અન્યાય સામે અવાજ ન ઉઠાવવો દલિતો-આદિવાસીઓને જાણે ધીરેધીરે કોઠે પડતો જઈ રહ્યો છે. શાહમૃગવૃત્તિ વધતી જઈ રહી છે અને અન્યાય છતાં સમાધાનો થઈ રહ્યાં છે ત્યારે એક 14 વર્ષની દલિત દીકરી આપણને અન્યાય સામે જરાય ઝૂકવું નહીં તેનો મજબૂત સંદેશો આપે છે.
જાતિવાદના એપીસેન્ટર ગણાતા યુપીના જૌનપુર જિલ્લામાં ઉંચગાંવ સ્થિત કસ્તુરબા ગાંધી રેસિડેન્શિયલ ગર્લ્સ સ્કૂલની આઠમા ધોરણની દલિત વિદ્યાર્થિની શાળાના વોર્ડન વિરુદ્ધ ફરિયાદ કરવાની ભારે કિંમત ચૂકવી રહી છે, પણ તે જરાય નમતું જોખવા તૈયાર નથી. વોર્ડને તેને રૂમમાં બંધ કરીને માર માર્યો, તેને શાળામાંથી કાઢી મૂકી, પરીક્ષા ન આપવા દીધી, ખોટો રિપોર્ટ તૈયાર કરી અધિકારીઓ સાથે સેટિંગ કર્યું. છતાં દલિત સમાજની આ દીકરી પાછી પડતી નથી.આ મામલે ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી ન થતાં તેણે ન્યાય માટે શિક્ષણાધિકારીને અપીલ કરી હતી. પરંતુ તપાસમાં બ્લોક શિક્ષણ અધિકારી (BEO) એ ખોટો રિપોર્ટ રજૂ કરીને વોર્ડનને ક્લીનચીટ આપી દીધી.
દલિત દીકરીની હિંમત તો જુઓ!
આ ઘટના ઉંચગાંવ સુઈથાકલાની કસ્તુરબા ગાંધી રેસિડેન્શિયલ ગર્લ્સ સ્કૂલમાં બની હતી. આઠમા ધોરણની વિદ્યાર્થીની કિરણ કુમારીએ આરોપ લગાવ્યો કે ઇન્ચાર્જ વોર્ડન પૂનમ સિંહ યાદવ અને ચોકીદાર શાળામાંથી અનાજ અને અન્ય વસ્તુઓ ચોરીને બહાર લઈ જઈ રહ્યા હતા, જે તેણીએ જોઈ હતી. જ્યારે તેણે આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટને ફરિયાદ કરી ત્યારે વોર્ડને તેને ધમકી આપી અને ત્રાસ આપ્યો.
વિદ્યાર્થીનીના જણાવ્યા મુજબ, તેણીને બંધ રૂમમાં લઈ જઈને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો અને ધમકી આપવામાં આવી હતી કે જો તે આ વાત કોઈને કહેશે તો તેના પરિણામો ભયંકર આવશે. એ પછી તેને બળજબરીથી શાળામાંથી કાઢી મૂકવામાં આવી અને અર્ધવાર્ષિક પરીક્ષામાં બેસતી રોકી દીધી.
શિક્ષણ અધિકારીએ વોર્ડનને બચાવવા નકલી રિપોર્ટ બનાવ્યો
વિદ્યાર્થીનીએ પહેલા જિલ્લા મેજિસ્ટ્રેટને ફરિયાદ પત્ર આપ્યો, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. ત્યારબાદ તેણે શિક્ષણ વિભાગના ડીજીનો સંપર્ક કર્યો, જેના કારણે શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો.
આ પણ વાંચો: ‘હું આ ટોળાથી ડરતો નથી, મામલો ઠંડો પડવા સુધી છુપાઈ નહીં રહું’
આ કેસની તપાસની જવાબદારી બ્લોક શિક્ષણ અધિકારી આનંદ પ્રકાશ સિંહને સોંપવામાં આવી હતી, પરંતુ તેમણે વોર્ડનને બચાવવા માટે નકલી રિપોર્ટ તૈયાર કર્યો.
