દલિત સગીરાને ખેતરની ઓરડીમાં ગોંધી આખી રાત દુષ્કર્મ આચર્યું

દલિત સગીરાને આરોપીએ આખી રાત ખેતરની ઓરડીમાં પુરી રાખી દુષ્કર્મ ગુજાર્યું. પિતાએ સવારે પહોંચીને સગીરાને છોડાવી. પોક્સો-એટ્રોસિટીનો કેસ નોંધાયો.
Dalit minor raped

દેશના અલગ અલગ ભાગોમાં દલિતો પર અત્યાચારની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. ખાસ કરીને ભાજપશાસિત રાજ્યોમાં દલિતો, આદિવાસીઓ અને ઓબીસી સમાજ પર કથિત સવર્ણો દ્વારા ખૂલ્લેઆમ હુમલાઓ થાય છે, તેમ છતાં સવર્ણ હિંદુઓની તરફદાર સરકાર આરોપીઓ પર સમયસર કાર્યવાહી કરતી નથી, પોલીસ સ્ટેશનમાં પોલીસ એટ્રોસિટી એક્ટની ફરિયાદ નોંધવામાં મોડું કરીને આરોપીઓને છાવરે છે. જેના કારણે દલિતોની હિંમત ખૂટી જાય છે. આવી જ એક ઘટના મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના આલમપુરમાં બની છે. અહીં રવિવારની રાત્રે જ્યારે આખું ગામ શાંતિથી ઊંઘી રહ્યું હતું, ત્યારે એક 17 વર્ષીય દલિત કિશોરી નરાધમની હેવાનિયતનો શિકાર બની રહી હતી.

મામલો શું હતો?

પીડિતા દ્વારા પોલીસમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, આરોપી વિષ્ણુ મહંતે રવિવારે રાત્રે આશરે 8 વાગ્યા આસપાસ સગીરાને ફોન કરીને છત્રીબાગ વિસ્તારમાં મળવા માટે બોલાવી હતી. સગીરા જ્યારે ત્યાં પહોંચી ત્યારે આરોપીએ પોતાની અસલિયત બતાવી તેને ડરાવી-ધમકાવી હતી. આરોપી તેને બળજબરીપૂર્વક ખેતરમાં બનેલી પોતાની એક કોઠી (ઓરડી)માં લઈ ગયો હતો. ત્યાં નરાધમે સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ સગીરાને આખી રાતે પોતાના ખેતરની ઓરડીમાં પુરીને વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેનાથી સગીરા હતપ્રભ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: ‘ન્યાયતંત્રમાં હાલ ઈમરજન્સી કરતા પણ ખરાબ સ્થિતિ છે’ – યતીન ઓઝા

સગીરાના પિતા આખી રાત દીકરીને શોધવા ભટકતા રહ્યાં

બીજી તરફ, દીકરી રાત્રે ઘરે ન પરતા પરિવારના જીવ અધ્ધર થઈ ગયા હતા. પિતા અને સંબંધીઓએ આખી રાત ગામ અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી હતી. સોમવારે વહેલી સવારે જ્યારે પિતા શોધતા શોધતા ખેતર તરફ પહોંચ્યા, ત્યારે તેમને કોઈકનો અવાદ સંભળાયો હતો. પિતા નજીકમાં હોવાની જાણ થતા જ કોઠીમાં પુરાયેલી સગીરાએ પોતાની પૂરી તાકાત લગાવીને બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. પુત્રીનો કરુણ અવાજ સાંભળી પિતા તરત ઓરડીના દરવાજા પાસે પહોંચ્યા હતા અને અંદર પુત્રીને અત્યંત ગંભીર અને બદતર હાલતમાં જોઈ તેમનું કાળજું ચિરાઈ ગયું હતું. પિતાએ દીકરીને નરાધમના ચુંગાલમાંથી મુક્ત કરાવી અને તુરંત તેને આલમપુર પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

Dalit minor raped

પોલીસે ફરિયાદ નોંધવામાં 24 કલાક કાઢી નાખ્યા

આ ગંભીર કિસ્સામાં વહીવટી તંત્રની એક મોટી ખામી પણ ઉજાગર થઈ છે. પીડિતા અને તેના પિતા સોમવારે સવારે જ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા, પરંતુ તેમની FIR નોંધવામાં 24 કલાકથી વધુનો સમય લાગ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે લહાર તાલુકામાં કોઈ મહિલા પોલીસ અધિકારી તૈનાત નહોતી. સુપ્રીમ કોર્ટ અને કાયદાના નિયમ મુજબ મહિલા સંબંધી ગંભીર અપરાધોમાં મહિલા અધિકારીની હાજરી અને તેની સમક્ષ નિવેદન અનિવાર્ય છે. આ કારણોસર, છેક ભીંડ જિલ્લા મથકેથી મહિલા પોલીસ અધિકારીને બોલાવવામાં આવ્યા હતા. છેવટે મંગળવારે વિધિવત રીતે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આ વિલંબને કારણે સ્થાનિક દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: ‘પહેલા પ્રેમમાં પડે, પછી વહેમમાં પડે અને છેલ્લે ડેમમાં પડે…’

આરોપી વિરુદ્ધ કડક કલમો હેઠળ ગુનો દાખલ

આલમપુર પોલીસ સ્ટેશનના પ્રભારી રવિ ઉપાધ્યાયે માહિતી આપતા જણાવ્યું હતું કે, પીડિતાના નિવેદન અને મેડિકલ રિપોર્ટના આધારે આરોપી વિષ્ણુ મહંત વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૬૪(૧) (દુષ્કર્મ), ૩૫૧(૩) (ગુનાહિત ધમકી) તેમજ પોક્સો (POCSO) એક્ટની કડક કલમો અને એસસી-એસટી (SC-ST) અત્યાચાર નિવારણ ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આરોપી વિષ્ણુ મહંત ફરાર થઈ ગયો

હાલમાં આરોપી વિષ્ણુ મહંત પોલીસ પકડથી દૂર છે અને ફરાર થઈ ગયો છે. પોલીસની અલગ-અલગ ત્રણ ટીમો બનાવવામાં આવી છે જે આરોપીના સંભવિત ઠેકાણાઓ અને સંબંધીઓના ઘરે દરોડા પાડી રહી છે. સામાજિક સંગઠનોએ માંગ કરી છે કે આરોપીની તુરંત ધરપકડ કરવામાં આવે અને આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીને પીડિતાને ન્યાય અપાવવામાં આવે. આ ઘટનાએ ફરી એકવાર દીકરીઓની સુરક્ષા અને અંતરિયાળ વિસ્તારોમાં દલિતો પર થતા અત્યાચારોને લઈને ચિંતા ઉભી કરી છે.

આ પણ વાંચો: ‘જો તારા હાથનું રાંધેલું ખાઈએ તો અમારા ભગવાન શ્રાપ આપે!’

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Soma parmar
Soma parmar
18 hours ago

Hindu jatankvadi ko fanshi do

તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
1
0
Would love your thoughts, please comment.x
()
x