કથિત વાયબ્રન્ટ ગુજરાતમાં દલિતોના પ્રશ્નો અને તેમની સમસ્યાઓને લઈને સરકાર અને તેમનું વહીવટી તંત્ર કઈ હદે આંખ આડા કાન કરે છે તેના ઉદાહરણોની આમ તો ફાઈલોની ફાઈલો ભરી શકાય તેમ છે. પરંતુ તાજો દાખલો અમરેલીમાંથી સામે આવ્યો છે. અહીં 7 વર્ષ પહેલા એક દલિત યુવકની જાતિવાદી તત્વોએ હત્યા કરી નાખી હતી. આ મામલો હાલ કોર્ટમાં છે.
એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ નોંધાયેલો છે. પરંતુ અમરેલી જિલ્લા વહીવટી તંત્ર મૃતક દલિત યુવકના પરિવારને નિયમ મુજબ જીવનનિર્વાહ માટે ખેતીની જમીન અને મફત પ્લોટ ફાળવતું નથી. જેના કારણે આ ગરીબ પરિવારની સ્થિતિ કફોડી બની ગઈ છે. એકબાજુ જાતિવાદી તત્વો હજુ પણ તેમને આડકતરી રીતે હેરાન કરવાનો એક મોકો છોડતા નથી, બીજી તરફ તંત્ર પણ તેમના હક-અધિકારો છીનવી રહ્યું હોઈ આ દલિત પરિવારની સ્થિતિ પડ્યાં પર પાટું જેવી સ્થિતિ થઈ ગઈ છે. હવે મૃતક યુવકના પરિવારે ન્યાય અને અધિકારો માટે અમરેલી કલેક્ટર કચેરી ખાતે ભરવરસાદે ઉપવાસ આંદોલન પર બેસવું પડ્યું છે.
મામલો શું છે?
આ મામલાની મળતી વિગતો મુજબ, અમરેલીના મહેશભાઈ રતિલાલ ઝાલાનું તા. 1-10-2018ના રોજ માથાભારે શખ્સોએ ખૂન કરી નાખ્યું હતું. આ મામલે એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો સહિત અન્ય કલમો હેઠળ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. હત્યાની આ ઘટનાને 7 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. એટ્રોસિટી એક્ટની જોગવાઈઓ મુજબ પીડિત પરિવારને સરકારે જીવનનિર્વાહ માટે ખેતીની જમીન અને રહેણાંક માટે મફત પ્લોટ ફાળવવો ફરજિયાત છે. તેમ છતાં અમરેલી જિલ્લા વહીવટી તંત્ર મૃતકના પરિવારને આ લાભ આપતું નથી. તંત્ર આ દિશામાં કોઈ પગલાં લેતું નથી અને કાયદાનો ભંગ કરી રહ્યું છે.
આ મામલે મૃતકના પરિવારજનોએ એકથી વધુ વખત અમરેલી જિલ્લા કલેક્ટર સહિત તમામ લાગતા વળગતા વિભાગના અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે. તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આથી ના છુટકે આ પરિવાર પોતાના હકની લડાઈ માટે અમરેલી કલેક્ટર કચેરી સામે ઉપવાસ પર બેઠો છે.
આ પણ વાંચો: ડીસામાં દલિત સરપંચે 20 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી
મૃતક મહેશ ઝાલાની માતાએ કલેક્ટરને રજૂઆત કરી
મૃતક યુવક મહેશ ઝાલાની માતા હંસાબેન ઝાલાએ અમરેલી કલેક્ટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, “મારા ઘરના કમાઉ દીકરા મહેશ રતિલાલ ઝાલાનું તા. 1-10-2018 ના રોજ માથાભારે તત્વોએ ખૂન કરી નાખ્યું હતું. જે કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે. મારા પુત્રનું ખૂન થયું ત્યારથી મારા પતિ રતિલાલ રામજીભાઈ ઝાલા દ્વારા SC, ST અત્યાચાર અટકાવ અધિનિયમ ૧૯૮૯ના નિયમો ૧૯૯૫ના નિયમ ૧૫ મુજબ અમારા જીવન નિર્વાહ માટે ખેતીની જમીન મેળવવા તથા રહેણાંક માટે મફત પ્લોટ નિયમ મુજબ મેળવવા સતત માંગણીઓ કરીને રજૂઆતો કરવામાં આવી રહી છે. જે અંતર્ગત છેલ્લે તા. ૨૯/૦૫/૨૦૨૫ ના રોજ (૧) ચેરમેન અને મુખ્યમંત્રી, રાજ્ય તકેદારી અને મોનેટરી કમિટી, ગાંધીનગર (૨) ચેરમેન અને કલેક્ટર જિલ્લા કચેરી તકેદારી અને મોનેટરી કમિટી, અમરેલી (૩) સભ્ય અને જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા તકેદારી અને મોનીટરીંગ સમિતિ, અમરેલી (૪) સભ્ય સચિવ અને નાયબ નિયામક, અનુ. જાતિ કલ્યાણ વિભાગ, અમરેલી (૫) સચિવ શ્રી મહેસુલ વિભાગ ગાંધીનગરને ઉપરોક્ત વિષયે લેખિત રજૂઆત કરી હતી.