વોર્ડને પરાણે ખોટું નિવેદન લખાવ્યું
ફરિયાદ પછી જ્યારે વિદ્યાર્થીનીને શાળાએ પાછી બોલાવવામાં આવી, ત્યારે વોર્ડને તેની પાસેથી બળજબરીથી લખાણ લખાવી લીધું કે તેની માતાની ખરાબ તબિયતને કારણે તે અર્ધવાર્ષિક પરીક્ષા આપી શકી નથી. એ દરમિયાન વોર્ડને વિદ્યાર્થિનીનો વીડિયો પણ બનાવ્યો, જેથી તેને પછીથી પુરાવા તરીકે રજૂ કરી શકાય.
બ્લોક શિક્ષણ અધિકારીએ વોર્ડનને ક્લીનચીટ આપી
આ ઘટનામાં બ્લોક શિક્ષણ અધિકારીએ વોર્ડનના નિવેદનના આધારે તપાસ રિપોર્ટ તૈયાર કર્યો, જેની સામે ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. રિપોર્ટમાં લખવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીનીની માતાની તબિયત ખરાબ હોવાને કારણે તે પરીક્ષામાં બેસી શકી ન હતી અને હવે તે વાર્ષિક પરીક્ષા આપી રહી છે. જેના આધારે ફરિયાદનો ઉકેલ આવ્યો હોવાનું માનવામાં આવ્યું.
ખોટા રિપોર્ટનો ભાંડો ફૂટ્યો
જ્યારે મીડિયાએ વિદ્યાર્થીનીની માતા સાથે વાત કરી ત્યારે તેણે સ્પષ્ટપણે કહ્યું કે તે સંપૂર્ણપણે સ્વસ્થ છે અને પહેલા પણ બીમાર નહોતી. તેણે કહ્યું કે વોર્ડને તેની પુત્રીને પરીક્ષામાં બેસતા અટકાવી અને તેને શાળામાંથી કાઢી મૂકી.
જ્યારે મીડિયાએ બ્લોક શિક્ષણ અધિકારીને પ્રશ્ન કર્યો ત્યારે તેમણે કહ્યું કે આ એક નાની બાબત છે અને વોર્ડનને બચાવવા માટે આ નિવેદન આપ્યું છે. તેમણે એ પણ સ્વીકાર્યું કે આ કેસમાં સમગ્ર સ્ટાફનો એક દિવસનો પગાર કાપવામાં આવ્યો છે. જોકે, પ્રશ્ન એ ઊભો થાય છે કે જો ભૂલ વોર્ડનની હતી, તો પછી આખા સ્ટાફને સજા કેમ આપવામાં આવી?
અન્ય વિદ્યાર્થીનીઓએ પણ આક્ષેપો કર્યા
વોર્ડન વિરુદ્ધ ફરિયાદ કરનાર દલિત દીકરી કિરણ કુમારી એકલી નહોતી. નવમા ધોરણની વિદ્યાર્થિનીઓ અનન્યા અને નંદિની અને સાતમા ધોરણની વિદ્યાર્થિની અંજલિએ પણ શારીરિક અને માનસિક અત્યાચારના આરોપો લગાવ્યા હતા. પરંતુ વહીવટીતંત્રે તેમની ફરિયાદને ગંભીરતાથી લીધી નહીં. શિક્ષણ મહાનિર્દેશકને ફરિયાદ કર્યા પછી, વિદ્યાર્થીનીને વાર્ષિક પરીક્ષામાં બેસવાની પરવાનગી મળી, પરંતુ હવે તેને માર્કશીટ નહીં આપવાની ધમકી આપવામાં આવી રહી છે.
વહીવટીતંત્રનું ભેદી મૌન અનેક પ્રશ્નો ઉભા કરે છે
આ કેસ શિક્ષણ વ્યવસ્થાની ખામીઓને ઉજાગર કરે છે, જ્યાં દલિત વિદ્યાર્થીનીને ન્યાય અપાવવાને બદલે તેને દબાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રશ્ન એ છે કે જ્યારે એક વિદ્યાર્થીની સાથે અન્યાય થયો હતો, ત્યારે બ્લોક શિક્ષણ અધિકારીએ નિષ્પક્ષ તપાસ કેમ ન કરી? વહીવટીતંત્રનું મૌન એ વાતનો સંકેત છે કે ગુનેગારોને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે શિક્ષણ વિભાગ આ મામલે યોગ્ય કાર્યવાહી કરે છે કે પછી તેને દબાવી દેવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતમાં 71.4 % દલિતો સાથે જાહેર પાણીના નળે આભડછેટ પળાય છે