અયોધ્યાના રામ મંદિરના દાનમાં કથિત ગેરરીતિ અને કૌભાંડનો વિવાદ હજુ પૂરો શમ્યો નથી, ત્યાં હવે મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરના દાનમાં પણ મોટી ચોરીનો એક થયાનો મામલો સામે આવ્યો છે. શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ આંદોલનના પ્રમુખ અને આ કેસના મુખ્ય ફરિયાદી પંડિત દિનેશ ફલાહારીએ મંદિરના ખજાના (તોશાખાના) માંથી હજારો કરોડ રૂપિયાનું દાન, સોના-ચાંદીના દાગીના અને કીમતી સામાન ચોરી થયો હોવાનો અત્યંત ગંભીર આરોપ લગાવ્યો છે.
અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટ પર લાગેલા ‘દાન ચોરી’ના આરોપોનો હવાલો આપીને દિનેશ ફલાહારીએ હવે મથુરાના મંદિર તંત્ર અને તત્કાલીન વ્યવસ્થાપકોને કઠેડામાં ઉભા કર્યા છે. આ સમગ્ર મામલે તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તાત્કાલિક ધોરણે સીબીઆઈ (CBI) પાસે ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવાની માંગ કરી છે.

આ પણ વાંચો: રામ મંદિરનું દાન ગણનાર બ્રાહ્મણના ઘરેથી છાણામાં છુપાવેલા રૂ. 10 લાખ મળ્યાં
તોશાખાનું ખુલતા જ મચ્યો હોબાળો: ઘરેણાંના ડબ્બા ખાલી મળ્યાં
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાજેતરમાં જ્યારે મંદિર સાથે જોડાયેલા ઐતિહાસિક તોશાખાના (ખજાના) ને ઘણા દાયકાઓ પછી ખોલવામાં આવ્યો, ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને સૌ દંગ રહી ગયા હતા. આરોપ છે કે ખજાનામાં રાખવામાં આવેલા પેટીઓ સંપૂર્ણપણે ખાલી પડી હતી અને રાજા-મહારાજાઓ તેમજ દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ દ્વારા દાન કરાયેલા કિંમતી હીરા-ઝવેરાત અને સોનાના દાગીનાના ડબ્બા ખાલી મળ્યા હતા. આ ઉપરાંત, મંદિરની ઘણી જંગમ અને સ્થાવર મિલકતોના મહત્વના દસ્તાવેજો પણ રહસ્યમય રીતે ગાયબ જોવા મળ્યા છે.
દિનેશ ફળાહારીએ આરોપ લગાવતા કહ્યું કે, “સનાતન ધર્મના અનુયાયીઓએ પોતાની મહેનતની કમાણી અને અગાધ શ્રદ્ધાથી ભગવાનના ચરણોમાં જે હજારો કરોડ રૂપિયાના આભૂષણો અને સંપત્તિ દાન કરી હતી, તેને સરકારી સીલની ગેરહાજરીનો ફાયદો ઉઠાવીને કેટલાક ભ્રષ્ટ વ્યવસ્થાપકો અને વગદાર લોકોએ ભેગા મળીને સાફ કરી દીધી. આ મોટા ષડયંત્રનો પર્દાફાશ માત્ર એક નિષ્પક્ષ સીબીઆઈ તપાસથી જ થઈ શકે છે.”
આ પણ વાંચો: આદિવાસી ક્રાંતિકારીઓ સિદ્ધૂ-કાન્હૂની પ્રતિમા તોડી ભાજપના ઝંડા લગાવાયા

સંતોએ ચેતવણી આપી છે કે જો આ બાબતે તાત્કાલિક કડક વલણ અપનાવવામાં નહીં આવે અને દોષિતો સામે પગલાં લેવામાં નહીં આવે, તો તેઓ વહીવટીતંત્ર સામે આમરણ ઉપવાસ અને ભૂખ હડતાળ પર બેસવા મજબૂર થશે.
વહીવટીતંત્રના મૌનથી સંતોમાં આક્રોશ
મથુરા અને વૃંદાવનના સંતોનું કહેવું છે કે આ માત્ર પૈસાની ચોરી નથી, પરંતુ કરોડો સનાતનીઓની અતૂટ આસ્થા સાથે બહુ મોટી કયુક્તિ અને વિશ્વાસઘાત છે. જ્યાં એક તરફ વિપક્ષ આ મુદ્દાને લઈને સરકાર અને સ્થાનિક વહીવટીતંત્રને ઘેરવાની રણનીતિ બનાવી રહ્યો છે, ત્યાં બીજી તરફ સ્થાનિક પ્રશાસન હજુ પણ આ સંવેદનશીલ મામલે ફૂંકી-ફૂંકીને પગલાં ભરી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સંતોની આ આક્રોશિત માંગ અને લોહીથી લખેલા પત્રો પર શું સંજ્ઞાન લે છે, અને શું મથુરાના આ કથિત તોશાખાના કૌભાંડની તપાસ ખરેખર સીબીઆઈના હાથમાં સોંપવામાં આવે છે કે નહીં.
આ પણ વાંચો: ‘ભૈયા જરા રાસ્તા દેના…’કહેતા ટોળાએ દલિત યુવકની હત્યા કરી!
અયોધ્યાના વિવાદ સાથે સરખામણી
મથુરાના આ નવા વિવાદે અયોધ્યાના ચર્ચિત રામ મંદિર દાન કૌભાંડને ફરી ચર્ચામાં લાવી દીધું છે. અયોધ્યામાં પણ રામ મંદિર નિર્માણ માટે દેશવ્યાપી દાન અને જમીનની ખરીદીને લઈને વિરોધ પક્ષો અને કેટલાક સ્થાનિક સંતોએ ગંભીર નાણાકીય ગેરરીતિઓના આરોપો લગાવ્યા હતા.
એવો આરોપ હતો કે મફતના ભાવે મળતી જમીનને થોડી જ મિનિટોમાં કરોડો રૂપિયાના ઊંચા ભાવે રામ મંદિર ટ્રસ્ટને વેચીને ભારે નફો કમાવવામાં આવ્યો હતો અને દાનના નાણાંનો દુરુપયોગ થયો હતો. જોકે, ટ્રસ્ટ તરફથી આ આરોપોને ફગાવી દેવામાં આવ્યા હતા અને તેને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા હતા. પરંતુ હવે મથુરામાં પણ ‘રામ મંદિર દાન ચોરી’ જેવી જ ઘટના પુનરાવર્તિત થવાના દાવાઓએ ઉત્તર પ્રદેશની ધાર્મિક રાજનીતિ અને મંદિર વ્યવસ્થાપનની પારદર્શિતા પર ફરી એકવાર મોટા સવાલો ઉભા કરી દીધા છે.
આ પણ વાંચો: રામ મંદિરમાંથી 1,250 સોના, ચાંદી, હીરા જડિત ઈંટો ગુમ થઈ ગઈ!











