મુંબઈ ક્રિકેટ એસોસિએશને તેના તમામ સપોર્ટ સ્ટાફના નામ જાહેર કર્યા છે. MCA એ અંડર-૧૪ ટીમના મુખ્ય કોચ તરીકે IPL માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમનાર ભૂતપૂર્વ બોલર અંકિત ચૌહાણ(Ankit Chauhan)ની પસંદગી કરી છે. MCA ના આ નિર્ણય પર અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. કેમ કે અંકિત ચૌહાણ એ ૩ ખેલાડીઓમાંનો એક છે જેમને વર્ષ 2013માં આઇપીએલ દરમિયાન સ્પોટ ફિક્સિંગના આરોપસર જેલ ધકેલી દેવામાં આવ્યા હતા. શ્રીસંત, અજીત ચંડીલા અને અંકિત ચૌહાણ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. અંકિત ચૌહાણ(Ankit Chauhan) પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
બીસીસીઆઇએ બાદમાં આ સમયગાળો ઘટાડીને ૭ વર્ષ કર્યો હતો. બે વર્ષ પછી તેને વ્યાવસાયિક ક્રિકેટમાં પાછા ફરવાની મંજૂરી આપવામાં આવી હતી. અંકિતે કર્ણાટક સ્પોર્ટ્સ ક્લબ માટે મુંબઈમાં ક્લબ ક્રિકેટ રમી અને બાદમાં તેની લેવલ-૧ કોચિંગ પરીક્ષા પાસ કરી હતી. અંકિતે તેની કારકિર્દીમાં 13 આઇપીએલ મેચ રમી છે. આ ઉપરાંત તેણે મુંબઈ માટે 18 ફર્સ્ટ ક્લાસ મેચ અને 20 લિસ્ટ છ મેચ પણ રમી.

અંકિત ચૌહાણે ઈન્ટરવ્યૂમાં શું કહ્યું?
અંકિત ચૌહાણે(Ankit Chauhan) ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “આ મારા માટે બીજી ઇનિંગ છે અને હું તેની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. જીવનમાં વાપસી કરવાની હંમેશા તક રહે છે. હું મુંબઈ ક્રિકેટ એસોસિએશનનો આભાર માનવા માંગુ છું, જેમણે મારામાં વિશ્વાસ મૂક્યો. કોચિંગ મારા મનમાં પહેલેથી જ હતું અને હું આગળના પડકારોથી વાકેફ છું. અંડર-14 ક્રિકેટમાં, હું ખેલાડીઓની મૂળભૂત ટેકનિકો પર કામ કરવા માંગુ છું, જેથી તેઓ તેમની રમતમાં સુધારો કરી શકે.”
આ પણ વાંચો: લાયકાત હોવા છતાં દલિત હોવાને કારણે તેઓ કદી કેપ્ટન ન બની શક્યાં

પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરાયો હતો
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2013 માં BCCIની શિસ્ત સમિતિએ એસ. શ્રીસંત, અજિત ચંદીલા અને અંકિત ચવ્હાણ પર આજીવન પ્રતિબંધ લાદ્યો હતો, તેમને IPL માં સ્પોટ ફિક્સિંગના દોષી ઠેરવ્યા હતા. જોકે 2015 માં, દિલ્હી ટ્રાયલ કોર્ટે પુરાવાના અભાવે આ બધા ખેલાડીઓને આરોપોમાંથી મુક્ત કર્યા હતા, પરંતુ BCCI એ પ્રતિબંધ ચાલુ રાખ્યો હતો. બાદમાં જૂન 2021 માં, BCCI એ બધા પર લાદવામાં આવેલ પ્રતિબંધ ઘટાડીને સાત વર્ષ કર્યો. જો કે, આ ઘટના એ વાતની સાબિતી છે કે, ભારતમાં ક્રિક્રેટમાં કૌભાંડીઓ, રાજકારણીઓ અને નીતિભ્રષ્ટ લોકોએ અડિંગો જમાવ્યો છે.
ઓમકાર સાલ્વી સિનિયર પુરૂષ ટીમના મુખ્ય કોચ
હાલ MCA એ આગામી વર્ષ 2025-26ની લોકલ સિઝન માટે ઓમકાર સાલ્વીને મુંબઈની સિનિયર પુરુષ ટીમના મુખ્ય કોચ તરીકે જાળવી રાખ્યો છે. એમસીએએ જણાવ્યું હતું કે સંજય પાટિલ સિનિયર પુરુષ પસંદગી સમિતિના અધ્યક્ષ રહેશે. મુંબઈએ 2024-25 સ્થાનિક સિઝનમાં સાલ્વીના કોચિંગ હેઠળ 27 વર્ષના અંતરાલ પછી ઈરાની કપ જીત્યો હતો. આ ઉપરાંત, તેઓએ રણજી ટ્રોફીની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવતા પહેલા સૈયદ મુશ્તાક અલી ટ્રોફી પણ જીતી હતી. સાલ્વી આઈપીએલ 2025 વિજેતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બોલિંગ કોચ પણ હતા.
આ પણ વાંચો: પાટણવાડા વણકર સમાજે લગ્નમાં DJ-વરઘોડા પર પ્રતિબંધ મૂક્યો










