કોણ છે ક્ષમા સાવંત, જેને મોદી સરકાર ભારત આવતા રોકી રહી છે?

ક્ષમા સાવંતની માતા ભારતમાં છેલ્લી ઘડીઓ ગણી રહી છે પણ મોદી સરકારની ટીકાકાર હોવાને કારણે 7 મહિનામાં 3 વાર તેના વીઝા રિજેક્ટ કરી દેવાયા છે.
kshama sawant

અમેરિકાના સિએટલ શહેરમાં ઐતિહાસિક જાતિ આધારિત ભેદભાવ પ્રતિબંધ કાયદો પાસ કરાવનાર ભારતીય-અમેરિકી રાજનેતા અને અર્થશાસ્ત્રી ક્ષમા સાવંત (Kshama Sawant) ને ભારત સરકાર વીઝા નથી આપી રહી. પોતાની બીમાર માતાને મળવા માટે બેંગ્લુરુ આવવા માટે ક્ષમા છેલ્લાં સાત મહિનામાં ત્રણ વાર વીઝા માટે અરજી કરી ચૂકી છે, તેમ છતાં દરેક વખતે તેની અરજી ફગાવી દેવામાં આવી છે.

ક્ષમા સાવંત અમેરિકામાં જાતિવાદ, આર્થિક અસમાનતા અને મજૂર અધિકારોના મુદ્દાઓ પર અવાજ ઉઠાવવા માટે જાણીતી છે. ભારતે તેમને તેમની બીમાર માતાને મળવા માટે વિઝા આપવાનો ઇનકાર કર્યો છે. આ ઘટના ફક્ત તેમના અંગત જીવનને જ અસર કરતી નથી, પરંતુ ભારતની મોદી સરકારની વિદેશ નીતિ અને માનવીય મૂલ્યો પ્રત્યેના તેના વલણ પર પણ પ્રશ્નો ઉભા કરી રહી છે.

ક્ષમા સાવંતે ભારત સરકારના આ પગલાની ટીકા કરી છે. તેમણે કહ્યું કે આ નિર્ણય માનવીય મૂલ્યો અને પરિવારના અધિકારોની વિરુદ્ધ છે. તેમણે એમ પણ કહ્યું કે આ નિર્ણય તેમની રાજકીય વિચારધારા અને અમેરિકામાં તેમના કાર્યને કારણે લેવામાં આવ્યો હશે. જોકે બાદમાં તેના પતિને ભારતીય વિઝા આપવામાં આવ્યા હતા, પરંતુ ક્ષમાને સરકારે ધરાર વીઝા ન આપ્યા.

સિએટલ સિટી કાઉન્સિલના ભૂતપૂર્વ સભ્ય ક્ષમા સાવંતને ભારતીય અધિકારીઓ દ્વારા અત્યાર સુધીમાં બે વાર વિઝા આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. ક્ષમાની માતાની ગંભીર સ્થિતિ અને તેમની સંભાળ રાખવા માટે તેની હાજરીની જરૂરિયાત હોવા છતાં તેમની અપીલ નકારી કાઢવામાં આવી હતી. તાજેતરમાં સબમિટ કરાયેલી ઇમરજન્સી વિઝા અરજી પણ હજુ સુધી મંજૂર કરવામાં આવી નથી.

ક્ષમાનો આરોપ છે કે તેમને વિઝા આપવાનો ઇનકાર તેમના જાતિ પ્રત્યેના વલણ, ડાબેરી વિચારધારાની રાજનીતિ પ્રત્યેનો તેમનો ઝુકાવ અને ભૂતકાળમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની ટીકાનો બદલો લેવા માટે કરવામાં આવી રહ્યો હતો. વિદેશ મંત્રી એસ. જયશંકરને લખેલા પત્રમાં તેમણે તેમની માતાના ડૉક્ટરનો પત્ર પણ જોડ્યો હતો, પરંતુ ત્યાંથી પમ કોઈ જવાબ મળ્યો ન હતો.

