લાંભાનું દલિત દંપતી અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં હોમાઈ ગયું છે. ગુજરાતના ઈતિહાસની સૌથી મોટી અમદાવાદ વિમાન દુર્ઘટના (Ahmedabad Plane Crash) માં અત્યાર સુધીમાં 241 પેસેન્જરો સહિત 300થી વધુ લોકોના મોત થયા છે. અમદાવાદ એરપોર્ટ પરથી હજુ તો ટેકઓફ થયું જ હતું કે, બે મિનિટમાં વિમાન ટેક્નિકલ ખામીના કારણે શહેરની વચ્ચે આવેલી સિવિલ હોસ્પિટલના આરજીપી કમ્પાઉન્ડમાં ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં ગુજરાત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક લોકોના જીવ ગયા છે. આ દુ:ખદ ઘટનામાં અમદાવાદના લાંભામાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારી અને તેમના પત્નીનું પણ મોત થયું છે. દલિત સમાજમાંથી આવતા આ દંપતીનો પુત્ર અને પુત્રવધુ લંડનમાં રહે છે. પુત્રવધુની ડિલિવરીનો સમય નજીક આવી ગયો હોવાથી દાદા-દાદી બનવાના હરખમાં આ દલિત દંપતી (dalit couple die in plane crash) પહેલીવાર લંડન જઈ રહ્યું હતું. પણ તેમની આ પહેલી હવાઈ સફર અંતિમ સફર બની ગઈ હતી.
આ પણ વાંચોઃ દલિત યુવતી પર રેપ થયો, પંચાયતે 2.5 લાખમાં સમાધાન કરાવ્યું
પુત્રને મળવા પહેલીવાર લંડન જઈ રહ્યા હતા
મૂળ અમદાવાદના માંડલ તાલુકાના રખીયાણા ગામના વતની ભોગીલાલ પરમાર તેમના પત્ની હંસાબેન સાથે અમદાવાદના લાંભામાં રહેતા હતા. તેમનો દીકરો રોહન પરમાર વર્ષોથી લંડનમાં રહે છે. રોહનની પત્નીની ડિલિવરી હોવાથી ભોગીલાલ અને હંસાબેન પરમાર 6 મહિનાના વિઝા પર પહેલીવાર લંડન જઈ રહ્યાં હતા. પ્લેનમાં બેસતા પહેલા તેમણે વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં પતિ-પત્નીના ચહેરા પર દાદા-દાદી બનવાની ખુશી સ્પષ્ટ રીતે વર્તાઈ રહી હતી. પરંતુ તેમને આવનાર કાળ સમાન દુર્ઘટનાનો અંદાજ નહોતો. પ્લેનમાં બેઠાની બે જ મિનિટમાં તેઓ મોતને ભેટ્યા હતા.
હવે સિવિલ હોસ્પિટલ ખાતે ભોગીલાલના પુત્રી પિન્કીનું DNA લેવામાં આવ્યું છે. જે આગમાં ભડથું થઈ ગયેલા અલગ અલગ મૃતદેહોના ડીએનએ સાથે મેચ કરવામાં આવશે અને બંનેના મૃતદેહોની ઓળખ કરવામાં આવશે. આ દલિત પરિવાર પર આભ તૂટી પડ્યાં જેવી સ્થિતિ છે.
આ પણ વાંચોઃ દલિત રીક્ષાચાલકની પુત્રી પહેલીવાર ફ્લાઈટમાં બેઠી અને મોત મળ્યું

મૃતકના પરિવારજનોએ શું કહ્યું?
પોતના સ્વજનને શોધતા અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં આવેલા અને દુર્ઘટનાનો ભોગ બનેલા ભોગીલાલ પરમારના જમાઈ હિમાંશુ પરમારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “મારા માસા સસરા ભોગીલાલ પરમાર અને તેમનાં પત્ની હંસાબેન તેમના દીકરા રોહનને ત્યાં લંડન જતા હતા. રોહનની પત્ની શ્રદ્ધાને પ્રેગનન્ટ છે અને થોડા દિવસમાં તેને ડિલિવરીની તારીખ આપેલી હોવાથી ભોગીલાલ પરમાર અને હંસાબેન પહેલી વાર લંડન જઈ રહ્યાં હતાં. બંને બહુ ખુશ હતાં, કેમ કે તેમના દીકરાને ત્યાં પારણું બંધાવાનું હતું. જોકે પ્લેન દુર્ઘટનામાં બંનેનું મોત થઈ ગયું છે અને બધી ખુશીઓ છીનવાઈ ગઈ.”
આ પણ વાંચોઃ કડીના વણસોલમાં બુટલેગરે દલિત દંપતી પર જીવલેણ હુમલો કર્યો
પુત્રના ઘરે પારણું બંધાતું જોવાનું સપનું અધૂરું રહી ગયું
ભોગીલાલ પરમાર નિવૃત્ત જેલર છે. તેઓ પુત્રના ઘરે પારણું બંધાતું જોવા પહેલીવાર પત્ની સાથે લંડન જઈ રહ્યા હતા. પૌત્રને રમાડવાના હરખ સાથે તેઓ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પત્ની સાથે પોતાની સીટ પર ગોઠવાઈ ગયા હતા. તેનો એક વીડિયો પણ તેમણે બનાવ્યો હતો. બંને દીકરાના ઘરે પહોંચવાની રાહ જોતાં હતાં, પરંતુ એ પહેલાં વિમાન ક્રેશ થઈ જતા આ દંપતીનું મોત થઈ ગયું.

નિવૃત્ત જેલરની લંડનની પહેલી સફર અંતિમ સફર બની રહી
ભોગીલાલ પરમાર નિવૃત્ત જેલર હતા અને અમદાવાદના લાંભામાં રહેતા હતા. મૂળ માંડલ તાલુકાના રખીયાણા ગામના વતની ભોગીલાલ પરમારના લગ્ન પાટડી તાલુકાના ખારાઘોડા ગામના હંસાબેન સાથે થયા હતા. આ દંપતીનો એકનો એક પુત્ર રોહન લંડન રહે છે, જ્યારે બે પુત્રીઓને અમદાવાદમાં જ પરણાવી છે.
આ પણ વાંચોઃ દલિત યુવક સાથે પ્રેમલગ્ન કરનાર યુવતીનું પિતાએ માથું વાઢી નાખ્યું
મૃતક હંસાબેનના પિયર ખારાઘોડામાં શોકનો માહોલ
આ દુર્ઘટનાને પગલે હંસાબેનના પિયર ખારાઘોડામાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. હંસાબેનના ભાઈ જીવણભાઈ મકવાણાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “અમે બે ભાઈઓ અને બે બહેનો છીએ. મારા સગા બહેન હંસાબેનને બે દીકરીઓ અને એક દિકરો છે, બંને દીકરીઓને અમદાવાદ જ પરણાવી છે, અને એમનો દિકરો અને વહુ લંડન રહે છે. એમના દીકરાની વહુને ડીલેવરી આવવાની હોવાથી મારા બેન-બનેવી અમદાવાદથી ગુરુવારે લંડન જવા રવાના થયા હતા. પરંતુ તેઓ લંડન પહોંચે એ પહેલા જ પ્લેન ક્રેશ થઈ ગયું હતું. મારા બેન-બનેવીએ લંડન પ્લેન યાત્રા જીવનની અંતિમ યાત્રા બની ગઈ.”
આ પણ વાંચોઃ પ્રેમીએ દલિત યુવતીનો ગર્ભપાત કરાવ્યો, મોત થતા શબ ફેંકી દીધું