હરણીકાંડ, TRP ગેમ ઝોન કાંડ બાદ ડીસાની ઘટનામાં પણ SIT નું નાટક?

મોટી દુર્ઘટનાઓ પર ઢાંકપિછોડો કરવા માટે સરકાર SIT ની રચના કરી નાખતી હોય છે. હરણી બોટ કાંડ, રાજકોટ ગેમ ઝોન કાંડ બાદ હવે ડીસાની ઘટનામાં પણ સીટ રચાઈ છે.
sit deesa Fire

બનાસકાંઠાના ડીસામાં ગઇકાલે એક ફટાકડાંની ફેકટરીમાં બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળી હતી. જેમાં 21 વ્યક્તિના મોત નીપજયાં હતા. આ ઘટનાના પગલે રાજયનું સમગ્ર વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું. આ દુર્ઘટનાની તપાસ માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મહેસૂલ વિભાગના સચિવ કક્ષાના આઇએએસ અધિકારીના નેતૃત્વમાં ચાર સભ્યોના એક વિશેષ તપાસ દળની રચના કરાઇ છે. આ ચાર સભ્યોનું વિશેષ તપાસ દળ સમગ્ર મામલાની તપાસ કરશે અને તેનો એક તલસ્પર્શી અહેવાલ તૈયાર કરીને સરકારને સોંપવા અંગેનો એક આદેશ કરાયો છે.

ફેક્ટરીનો માલિક-પુત્ર ઝડપાયા પણ જવાબદાર અધિકારીઓનું શું?

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ઢૂંવા રોડ પર આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં ગઇકાલે તા. 1 એપ્રિલના રોજ અચાનક ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. આ આગની સાથે થયેલા વિસ્ફોટમાં કામ કરી રહેલા 21 કામદારોના મોત નિપજ્યાં હતા. જેના કારણે રાજયભરમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. આ દુર્ઘટના અંગેની નોંધ છેક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લીધી હતી અને આ દુર્ઘટનાના મૃતકો માટે સહાયની જાહેરાત કરી હતી. આ દુર્ઘટના બાદ ગુજરાત સરકાર તથા તેનું વહીવટી તંત્ર તંદ્રામાંથી સફાળુ જાગ્યું હતું.

ત્યાર બાદ એક પછી એક ધડાધડ કામગીરી આરંભી દીધી હતી. જેમાં પોલીસ તંત્ર દ્વારા સૌ પ્રથમ ફેકટરીના માલિક અને ફરાર આરોપી એવા પિતા-પુત્રને ઝડપી લીધા હતા. જો કે આ આખા મામલામાં જવાબદાર અધિકારીઓને છાવરવામાં આવી રહ્યાંની છાપ ઉભી થઈ છે.

અગાઉ પણ અનેક સીટની રચના થયેલી છે

ગુજરાત સરકાર દ્વારા રાજયમાં બનેલી તક્ષશિલા કાંડ, હરણી કાંડ, ટીઆરબી ગેમ ઝોન અગ્નિકાંડ જેવી અન્ય દુર્ઘટનાઓની જેમ જ એક વિશેષ તપાસ દળ (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ-એસઆઇટી) ની રચના કરવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા સરકારી પરિપત્ર અનુસાર ડીસા જીઆઇડીસીમાં થયેલા બ્લાસ્ટ મામલાને અતિગંભીર બનાવ ગણતા સરકારે વિસ્તૃત, વિશ્લેષણાત્મક અને તટસ્થ તપાસ કરવા માટે મહેસૂલ વિભાગના સચિવ કક્ષાના આઇએએસ અધિકારીના નેતૃત્વમાં આ વિશેષ તપાસ દળની રચના કરાઇ છે. આ વિશેષ તપાસ દળને આ દુર્ઘટના અંગે તપાસ કરીને ઝડપથી તેનો તલસ્પર્શી અહેવાલ સરકારને સોંપવા માટે પણ હરહંમેશાની જેમ જ તાકિદ કરી દેવાઇ છે.

આ પણ વાંચો:  વડનગરમાં 1000 વર્ષ જૂનું બૌદ્ધ સાધુનું હાડપિંજર મળી આવ્યું?

ગૃહ વિભાગ દ્વારા રચાયેલી આ વિશેષ તપાસ દળના અધ્યક્ષ તરીકે મહેસૂલ વિભાગના સચિવ (જમીન સુધારણા) અને આઇએએસ ભાવિન પંડ્યાની નિમણૂક કરાઇ છે. જ્યારે આ વિશેષ તપાસ દળના અન્ય સભ્યોમાં વિશાલ વાઘેલા (નાયબ પોલીસ મહાનિરીક્ષક-ડીઆઇજી), ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)ના ડાયરેકટર એચ. પી. સંઘવી અને માર્ગ મકાન વિભાગના મુખ્ય ઇજનેર (સીઇ) જે. એ. ગાંધીનો સમાવેશ કરાયો છે.

