અમરેલી (Amreli)જિલ્લામાં છેલ્લાં ત્રણ દિવસમાં બે લોકો સિંહનો શિકાર (Lion Attack) બન્યો હોવાની ચોંકાવનારી માહિતી મળી છે. જંગલો પર માણસના અતિક્રમણને કારણે હવે સિંહો રહેણાંક વિસ્તારો તરફ આવતા થયા છે અને હવે હુમલો કરતા પણ ખચકાતા નથી. જાફરાબાદ વિસ્તારમાં ખેડૂત પર સિંહણે હુમલો કરી ફાડી ખાધાની ઘટનાને 48 કલાક પણ પુરા થયા નથી ત્યાં સાવરકુંડલાનાં ખાલપર ગામની સીમમાં એક મુસ્લિમ યુવકને સિંહે મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું જાણવા મળે છે.
મળતી માહિતી મુજબ સાવરકુંડલા પંથકની ખાલપર-હઠીલા ગામની સીમ વિસ્તારમાં માલધારીઓ ઢોર ચરાવવા ગયા હતા ત્યારે તેમને સીમમાં માનવ મૃતદેહ મળી આવતાં તાત્કાલિક ગામમાં જઈ આ ઘટનાની જાણ કરી હતી. ગ્રામજનોએ તપાસ કરતા આ મૃતદેહ ખાલપર ગામના જમાઈ નદીમ નજીરભાઈ કુરેશી હોવાનું જાણવા મળ્યું હતું. મૃતદેહનું અવલોકન કરતાં સિંહ જેવા શિકારી પ્રાણીએ હુમલો કરી ચૂંથી નાંખી પગ સહિતના અંગો ખાધા હોવાનું ગ્રામજનોનાં ધ્યાને આવતા તાત્કાલિક આ ઘટના અંગે વનવિભાગને જાણ કરવામાં આવી હતી. મૃતદેહથી થોડે દૂર મૃતકનું બાઈક અને ચપ્પલ મળી આવ્યા હતા. બાઈક પાસે સિંહનાં પગલાનાં સગડ મળી આવતા વન વિભાગે આ યુવકને સિંહે ફાડી ખાધો હોવાનું જણાવ્યું હતું. આ સાથે માનવભક્ષી બનેલા સિંહને પાંજરે પૂરવા વનખાતા દ્વારા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા.
અમરેલીમાં સિંહે ફાડી ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો#Amreli #Gujarat #TV9News #TV9Gujarati pic.twitter.com/WHSxUJOAzA
— Tv9 Gujarati (@tv9gujarati) March 6, 2025
મૃતક યુવક નદીમ નજીરભાઈ કુરેશી બસમાં ક્લીનર તરીકે કામ કરતો હતો અને પોતાના સસરાના ખાલપર ગામે રાત્રીનાં સમયે આવીને સીમ વિસ્તારમાં બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે સિંહે હુમલો કર્યાનું તારણ નીકળ્યું છે.
છેલ્લા 15 દિવસમાં સિંહોએ 3 લોકોને ફાડી ખાધાની ઘટનાઓ બનવા પામી છે. આવી ઘટનાઓ બનવા છતાં વનખાતુ હજુ લોકજાગૃતિનાં ગાણાં ગાઈ રહ્યું છે. માનવીઓ પર સિંહોનાં સતત વધતા જતાં હુમલા રોકવામાં વનખાતુ સદંતર નિષ્ફળ નિવડયું છે. વનખાતાની કામગીરી બાબતે અનેક સવાલો ઉભા થયા છે. સિંહોનાં હુમલાને રોકવાને બદલે વન અધિકારીઓ લોકોને સિંહથી બચવા માટેની સલાહ આપી રહ્યાં છે.
આ પણ વાંચોઃ હિન્દુ યુવતી સાથે લગ્ન કરવા પહોંચેલા મુસ્લિમ યુવકને વકીલોએ માર્યો