રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વિવાદને જાણો એક નાતો બંધાઈ ગયો છે. હવે ફરી એકવાર આ યુનિવર્સિટી વિવાદમાં આવી છે. અહીં અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સંજય પંડ્યા સામે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે દ્વિઅર્થી ભાષામાં વાત કરતા હોવાની અને ચોક્કસ જ્ઞાતિના વિદ્યાર્થીઓને પરીક્ષામાં વધુ માર્કસ આપવામાં આપતા હોવાના આક્ષેપ સાથેનો એક પત્ર મહિલા આયોગને લખવામાં આવતા હોબાળો મચી ગયો છે. આ પત્રમાં યુનિવર્સિટીની 5 વિદ્યાર્થિનીના નામ લખવામાં આવ્યા છે. હવે આ બાબતે મહિલા આયોગ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને તપાસ કરવા માટે આદેશ અપાયો છે.
જાતીય સતામણીની કોઈ વાત નથી: કુલપતિ
આ મામલે કુલપતિનું કહેવું છે કે, મહિલા આયોગ તરફથી મળેલા પત્ર બાબતે અર્થશાસ્ત્ર ભવનના અધ્યક્ષનો અભિપ્રાય માગવામાં આવ્યો છે. જેઓ પત્રની સત્યતા ચકાસ્યા પછી રિપોર્ટ આપશે અને ત્યાર પછી નિર્ણય લેવાશે.
આ પણ વાંચો: દલિત પ્રોફેસરની PHD ડિગ્રી છીનવાઈ, પ્રોફેસરે કહ્યું, “દલિત છું એટલે…”
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, મહિલા આયોગમાંથી એક અરજીના સ્વરૂપમાં પત્ર આવ્યો છે અને તે બાબતે પૂછપરછ કરાઈ છે અને ભવનના અધ્યક્ષનો અભિપ્રાય માગવા માટે પત્ર લખવામાં આવ્યો છે. જેમાં સેક્સ્યુઅલ હેરેસ્ટમેન્ટની કોઈ વાત નથી, પરંતુ આ પ્રકારની બેનામી અરજીઓ આવતી હોય છે. જેમાં સૌપ્રથમ તો તેમાં વિદ્યાર્થી કોણ છે? તેની તપાસ કરવાની હોય છે. આ કિસ્સામાં પણ અર્થશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડૉ. નવીન શાહનો અભિપ્રાય માગવામાં આવ્યો છે. તેઓ હાલ ગાંધીનગર હોવાથી પર આવીને તેઓ તપાસ કરી અભિપ્રાય સ્વરૂપે રિપોર્ટ આપશે.
પત્રમાં પાંચ વિદ્યાર્થિનીઓના નામ અને સહી
પત્રની નીચે 5 વિદ્યાર્થિનીના નામ અને સહીઓ આ પત્રમાં એવું લખવામાં આવ્યું છે કે, અધ્યાપક દ્વારા દ્વિઅર્થી વાત કરવામાં આવે છે અને ચોક્કસ જ્ઞાતિ અંગે બોલવામાં આવે છે. પત્રની નીચે 5 જેટલી વિદ્યાર્થિનીના નામો લખેલા છે અને તેમાં સહીઓ કરવામાં આવેલી છે. જેને સૌપ્રથમ તો ખરાઈ કરવામાં આવશે. પત્રમાં 5 સહીઓ કરવામાં આવેલી છે, પરંતુ તમામના હેન્ડરાઇટિંગ એક સરખા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિસ્તભંગ ચલાવી ન શકાય, પરંતુ સામે પક્ષે એ પણ ચકાસવું જોઈએ કે કોઈના દ્વારા અધ્યાપકને ટાર્ગેટ કરવામાં તો નથી આવતા ને? જોકે હાલ ભવનના વડા પાસે આ પત્રની સત્યતા ચકાસવા માટે અભિપ્રાય માગવામાં આવેલો છે. તેમના અભિપ્રાય બાદ આગળની તપાસ કરવામાં આવશે.
પ્રોફેસર ડો. સંજય પંડ્યાએ શું કહ્યું?
સમગ્ર મામલે અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સંજય પંડ્યાએ જણાવ્યું હતું કે, મારા વિરૂદ્ધનો જે પત્ર આવ્યો છે, તેમાં આક્ષેપો એ પ્રકારના થયા છે કે ચોક્કસ વિદ્યાર્થીઓને વધુ માર્કસ આપવામાં આવે છે અને દ્વિઅર્થી વાત કરવામાં આવે છે. પરીક્ષાની પ્રક્રિયા ખાનગી હોય છે. તેમાં વિદ્યાર્થીઓની ઓળખ છતી થતી નથી, જેથી કોઈ વ્યક્તિને વધુ માર્ક્સ આપવા શક્ય નથી. આ આક્ષેપો પાયાવિહોણા છે.
જ્યારે દ્વિઅર્થી વાતના આક્ષેપો પણ ખોટા છે. આવી કોઈ જ વાત મારા દ્વારા કરવામાં આવી નથી. ખોટો પત્ર વાઇરલ થયો છે, જેની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તપાસ કરશે અને યોગ્ય ન્યાય આપશે. યુનિવર્સિટી પોતે પોલીસ ફરિયાદ કરશે કે મને પોલીસ ફરિયાદ કરવાનું કહેશે તો એ પ્રમાણે હું કાયદાકીય રીતે આગળ વધીશ.
આ પણ વાંચો: દલિત સગીરાનું અપહરણ કરી બે યુવકોએ હોટલમાં ગેંગરેપ કર્યો