કલ્પના કરો કે તમને કોઈ ફોન કરીને અથવા રૂબરૂ મળીને મારી નાખવાની અથવા નુકસાન પહોંચાડવાની ધમકી આપતું હોય, તમે પોલીસને લેખિતમાં ફરિયાદ કરો અને પછી પોલીસ એમ કહીને હાથ ઉંચી કરી દે કે, અમારી પાસે બહુ બધું કામ છે, હાલ તમને ધમકી આપનારની ધરપકડ કરી શકીએ તેમ નથી તો તમારી પ્રતિક્રિયા શું હોય.
યુપી, બિહાર જેવા જંગલરાજની વાત નથી, પણ જેની કાયદો વ્યવસ્થાની દુહાઈ આપવામાં આવે છે તે ગુજરાતની, એમાં પણ અમદાવાદ(Ahmedabad)ની વાત છે. અહીં એક વાલ્મિકી સમાજ(Valmiki community)માંથી આવતા કિન્નર (transgender) અને તેમના સાથીઓને એક અસામાજિક તત્વે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કિન્નરે પુરાવા સાથે એટ્રોસિટી એક્ટ (atrocity act) હેઠળ ફરિયાદ નોંધાવી પણ પોલીસે હજુ સુધી આરોપીઓની ધરપકડ કરી નથી. પોલીસનું કહેવું છે કે, અમારી પાસે બહુ બધું કામ છે, એટલે આરોપીઓની ધરપકડ થઈ શકતી નથી. પોલીસના આવા વલણથી કંટાળીને કિન્નરે પોલીસ સ્ટેશનમાં જ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસે હજુ પણ આરોપીઓની ધરપકડ કરી નથી. જેના કારણે ફરિયાદી કિન્નર પર જીવનું જોખમ વધી ગયું છે.
આ પણ વાંચોઃ ઓઢવમાં પરિણીતાએ ત્રણ સંતાનો સાથે ઝેરી દવા પી આપઘાત કર્યો
ફરિયાદીના એડવોકેટ ગોવિંદ પરમાર પાસેથી મળતી માહિતી મુજબ ગત 1 ફેબ્રુઆરી 2025 ના રોજ કિન્નર પૂનમ દેને આરોપીઓ દ્વારા વીડિયો થકી જાતિસૂચક ગાળો ભાંડી મારી નાખવાની ધમકી મળી હતી. એ પછી 4 ફેબ્રુઆરી 2025 ના રોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ આ કેસની તપાસ એસસી એસટી સેલના ડીવાયએસપી ડી. આર. પટેલ કરી રહ્યાં છે.
શરૂઆતમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદીની લખાવ્યા મુજબની એફઆઇઆર લખેલ ન હતી અને પોલીસ દ્વારા ફરિયાદી પાસે પુરાવાની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદી કિન્નરે પુરાવાઓ ઉપલબ્ધ કરાવતા પોલીસે એફઆઈઆર દાખલ કરી હતી. જો કે તેના ઘણાં દિવસો વીતી જવા છતાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી નહોતી. આથી તા. 10 ફેબ્રુઆરી 2025 ના રોજ ફરિયાદી કિન્નર તપાસ અધિકારીને મળ્યા હતા. જ્યાં તેમને કહેવામાં આવ્યું કે, અમારી પાસે એટ્રોસિટીના અનેક ગુનાની તપાસ છે એટલે અમે પહોંચી વળતા નથી. ફરિયાદીએ આરોપી સંજય વ્યાસ,રાજુ દલ્લો, લૈલા માસી, સમા માસી વગેરે આરોપીઓના ઇલેક્ટ્રોનિક પુરાવા આપ્યા હતા. તેમ છતાં કોઈ કાર્યવાહી કરાઈ નહોતી.
આથી ન્યાય ઝંખતા ફરિયાદી કિન્નરે ૧૧/૨/૨૦૨૫ ના રોજ રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને એસસી એસટી સેલ ગુજરાતના ડીવાયએસપી લેખિતમાં રજૂઆત કરી હતી. આ સિવાય અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને ઝોન 6 ડીએસપી અને સેક્ટર 2માં પણ લેખિતમાં રજૂઆત કરાઈ હતી. આમ છેલ્લાં એક મહિનાથી ફરિયાદી કિન્નરો પોલીસની વિવિધ કચેરીઓમાં ધક્કા ખાતા હોવા છતાં તેમની કોઈ રજૂઆત સાંભળવામાં આવતી નથી.
આ પણ વાંચોઃ આદિવાસીની શિષ્યવૃત્તિ મુદ્દે પ્રશ્ન કરાતા 4 આદિવાસી ધારાસભ્યો સસ્પેન્ડ
ગત તા. 22 ફેબ્રુઆરી 2025 ના રોજ સવારે એસસી એસટી સેલના ડીવાયએસપી ડી.આર. પટેલને રૂબરૂ મળી આરોપીઓની ધરપકડ માટે રજૂઆત કરતા તેઓ અકળાઈ ગયા હતા અને કહ્યું હતું કે, અમે પૂછપરછ કરીશું અને યોગ્ય લાગશે તો આરોપીઓની ધરપકડ કરીશું, તમે કહેશો તે પ્રમાણે નહીં થાય.
જવાબદાર પોલીસ અધિકારીના આવા ઉડાઉ જવાબથી ફરિયાદી કિન્નર પૂનમ દે ને ભારે લાગી આવ્યું હતું અને તેમણે કારંજ પોલીસ સ્ટેશનમાં જ રાજેશ્વરીબેન, નાયરા દે સાથે ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ફરિયાદી પુનમ દે અને નાયરા દે વી એસ હોસ્પિટલમાં અને રાજેશ્વરી દેની હાલત અતિ ગંભીર હોવાથી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે, આટલું બધું થઈ ગયું હોવા છતાં પોલીસે હજુ સુધી સમ ખાવા પુરતી પણ આરોપીઓની તપાસ કરી નથી કે નથી તેમની ધરપકડ કરી. ઉલટાનું આરોપી તરફથી એકઠા થયેલા 200 જેટલા કિન્નરોએ ફરિયાદી અને તેમના એડવોકેટ ગોવિંદ પરમાર સામે ફરિયાદ કરવાની ધમકી આપી હતી. આ આખી ઘટના પરથી એટલું તો સમજાય છે કે, પોલીસ એસસી એસટીની ફરિયાદને કેટલી હળવાશથી લે છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં મધ્યાહન ભોજનમાં પૂર્વ-પશ્ચિમના બાળકો સાથે ભેદભાવ