કર્મચારીનો દાનની ગણતરી સમિતિના સભ્ય તરીકે સમાવેશ કરાયો હતો. આ કર્મચારી વર્ષ 2014 થી તત્કાલીન અધ્યક્ષ ગણેશ ગોદિયાલના સમયથી પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે અને ત્યારબાદના તમામ અધ્યક્ષો સાથે પણ આ જ હોદ્દા પર કાર્યરત રહ્યો છે.
આ પણ વાંચો: RSS સંગઠન નથી તો શું છે, તે રજિસ્ટ્રેશનથી કેમ ડરે છે?
મંદિરના નિયમો મુજબ, બદ્રીનાથ ધામમાં દાનની ગણતરી પારદર્શક અને કડક પ્રક્રિયા હેઠળ થાય છે. દાનની થેલીઓ ખોલતી વખતે સત્તાવાર જાહેરાત કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન નિયુક્ત બેંકના કર્મચારીઓ, મંદિર સમિતિના વરિષ્ઠ અધિકારીઓ, પ્રોટોકોલ ઓફિસર અને અન્ય અધિકૃત સભ્યો ફરજિયાતપણે હાજર રહે છે.
જોકે, ફરિયાદ પક્ષનો દાવો છે કે 02 જુલાઈની સવારે આશરે 8.30 વાગ્યે જ્યારે ચડાવવાની ગણતરી થઈ રહી હતી, ત્યારે આ કથિત ચોરીની ઘટના બની હતી જે ત્યાંના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
આ મુદ્દે BKTC ના વર્તમાન સીઈઓ સોહન સિંહ રાંગળે જણાવ્યું કે પ્રાથમિક તબક્કે ઉપલબ્ધ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી છે, પરંતુ ફૂટેજમાં કોઈ શંકાસ્પદ કે સ્પષ્ટ દ્રશ્ય જોવા મળ્યું નથી. હાલ ગણતરી પ્રક્રિયામાં સામેલ તમામ કર્મચારીઓ પાસેથી લેખિત સ્પષ્ટીકરણ મંગાવવામાં આવ્યું છે. આ મામલે ફરિયાદ કરનાર સંદીપ ખત્રીએ પણ સ્વીકાર્યું છે કે તેમની પાસે સીધો કોઈ વીડિયો કે સીસીટીવી ફૂટેજ નથી, પરંતુ મંદિરના આંતરિક સૂત્રો પાસેથી મળેલી પાકી માહિતીના આધારે તેમણે આ ફરિયાદ નોંધાવી છે. હાલ મામલો ઉચ્ચ સ્તરીય તપાસ હેઠળ છે.
આ પણ વાંચો: રાજકોટમાં બાબા બાગેશ્વરના કાર્યક્રમમાં અંધશ્રદ્ધાનું ઘોડાપૂર, સુઑમોટોની માંગ











