Patient dies Rajkot Civil Hospital: ગુજરાતમાં સરકારી આરોગ્ય સેવાઓ કઈ હદે કથળી ચૂકી છે તે જાણવું હોય તો કોઈપણ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવી. અહીં ડોક્ટરો જે રીતે દર્દીઓ સાથે દાદાગીરીથી વર્તે છે, દવાની બારીએ બેઠેલા લોકો જે રીતે તોછડાઈ કરે છે, હોસ્પિટલના ચોકીદારથી લઈને છેક ઉપરી ડોક્ટર સુધીના બધાં જાણે દર્દી ભિખારી હોય તેમ વર્તતા હોય છે. દર્દી પર જાણે તેઓ ઉપકાર કરતા હોય તેવું તેમનું વર્તન હોય છે. સિવિલ હોસ્પિટલોના ડોક્ટરો કઈ હદે દર્દી સાથે અમાનુષી વર્તન કરતા હોય છે તેનું તાજું ઉદાહરણ હાલ રાજકોટમાં જોવા મળ્યું.
રાજકોટ(Rajkot)ની સિવિલ હોસ્પિટલ (Civil Hospital)અવારનવાર કોઈ ને કોઈ કારણોસર વિવાદમાં રહી છે. અહીં તબીબોની બેદરકારીના કારણે નિર્દોષ દર્દીના મૃત્યુ (Patient dead)થયાના આક્ષેપો વધી રહ્યા છે. ત્યારે સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારીના કારણે એક નિર્દોષ દલિત આધેડનો જીવ ગયો છે. રાત્રે સારવારમાં આવેલા દર્દીને દાખલ કરવાના બદલે તબીબોએ માત્ર દવા આપીને જવા દીધો હતો. જેથી દર્દી સિવિલના કમ્પાઉન્ડમાં આખી રાત બેસી રહેતા બાંકડા પર જ તેણે દમ તોડી દીધો હતો. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ આ હોસ્પિટલની દરેક દિવાલ પર ડૉ. આંબેડકરનો ફોટો લાગેલો છે
મળતી માહિતી મુજબ રાજકોટના કોઠારીયા સોલવન્ટમાં આવેલા નુરાનીપરામાં રહેતા પ્રવીણભાઇ મોહનભાઇ રાઠોડ (ઉ.વ.50)નામના આધેડ ગઈકાલે સવારે સાત વાગ્યે સિવિલ હોસ્પિટલના કમપાઉન્ડમાં બાકડા પર જ બેભાન હાલતમાં પડેલા હોવાથી તેમને સારવારમાં ખસેડાતા તેમનું મૃત જાહેર કરાયા હતા. જેને લઈને પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક પ્રવિણભાઇ ત્રણ ભાઇ ત્રણ બહેન છે. તેમની પત્ની તેમની સાથે ન રહેતી હોવાથી તેઓ ભટકતું જીવન ગાળતા હતા. ગઇકાલે રાતે તેઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. જો કે, તબીબોએ તેમને દાખલ કરવાના બદલે માત્ર એક્સ-રે કરાવી દવા આપી રવાના કરી દીધા હતા. જેથી તેઓ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ પોલીસ ચોકી સામે આવેલા છાપરા નીચે બાંકડા પર બેસી રહ્યા હતા. સવારે અન્ય લોકોએ જોતા તેઓ બેભાન હાલતમાં પડેલા હોય સારવારમાં ખસેડાતા મોત નીપજ્યું હતું. આમ સિવિલ હોસ્પિટલના તબીબોની બેદરકારીના કારણે એક દર્દીએ જીવ ગુમાવ્યો હતો. જો સિવિલના ડોક્ટરોએ તેમની યોગ્ય સારવાર કરી હોત તો તેમનો જીવ બચી ગયો હોત. પણ તેમની યોગ્ય સારવાર કરવાને બદલે જેમતેમ કરીને રવાના કરી દેવાતા તેઓ આખી રાત બહાર બાંકડા પર બેસી રહ્યા હતા. જેના કારણે તેમણે ત્યાં જ દમ તોડી દીધો હતો. હવે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ અપંગ દલિત વૃદ્ધને પોલીસે જેલમાં પુરી દેતા લકવો થઈ ગયો