ક્ષમાએ સૌપ્રથમ 2024 માં 26 જૂનથી 15 જુલાઈ દરમિયાન ભારતની મુલાકાત લેવાનું આયોજન કર્યું હતું. તે મુજબ તેમણે તે જ વર્ષના મે મહિનામાં ઈ-વિઝા માટે અરજી કરી હતી. વિદેશીઓને મનોરંજન, ફરવા, મિત્રો કે સંબંધીઓની મુલાકાત, સારવાર, ટૂંકા ગાળાના યોગ કાર્યક્રમોમાં હાજરી આપવા અથવા વ્યવસાયિક હેતુઓ માટે ઇ-વિઝા આપવામાં આવે છે. ભારત સરકારે સૌપ્રથમ 26 મેના રોજ વિઝા આપવાનો ઇનકાર કર્યો હતો. કોઈ કારણ આપ્યા વિના ફક્ત એટલું જ કહેવામાં આવ્યું કે વિઝા નકારવામાં આવ્યા છે. ક્ષમાએ ફરીથી અરજી કરી, પરંતુ 27 જૂને બીજી વખત વિઝા નકારવામાં આવ્યા. પણ તેમના પતિ કેલ્વિનને વિઝા મળી ગયા હતા. આ વખતે પણ વિઝા નકારવા પાછળ કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી.

મોદી સરકાર કેમ ક્ષમા સાવંતના રસ્તામાં રોડાં નાખી રહી છે?

અહીં પાયાનો સવાલ એ છે મોદી સરકાર શા માટે ક્ષમા સાવંતને ભારત આવતા રોકી રહી છે. જાણકારોને ખ્યાલ છે કે, મોદી સરકાર તેમના કોઈપણ નિર્ણયનો વિરોધ કરનારને જરાય સાંખી શકતી નથી. આવા અનેક દાખલાઓ મોજૂદ છે અને ક્ષમા સાવંતનો તેનો વધુ એક દાખલો છે.

2020 માં ક્ષમા સાવંતે સિએટલ સિટી કાઉન્સિલમાં સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC) વિરુદ્ધ ઠરાવનું નેતૃત્વ કર્યું હતું. આ ઠરાવ તે જ વર્ષે ફેબ્રુઆરીમાં પસાર થયો હતો, જેના વિશે ક્ષમાનું કહેવું છે કે તે યુ.એસ.માં આ પ્રકારનું પહેલું પગલું હતું. ક્ષમા એમ પણ કહે છે કે તેને સેંકડો હિન્દુઓ, મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને વિવિધ અમેરિકન મજૂર સંગઠનોએ ટેકો આપ્યો હતો. પરંતુ ક્ષમા સાવંતના આ કાર્યથી મોદી સરકાર ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી.

ક્ષમા સાવંતે તે સમયે કહ્યું હતું કે – “ભાજપ અને મોદીના જમણેરી અને કટ્ટરપંથી એજન્ડા સામેની લડાઈ ટ્રમ્પ અને જમણેરી રિપબ્લિકનના કટ્ટરપંથી એજન્ડા સામે અમેરિકન પ્રગતિશીલોના સંઘર્ષથી અલગ નથી. હકીકતમાં, તે તેની સાથે ઉંડાણપૂર્વક જોડાયેલું છે.” ક્ષમાએ આરોપ લગાવ્યો કે તે સમયે પણ, ભારતીય કોન્સ્યુલેટ જનરલે સિએટલ સિટી કાઉન્સિલને પ્રસ્તાવ વિરુદ્ધ મતદાન કરવા વિનંતી કરી હતી.

તે જ વર્ષે ક્ષમાએ સિએટલ સિટી કાઉન્સિલની સંરક્ષિત કેટેગરીઓની યાદીમાં જાતિ ઉમેરવા માટે જાતિ વિરોધી સંગઠનો સાથે કામ કર્યું હતું. સિએટલમાં થયેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે 1,500 ઉત્તરદાતાઓમાંથી 52% દલિતો અને 25% શુદ્રો તેમની જાતિ ઓળખ “છતી” થઈ જવાથી ચિંતિત હતા. ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સમર્થકો ત્યાં બિલનો વિરોધ કરતા જોવા મળ્યા હતા.

