ભારતમાં ન્યાયતંત્રની સ્થિતિ દિન-પ્રતિદિન કથળતી જઈ રહી છે. બળાત્કારના જઘન્ય કેસનો આરોપી કુલદીપ સેંગર જામીન મેળવી રહ્યો છે, હવે એસિડ એટેકના એક 16 વર્ષ જૂના કેસમાં કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂક્યો છે. 16 વર્ષ સુધી ટ્રાયલ ચાલ્યા બાદ એસિડ એટેકના કેસમાં આરોપીને કોર્ટે નિર્દોષ છોડી દેતા ચકચાર મચી ગઈ છે.
હરિયાણાના પાણીપતની મેનેજમેન્ટની વિદ્યાર્થી શાહીન મલિક પર થયેલા સનસનાટીભર્યા એસિડ એટેક કેસમાં 16 વર્ષ પછી આપવામાં આવેલા ચુકાદાથી પીડિતાને મોટો આંચકો લાગ્યો છે અને ન્યાયતંત્ર પર સવાલો ઉભા થયા છે. દિલ્હીની રોહિણી કોર્ટે વર્ષ 2009ના આ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. બુધવારે, એડિશનલ સેશન્સ જજ જગમોહન સિંહે ચુકાદો આપતા કહ્યું કે પોલીસ તપાસમાં ગંભીર ખામીઓ હતી, જેના કારણે આરોપો સાબિત થઈ શક્યા ન હતા.

આ પણ વાંચો: પાવી જેતપુરમાં ‘ગુજરાત સરકાર 108’ લખેલી એમ્બ્યુલન્સમાંથી દારૂ મળ્યો
કોર્ટ પરિસરમાં હાજર શાહીન મલિક ચુકાદો સાંભળીને ભાવુક થઈ ગઈ હતી. રડતા રડતા તેણીએ કહ્યું, “જો 16 વર્ષની કોર્ટ કાર્યવાહી પછી આ પરિણામ આવવાનું હોત, તો કદાચ મારે એ જ વખતે બદલો લઈ લેવો જોઈતો હતો.”

નોંધનીય છે કે વર્ષ 2009માં શાહીન મલિક પાણીપતની પંજાબ ટેકનિકલ યુનિવર્સિટીમાં એમબીએની વિદ્યાર્થીની હતી. તેણીએ આરોપ લગાવ્યો હતો કે તેના તત્કાલીન બોસ, જે પરિણીત હતા, તેમણે તેણીને લાંબા સમય સુધી માનસિક અને શારીરિક શોષણનો ભોગ બનાવી હતી. જેમ જેમ વિવાદ વધતો ગયો તેમ તેમ મામલો ખતરનાક વળાંક લેતો ગયો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીની પત્નીએ તે જ યુનિવર્સિટીના એક વિદ્યાર્થી સાથે મળીને શાહીન પર એસિડ હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું.
આ પણ વાંચો: ‘દલિત થઈને I LOVE MAHADEV લખાવવું છે?” કહી છરીથી હુમલો
હુમલાએ શાહીનની જિંદગી બદલી નાખી હતી
આ હુમલાએ શાહીનનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું હતું. આ કેસ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને એસિડ હુમલા સામે લોકોમાં આક્રોશ ફેલાવ્યો હતો. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, 2013માં ટ્રાયલ હરિયાણાથી દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ કેસ દરમિયાન, એસિડ હુમલાનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે એસિડના ખુલ્લા વેચાણ સામે કડક માર્ગદર્શિકા બનાવવાનો આદેશ આપ્યો હતો, જે પછીથી દેશભરમાં લાગુ કરવામાં આવ્યો હતો.
શાહીન હવે NGO દ્વારા પીડિતોને મદદ કરે છે
જોકે, કાનૂની લડાઈમાં અડચણો હોવા છતાં, શાહીન મલિકે પોતાને ફક્ત એક પીડિત સુધી મર્યાદિત રાખી નહોતી. તેણીએ એક NGO ની સ્થાપના કરી હતી, જે એસિડ હુમલાના પીડિતોને તબીબી સહાય, સલામત આવાસ અને કૌશલ્ય તાલીમ પૂરી પાડે છે. તાજેતરમાં, શાહીનની અરજીના આધારે, સુપ્રીમ કોર્ટે એસિડ હુમલાના કેસોમાં ટ્રાયલમાં વિલંબ અંગે સ્વતઃ નોંધ લીધી. જો કે, શાહીન પર થયેલા એસિડ એટેકમાં તેને ન્યાય ન મળતા તે આઘાતમાં સરી પડી છે.
આ પણ વાંચો: ‘પોલીસ હોય તો શું થયું? અમે દલિતોના વાળ નહીં કાપીએ’











દેશમાં કાયદો વ્યવસ્થા ની ધજ્જીયા ઉડાડવામાં આવી રહી છે, જાતિવાદ અને કોમવાદી માનસિકતા મહિલા ઉતપિડન માં ભારત નેં વિશ્વમાં સૌથી પ્રથમ નંબરે લાવ્યું છે…