અંજાર: કચ્છના અંજારમાં ‘સિમ્બોલ ઓફ નોલેજ’ અને ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે શહેરના મધ્યમાં આવેલા અંજાર ગાર્ડન સ્થિત બાબા સાહેબની પ્રતિમા પાસે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સ્વયમ્ સૈનિક દળ (SSD) ના સૈનિકોની ઉપસ્થિતિ રહી હતી. શિસ્ત અને એકતાના પ્રતિક સમાન SSD ના માધ્યમથી મોટી સંખ્યામાં અનુયાયીઓ અંજાર ગાર્ડન ખાતે એકત્રિત થયા હતા. ડૉ. બાબાસાહેબ આંબેડકર, જેમને નારી મુક્તિ દાતા, મહાન અર્થશાસ્ત્રી અને સમાજ સુધારક તરીકે સમગ્ર વિશ્વ પૂજે છે, તેમની સ્મૃતિમાં SSD ના સૈનિકો દ્વારા પ્રોટોકોલ મુજબ સન્માનપૂર્વક સલામી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: ડો.આંબેડકરની પ્રતિમા તોડી પડાતા હિંસા ફાટી નીકળી, 200 દલિતો સામે ફરિયાદ
કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવો અને સંગઠનના સભ્યો દ્વારા ડૉ. આંબેડકરની પ્રતિમા પર પુષ્પહાર ચડાવી ભાવભીની પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી. આ તકે ‘બોધિસત્વ’ અને ‘કલમના બાદશાહ’ ગણાતા બાબા સાહેબના જીવન સંઘર્ષ અને ભારતીય સમાજમાં તેમના અમૂલ્ય પ્રદાનને યાદ કરવામાં આવ્યું હતું. વકતાઓએ જણાવ્યું હતું કે, બાબા સાહેબ માત્ર એક જ્ઞાતિ કે સમુદાયના નેતા નહોતા, પરંતુ તેઓ સમગ્ર રાષ્ટ્રના ‘વિશ્વ રત્ન’ અને બંધારણના શિલ્પી હતા.
આ પણ વાંચો: પાલનપુરમાં 14મી એપ્રિલે 1500 લોકોએ બંધારણના આમુખનું પઠન કર્યું
સમગ્ર ગાર્ડન પરિસર ‘જય ભીમ’ ના નારા અને બાબા સાહેબના અમર રહોના નાદથી ગુંજી ઉઠ્યું હતું. SSD ના સૈનિકોએ શિસ્તબદ્ધ રીતે કતારબદ્ધ થઈને પ્રતિમાને સલામી આપી ત્યારે માહોલ અત્યંત પ્રભાવશાળી અને ગંભીર બન્યો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ડૉ. આંબેડકરના વિચારોને લોકો સુધી પહોંચાડવાનો અને તેમણે ચીંધેલા માર્ગ પર ચાલવાનો સંકલ્પ કરવાનો હતો.

અંજારમાં આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ, કાર્યકરો અને મોટી સંખ્યામાં નગરજનોએ હાજર રહીને બાબા સાહેબના કાર્યો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમની પૂર્ણાહુતિ પર મહામાનવના આદર્શોને જીવનમાં ઉતારવા માટે શપથ લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ડૉ.આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી શા માટે જરૂરી છે?