2020 માં સિએટલ સિટી કાઉન્સિલે ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો હતો. 2021 માં કેન્દ્ર સરકારને ત્રણેય વિવાદાસ્પદ કાયદાઓ રદ કરવાની ફરજ પડી હતી. સિએટલ ઉપરાંત તે સમયે ખેડૂત આંદોલનને સમગ્ર વિશ્વમાં સમર્થન મળ્યું હતું. ક્ષમાએ કહ્યું, “જ્યારે તમે માર્ક્સવાદી, સમાજવાદી અને મજૂર વર્ગના લોકો માટે લડતા વ્યક્તિ બનો છો, ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય પ્રતિષ્ઠાનની દરેક પાંખ તમારી દુશ્મન બની જાય છે, પછી ભલે તે અમેરિકામાં હોય કે ભારતમાં. રાજકીય સ્થાપનામાં વિશ્વાસ રાખવા કરતાં લોકોને સંગઠિત કરીને જીતવું શક્ય છે. આનાથી જમણેરી પાંખ ડરી ગઈ છે.
ડૉ.આંબેડકરના પૌત્ર અને વંચિત બહુજન અઘાડીના અધ્યક્ષ પ્રકાશ આંબેડકરે ક્ષમા સાવંતને ભારતીય વિઝા ન આપવાના મોદી સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. પ્રકાશ આંબેડકરે કહ્યું કે ક્ષમા ભાજપના નેતૃત્વ હેઠળના તંત્રની રિજેક્શન યાદીમાં એટલા માટે છે, કેમ કે તેમણે સિએટલ સિટી કાઉન્સિલમાં એક બિલ રજૂ કર્યું હતું જેણે એ શહેરમાં જાતિ ભેદભાવને ગેરકાયદેસર બનાવ્યો હતો. પ્રકાશ આંબેડકરે પ્રશ્ન કર્યો કે શું મોદી એવા નેતાઓની વિરુદ્ધ છે જે જાતિ ભેદભાવ સામે લડી રહ્યા છે? જવાબ હા છે! ભારતમાં અને દુનિયામાં ગમે ત્યાં.

કોણ છે ક્ષમા સાવંત?

ક્ષમા સાવંતનો જન્મ ૧૭ ઓક્ટોબર ૧૯૭૩ના રોજ મુંબઈમાં થયો હતો. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી શિક્ષણ પૂર્ણ કર્યું. બાદમાં તેઓ ઉચ્ચ શિક્ષણ માટે યુએસ ગયા, જ્યાં તેમણે ઉત્તર કેરોલિના સ્ટેટ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી. અમેરિકામાં રહીને તેમણે સામાજિક ન્યાય અને મજૂર અધિકારોના મુદ્દાઓ પર કામ કરવાનું શરૂ કર્યું.

ક્ષમા સાવંતે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત સોશિયલિસ્ટ અલ્ટરનેટિવ (Socialist Alternative) નામના સંગઠનથી કરી હતી. આ સંગઠન સમાજવાદી વિચારધારાને પ્રોત્સાહન આપે છે અને મૂડીવાદ સામે લડે છે. 2013 માં તેઓ સિએટલ સિટી કાઉન્સિલ માટે ચૂંટાઈ આવ્યા હતા. આ રીતે તેઓ અમેરિકામાં સમાજવાદી વિચારધારાના આધારે ચૂંટાયેલી પ્રથમ વ્યક્તિ બની હતી. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે લઘુત્તમ વેતન વધારવા, ભાડાના મકાનો પર નિયંત્રણ અને મજૂર અધિકારો તરફ ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધાં. વિરોદી વિચારધારા અને મોદી સરકારના ટીકાકાર હોવાના કારણે જ ક્ષમા સાવંતને તેમની માતાને મળવા માટે ભારતના વીઝા નથી અપાઈ રહ્યાં તેવું માનવામાં આવે છે.

આ પણ વાંચો: સરપંચે દલિત સગીરાની છેડતી કરી વિરોધ કરતા જાતિસૂચક ગાળો ભાંડી

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું ગુજરાત કોંગ્રેસ અને તેના સવર્ણ નેતાઓ દલિતો સાથે ભેદભાવ રાખે છે?
0
Would love your thoughts, please comment.x
()
x