અમરેલીઃ એકબાજુ સત્તાધારીઓ દ્વારા દેશભરમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ફેલાવી રાજકીય રોટલાં શેકવામાં આવી રહ્યાં છે. બીજી તરફ કેટલીક એવી ઘટનાઓ પણ બની રહી છે, જે હિંદુ-મુસ્લિમ એકતાની ભારતની અસલી પરંપરાને પ્રોત્સાહન આપી રહી છે. અમરેલીના ચલાલામાં આવી જ એક ઘટના સામે આવી છે. જ્યાં મુસ્લિમ સમાજ દ્વારા એક મસ્જિદનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં હિંદુ સંતો-મહંતોએ હાજરી આપીને શુભેચ્છાઓ પાઠવી હતી. બંને ધર્મના ધર્મગુરુઓની હાજરીમાં મસ્જિદનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણમાં કોમી એકતાનો ભાવ ગુંજી ઉઠ્યો હતો.
ચલાલા શહેરમાં કોમી એકતા અને ભાઈચારાની ભાવનાઓ ફરી એકવાર ઉજાગર થઈ. ચલાલા જુમ્મા મસ્જીદના ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ સમુદાયના ધર્મગુરુઓની એકસાથે હાજરીએ સૌરાષ્ટ્રભરમાં કોમી એકતાની એક અનોખી અને પ્રેરણાદાયી મિસાલ સ્થાપિત કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં બજરંગદળે બે મુસ્લિમ યુવકોને ઢોર માર માર્યો
આ પ્રસંગે સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ દાનેવ ધામના મહંત શ્રી વલકું બાપુ (સંત વલકુબાપુ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે મુસ્લિમ ધર્મગુરુ મૌલવી શબ્બીરબાપુ કાદરી પણ હાજર રહ્યા હતા. બંને ધર્મગુરુઓની હાજરીમાં જુમ્મા મસ્જીદનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણમાં કોમી એકતાનો ભાવ ગુંજી ઉઠ્યો હતો.

આ મસ્જીદના ઉદ્ઘાટન દરમિયાન “યા હુસૈન” અને “જય દાન મહારાજ”ના નાદ એકસાથે સંભળાયા હતા. જેણે હિન્દુ–મુસ્લિમ એકતાના સુંદર દ્રશ્યો સર્જ્યા હતા, જેણે ઉપસ્થિત જનસમૂહને ભાવવિભોર કરી દીધો હતો. મૌલવી શબ્બીરબાપુ કાદરીએ દાનેવ ધામના મહંત શ્રી વલકું બાપુનું અદકેરું સન્માન કરી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું હતું.
આ કાર્યક્રમને સંબોધન કરતા મહંત વલકું બાપુએ કહ્યું હતું કે, “ધર્મ માનવતાને જોડવાનો માર્ગ છે, તોડવાનો નહીં. હિન્દુ–મુસ્લિમ એકતા જ આપણા દેશની સાચી તાકાત છે.” તેમણે તમામ લોકોને પ્રેમ, શાંતિ અને ભાઈચારાની ભાવનાઓ સાથે રહેવાનો સંદેશ આપ્યો હતો. તે સાથે મૌલવી શબ્બીરબાપુ કાદરીએ પણ સમાજમાં એકતા, સદભાવ અને પરસ્પર આદર જળવાઈ રહે તેવા આશીર્વાદ અને દુઆઓ પાઠવી હતી.
આ પણ વાંચો: ઉન્નાવ રેપ કેસના આરોપી કુલદીપ સેંગરની સજા રદ નહીં કરાય
ઉલ્લેખનીય છે કે, ચલાલા શહેરમાં વર્ષોથી કોમી એકલાસ અને સદભાવનાની પરંપરા રહી છે. અહીં હિન્દુ અને મુસ્લિમ સમાજ એકબીજાના તહેવારો વર્ષોથી સાથે મળીને ઉજવે છે. જુમ્મા મસ્જિદના ઉદ્ઘાટન પ્રસંગે પણ આ જ પરંપરાનો સુંદર પરિચય જોવા મળ્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન બંને સમાજના આગેવાનો, સ્થાનિકો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં કોમી એકતા, ભાઈચારો અને સૌહાર્દની ભાવનાઓ સ્પષ્ટપણે જોવા મળી હતી. હિન્દુ અને મુસ્લિમ ધર્મગુરુઓના મિલનના દ્રશ્યોએ સમાજને એકતા અને શાંતિનો મજબૂત સંદેશ આપ્યો હતો.
આ પણ વાંચો: મુસ્લિમ યુવકે 24 વર્ષ જેલ ભોગવી, હવે નિર્દોષ છૂટ્યો, જવાબદાર કોણ?