SIT ની કામગીરી શું રહેશે?

વિશેષ તપાસ દળ દ્વારા કયા સંજોગોમાં અને ક્યાં કારણોસર આ વિસ્ફોટનો બનાવ બન્યો તે અંગે તપાસ કરવામાં આવશે. જીઆઇડીસીમાં ફટાકડાની ફેક્ટરી શરૂ કરવા બાબતે સક્ષમ સ્થાનિક સત્તાતંત્ર પાસેથી યોગ્ય મંજૂરી મેળવી હતી કે કેમ? તેની તપાસ કરશે. ફટાકડા ફેક્ટરીની મંજૂરી ઉપરાંત તે માટેના વિસ્ફોટક સામગ્રીના સંગ્રહ માટે ગોડાઉનની અલાયદી મંજૂરી મેળવવાની થાય કે કેમ? જો હા, તો તે અંગે નિયમાનુસાર કાર્યવાહી થઇ હતી કે કેમ? તેની તપાસ કરશે. એક્સપ્લોઝિવ એક્ટ 1884 તથા એક્સપ્લોઝિવ રૂલ્સ 2008ની જોગવાઇનું પાલન થયેલું કે કેમ? તેની તપાસ કરશે.

આ પણ વાંચો: 4.53 કરોડ કેસો કોર્ટોમાં પડતર હોય ત્યાં ન્યાયની દેવીમાં બદલાવનો અર્થ ખરો?

ફેક્ટરી એક્ટ 1948 હેઠળ તમામ જોગવાઇનું પાલન થયું હતું કે કેમ? તેની તપાસ ઉપરાંત ફેક્ટરીમાં કામદારો માટે લેબર લો તથા ચાઇલ્ડ લેબર લોનું પાલન થતું હતું કે કેમ? ફેક્ટરી અંગેના બાંધકામમાં નિયમોનું પાલન કરાયું હતું કે કેમ? ફાયર એનઓસીની પરવાનગી સાથે તથા તે સંબંધે રાખવાનાં થતા સુરક્ષા સાધનો તથા અકસ્માતની સ્થિતિમાં યોગ્ય પ્રકારની સુરક્ષા વ્યવસ્થા રખાઇ હતી કે કેમ? સ્થાનિક તંત્ર દ્વારા સમયાંતરે ઇન્સપેક્શન કરાય છે કે કેમ? આ બનાવ અંગે નિષ્કાળજી-બેદરકારી માટે જવાબદાર વ્યક્તિઓ અંગે તપાસ કરવી જેવી કામગીરી રહેશે

વિશેષ તપાસ દળ દ્વારા ઉપરોક્ત તમામ પાસાનો અભ્યાસ કરીને કમિટી દ્વારા તલસ્પર્શી તપાસ અહેવાલ તૈયાર કરાશે. આ તલસ્પર્શી તપાસ અહેવાલ રાજ્ય સરકારને સોંપવામાં આવશે. આ માટે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંપુર્ણ સહયોગ આપવા માટે આદેશ અપાયો હતો. આ વિશેષ તપાસ દળને જિલ્લા તંત્ર દ્વારા તમામ જરૂરી સંસાધનો પૂરા પાડવા માટેનો પણ આદેશ અપાયો છે.

SIT ની રચના ન્યાયની આશાને ધૂંધળી કરી દે છે?

સામાન્ય રીતે સીટની રચના કરીને સરકાર દ્વારા સમગ્ર મામલા પર ઠંડુ પાણી રેડી દેવામાં આવતું હોય છે. ગુજરાતમાં આવી અનેક મોટી દુર્ઘટનાઓમાં સીટની રચના કરવામાં આવી છે. સુરતના તક્ષશીલાકાંડ, રાજકોટની ટીઆરપી ગેમ ઝોનની આગની ઘટના, વડોદરાની હરણી બોટકાંડની ઘટનામાં એસઆઈટી તપાસ કરી રહી છે પરંતુ યોગ્ય નિરાકરણ આવ્યું નથી. ત્યારે ડીસાની ઘટનામાં તો 19 મૃતકો પરપ્રાંતિય ગરીબ મજૂરો છે, શું તેમને ન્યાય મળશે ખરો? કે પછી માત્ર 4 લાખ વળતર આપીને આખી ઘટનાનો વીંટો વાળી દેવામાં આવશે?

આ પણ વાંચો: ડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગઃ 17નાં મોત

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x