તેમ છતાં તંત્ર દ્વારા અમારા માગણીઓને લઈને હજુ સુધી કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. આથી નાછુટકે અમારે ઉપવાસ આંદોલન પર બેસવું પડ્યું છે. અમે પરિવાર સાથે તા. 16-06-2025 ને સોમવારથી કલેક્ટર અને જિલ્લા તકેદારી મોનીટરીંગ કમિટી અમરેલી સામે ઉપવાસ પર બેઠાં છીએ. આશા રાખીએ છીએ કે સરકાર અમારી વાત સાંભળશે અને અમને ન્યાય મળશે.”
અમરેલી કલેક્ટર અને અધિકારીઓ કાયદાનો અમલ નથી કરતા
ઉલ્લેખનીય છે કે, આ મુદ્દે કાયદાકીય જોગવાઈઓની અમલવારી માટે છેલ્લા 7 વર્ષથી આ પરિવાર સરકારી તંત્રને રજૂઆત કરવો આવ્યો છે. પરંતુ અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને કલેક્ટર આ મામલે કશું પણ સાંભળવા તૈયાર નથી. અધિકારીઓ એક કચેરીએથી બીજી કચેરીએ કાગળો મોકલી દઈ જવાબદારીમાંથી છટકી જાય છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ (અત્યાચાર અટકાવ) અધિનિયમ 1989 અને તેના નિયમો 1995 અને એમેન્ડમેન્ટ 2015 અને નિયમો 2016ની અમલવારી અને મોનીટરીંગ કરવાની જવાબદારી કલેક્ટરની છે. ત્યારે કાયદાના અમલ માટે તાત્કાલિક કાર્યવાહી કરી, કાયદાના અમલવારીમાં જાણીજોઈને દાખવતા અધિકારીઓ સામે કાયદાની કલમ-04 હેઠળ ફોજદારી કાર્યવાહી કરવા પીડિત પરિવારે માંગ કરી છે.
અમરેલીમાં ભારે વરસાદ વચ્ચે પીડિત પરિવારના ઉપવાસ યથાવત
મૃતક યુવકની માતા સહિત 7 સભ્યોનો પરિવાર હાલ વરસાદી વાતાવરણ વચ્ચે પણ અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી સામે ઉપવાસ પર બેઠો છે. હાલ અમરેલીમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તેમ છતાં આ પરિવાર પોતાના હક માટે વરસાદ વચ્ચે પણ અડીખમ રીતે આંદોલન કરી રહ્યો છે. મૃતક દલિત યુવકના પરિવારના આ આંદોલનની અમરેલીના સ્થાનિક દલિત એક્ટિવિસ્ટોને જાણ થતા તેઓ સક્રિય થયા છે અને આ પરિવારના સહકારમાં આગળ આવી રહ્યાં છે. આ મામલે કલેક્ટર તંત્ર જો વહેલી તકે કોઈ સકારાત્મક પગલાં નહીં ભરે તો મામલે ઉગ્ર બને તેવી પુરી શક્યતા છે.
(વિશેષ માહિતીઃ કાંતિલાલ પરમાર, અમરેલી-અમદાવાદ)
આ પણ વાંચો: સુરતના માંગરોળમાં ટાંકી સાફ કરવા ઉતરેલા બે શ્રમિકોના મોત