મણિપુરના પાંચ જિલ્લાઓમાં પાંચ દિવસ માટે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે. મેઇતેઇ જૂથ અરંબાઇ ટેંગોલના નેતા કનન સિંહની ધરપકડ બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 7 જૂને રાત્રે 11:45 વાગ્યાથી ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ પૂર્વ, થૌબલ, બિષ્ણુપુર અને કાકચિંગમાં પાંચ દિવસ માટે ઇન્ટરનેટ બંધ રહેશે.
કમિશનર-કમ-સચિવ (ગૃહ) એન. અશોક કુમારે આજે 7 જૂને આ સંદર્ભમાં સત્તાવાર સૂચના જારી કરી છે. એ મુજબ અસામાજિક તત્વો નફરતી સંદેશાઓ, ભડકાઉ ચિત્રો અને વિડીયો ફેલાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો દુરુપયોગ કરી શકે છે તેવી આશંકાને કારણે આ પગલું લેવામાં આવ્યું છે. આનાથી જાહેર વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલી પડી શકે છે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ખાસ કરીને ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ, થૌબલ, કાકચિંગ અને વિષ્ણુપુર જિલ્લાઓમાં પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતાં, એવી આશંકા છે કે કેટલાક અસામાજિક તત્વો લોકોની લાગણીઓ ભડકાવવાનો પ્રયાસ કરી શકે છે. આ માટે, તેઓ સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ કરીને ફોટા, અપશબ્દો અને નફરતથી ભરેલા વીડિયો સંદેશા ફેલાવી શકે છે.
આ પણ વાંચો: મણિપુર હિંસા, સોમા લૈશરામ, અને ફૂટબોલ: આઓ લકીરેં મિટાયેં
આ ઉપરાંત, બિષ્ણુપુર જિલ્લામાં પણ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. જ્યારે ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ, થૌબલ અને કાકચિંગમાં પાંચ કે તેથી વધુ લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારે ચેતવણી આપી છે કે જો કોઈ વ્યક્તિ આ આદેશનું ઉલ્લંઘન કરશે તો તેને કાનૂની પરિણામો ભોગવવા પડશે.
લોકો રસ્તા પર ઉતરી આવ્યા
૭ જૂનની રાત્રે, મેઇતેઈ જૂથના નેતાની ધરપકડ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ઇમ્ફાલ પૂર્વ અને ઇમ્ફાલ પશ્ચિમમાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, કાકઈથેલ અને ઉરીપોક વિસ્તારોમાં લોકોએ રસ્તાઓ પર ટાયર અને જૂના ફર્નિચર સળગાવીને પ્રદર્શન કર્યું હતું અને ધરપકડ કરાયેલ નેતાની મુક્તિની માંગ કરી હતી. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે, વહીવટીતંત્રે વધારાના સુરક્ષા દળો તૈનાત કર્યા છે. આ સમય દરમિયાન, સરકારે ઇન્ટરનેટ બંધ કરવાનો નિર્ણય લીધો.
મીડિયા રિપોર્ટ મુજબ, રાજ્યમાં સુરક્ષા દળો દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે કાંગલીપાક કોમ્યુનિસ્ટ પાર્ટી (પીપલ્સ વોર ગ્રુપ) અને યુનાઈટેડ પીપલ્સ પાર્ટી ઓફ કાંગલીપાક (UPPK) સહિત પ્રતિબંધિત જૂથોના ત્રણ આતંકવાદીઓની ધરપકડની પુષ્ટિ કરી છે. અનેક જિલ્લાઓમાં સર્ચ ઓપરેશન દરમિયાન શસ્ત્રો, વિસ્ફોટકો અને મોર્ટાર પણ મળી આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, મે 2023 માં મેઈતેઈ અને કુકી સમાજ વચ્ચે જાતીય સંઘર્ષને કારણે રાજ્યમાં આજે પણ તણાવપૂર્ણ સ્થિતિ છે. જેના કારણે અત્યાર સુધીમાં 260 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે હજારો લોકોને વિસ્થાપિત થવું પડ્યું છે. મુખ્યમંત્રી પદ પરથી એન બિરેન સિંહના રાજીનામા બાદ આ વર્ષે ફેબ્રુઆરીમાં અહીં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં 10 વર્ષમાં નકલી જાતિ પ્રમાણપત્રની 1084 ફરિયાદો મળી