ભારતમાં બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર અને તેમના સિદ્ધાંતોનું મહત્વ દિન-પ્રતિદિન વધતું જઈ રહ્યું છે. જેના કારણે જાતિવાદી તત્વોના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે. પરિણામે તેઓ સિમ્બોલ ઓફ નોલેજ ડો.આંબેડકરની પ્રતિભાને સતત નીચું દેખાડવા પ્રયત્નો કરતા રહે છે. આવી જ એક ઘટના જાતિવાદનો ગઢ ગણાતા ઉત્તર પ્રદેશમાંથી સામે આવી છે.
અહીંના હરદોઈ જિલ્લાના સવાયજપુર તાલુકાના સિલવારી ગામમાં બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને અસામાજિક તત્વો દ્વારા બળજબરીપૂર્વક ઉખેડી નાખીને ગાયબ કરી દેવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકના દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. ગ્રામજનોએ ગામના જ કેટલાક માથાભારે તત્વો પર પ્રતિમાની ચોરી કરવાનો અને વિરોધ કરનારાઓને જાતિસૂચક અપશબ્દો કહી અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગંભીર આરોપો લગાવ્યો છે.

આ પણ વાંચો: જેને પિતાએ ‘કલંક’ કહ્યો તે છોકરો કેવી રીતે ઉત્ક્રાંતિવાદનો જિનિયસ બન્યો
મામલો શું હતો
સિલવારી ગામના રહેવાસી મિલેન્દ્ર કુમાર, જવાહર, અંકિત અને અન્ય ગ્રામીણોએ આ મામલે સત્તાવાળાઓને લેખિત ફરિયાદ કરી છે. તેમના જણાવ્યા અનુસાર, ગામમાં આવેલી ગ્રામ સમાજની જમીન પર છેલ્લા ઘણા દાયકાઓથી એક આંબેડકર પાર્ક સ્થાપિત થયેલો છે. આ જગ્યા માત્ર મૌખિક રીતે જ નહીં, પરંતુ સરકારી મહેસૂલ રેકોર્ડમાં પણ પાર્ક તરીકે નોંધાયેલી છે. ગામનો દલિત સમાજ વર્ષોથી આ જગ્યાએ એક નાનો ચબૂતરો બનાવીને ત્યાં સામાજિક કાર્યક્રમો કરતો આવ્યો છે.

ગ્રામજનોની લાંબા સમયની ઈચ્છા હતી કે અહીં બાબાસાહેબની એક ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવે. આ માટે ગામના ગરીબ દલિતોએ પોતપોતાની ક્ષમતા મુજબ આર્થિક ફાળો એકઠો કર્યો હતો. પૂરતી વ્યવસ્થા થયા બાદ, ગત 19 ફેબ્રુઆરી 2026ના રોજ ગ્રામજનોએ ભારે ઉત્સાહ સાથે ડૉ. આંબેડકરની પ્રતિમાની સ્થાપના કરી હતી. જોકે, આ ખુશીનો માહોલ લાંબો સમય ટકી શક્યો નહીં.
રાતના અંધારામાં જાતિવાદી તત્વોનું કાયરતાપૂર્ણ કૃત્ય
આ પણ વાંચો: Dr.Ambedkar શા માટે RSS પર પ્રતિબંધની તરફેણમાં હતા?
ફરિયાદ મુજબ, પ્રતિમાની સ્થાપનાના ગણતરીના કલાકોમાં જ ગામના કેટલાક માથાભારે જાતિવાદી તત્વો સક્રિય થઈ ગયા હતા. આરોપ છે કે રાત્રિના સમયે આ ગુંડાઓએ ગેરકાયદેસર રીતે પાર્કમાં પ્રવેશ કર્યો અને લોખંડના હથિયારો વડે પ્રતિમાને પાયામાંથી ઉખેડી નાખી હતી. આટલેથી ન અટકતા, તેઓ આ પ્રતિમાને પોતાની સાથે લઈ ગયા અને ક્યાંક છુપાવી દીધી અથવા તો તેનો નાશ કરી દીધો. સવારે જ્યારે દલિતો પાર્કમાં પહોંચ્યા ત્યારે ચબૂતરો ખાલી જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા.
ફરિયાદ કરનારને મારી નાખવાની ધમકી આપી
જ્યારે દલિત સમાજના લોકોએ આ બાબતે તપાસ કરી અને વિરોધ નોંધાવ્યો, ત્યારે આરોપીઓએ અત્યંત ઉદ્ધત વર્તન કર્યું હતું. દલિતોનો આક્ષેપ છે કે આરોપીઓએ તેમને જાહેરમાં જ્ઞાતિસૂચક ગાળો ભાંડી હતી અને અપમાનિત કર્યા હતા. એટલું જ નહીં, જે લોકોએ પોલીસ ફરિયાદ કરવાની વાત કરી, તેમને ઘરમાં ઘૂસીને માર મારવાની અને ગામમાંથી કાયમી ધોરણે હાંકી કાઢવાની ધમકી આપવામાં આવી હતી. આ ભયના કારણે અનેક પરિવારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ફરિયાદ કરાઈ
આ અન્યાય સામે પીડિત પરિવારોએ હાર માન્યા વગર ન્યાયની લડત શરૂ કરી છે. તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપરાંત પ્રદેશના સમાજ કલ્યાણ મંત્રી અસીમ અરુણ, જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) અને હરદોઈના પોલીસ અધિક્ષક (SP) ને સંબોધીને એક વિસ્તૃત પત્ર મોકલ્યો છે. ગ્રામજનોએ માંગ કરી છે કે, આ જઘન્ય કૃત્યમાં સામેલ તમામ આરોપીઓ વિરુદ્ધ તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવે. ગાયબ કરવામાં આવેલી બાબાસાહેબની પ્રતિમાને વહેલી તકે શોધી કાઢવામાં આવે. તે જ સ્થાન પર પૂરા સરકારી સન્માન સાથે ફરીથી પ્રતિમાની સ્થાપના કરવામાં આવે અને પીડિત પરિવારોને પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવે જેથી તેઓ નિર્ભયતાથી રહી શકે.
પોલીસ શું કરી રહી છે?
આ પણ વાંચો: આખા ગામના બ્રાહ્મણો પર એટ્રોસિટીની ફરિયાદ’ થઈ તે હકીકત છે?
આ સંવેદનશીલ મામલે સવાયજપુરના એસડીએમ મયંક કુંડુએ જણાવ્યું હતું કે બાબત તેમના ધ્યાન પર આવી છે અને મહેસૂલ વિભાગ પાસેથી જમીનના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે પોલીસને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી દેવામાં આવી છે. જોકે, સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ અને હરપાલપુરના ક્ષેત્રાધિકારીનો સંપર્ક સાધવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા, જેના કારણે ગ્રામજનોમાં એવી આશંકા છે કે વહીવટી તંત્ર કદાચ આરોપીઓને છાવરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
દલિતોએ 24 કલાકનું એલ્ટિમેટમ આપ્યું
ગામમાં હજુ પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. દલિત સંગઠનોએ ચેતવણી આપી છે કે જો આગામી 24 કલાકમાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે, તો તેઓ જિલ્લા કલેક્ટર કચેરીનો ઘેરાવો કરશે. હાલમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ગામમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે, પરંતુ પ્રતિમા હજુ સુધી મળી ન હોવાથી આક્રોશ યથાવત છે.
આ પણ વાંચો: Grok AI એ દલિતોને મજૂરીકામ સોંપ્યું, સવર્ણોને વહીવટી કામો સોંપ્યા!













