અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીની લંપટલીલા સામે આવી છે. મળતી માહિતી મુજબ સંપ્રદાયના રામ સ્વામી એક મહિલા સાથે રંગેહાથ ઝડપાતા મહિલાના પરિવારજનોએ સ્વામીને બરાબરના ફટકાર્યા હતા. એ પછી સંપ્રદાયે પણ તેમને બહાર કરી દેતા તેઓ હવે ભગવા કપડા ત્યજીને જીન્સ-ટીશર્ટ પહેરીને સંસારી બની ગયા છે. અત્યાર સુધી જે મુખેથી વ્યાસપીઠ પરથી ત્યાગ, વૈરાગ્ય અને પંચવર્તમાન પાળવાની વાતો વહેતી હતી, તે જ રામકૃષ્ણદાસ (રામ સ્વામી) આજે સ્ત્રી મોહ અને કામલીલામાં ફસાયેલા જોવા મળ્યા છે.
વર્ષો સુધી ભક્તોની આસ્થા સાથે રમત રમનાર આ લંપટ સાધુએ અંતે પાપનો ઘડો ભરાતા ભગવા વસ્ત્રો ઉતારી, પેન્ટ-શર્ટ પહેરીને અજ્ઞાત સ્થળે આશરો લેવાની ફરજ પડી છે. જોકે, મંદિર ટ્રસ્ટ આ ઘટનાને ‘સ્વેચ્છિક સંસાર સ્વીકાર’ ગણાવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ પડદા પાછળની વાસ્તવિકતા અત્યંત બિભત્સ અને ચોંકાવનારી છે.

આ પણ વાંચો: બધાં ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છેઃ નિત્યસ્વરૂપદાસજી
હોટેલમાં રંગેહાથ પકડાયા અને ‘મેથીપાક’ મળ્યો
સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, રામ સ્વામી છેલ્લા કેટલાય સમયથી અમદાવાદના બાપુનગરની એક પરિણીત મહિલાના પ્રેમપાશમાં ગળાડૂબ હતા. સાધુના વેષમાં આ શૈતાન મહિલા પાછળ ભક્તોના દાનના લાખો રૂપિયા ઉડાવતો હતો. મોંઘા સ્માર્ટફોન અને કિંમતી ભેટો આપીને મહિલાને પોતાની જાળમાં ફસાવી હતી. જોકે, મહિલાના પરિવારજનોને આ અનૈતિક સંબંધોની ગંધ આવી જતાં તેમણે છટકું ગોઠવ્યું હતું. રામ સ્વામી જ્યારે મહિલા સાથે એક હોટેલમાં રંગરલિયા મનાવવા પહોંચ્યા, ત્યારે પરિવારજનોએ તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, લંપટ સ્વામીને પોરડા સ્વામિનારાયણ મંદિર ખાતે લઈ જઈને પરિવારજનોએ બરાબરનો ‘મેથીપાક’ ચખાડ્યો હતો. આબરૂ બચાવવા માટે અંતે રામ સ્વામીએ ભગવો ત્યાગી સંસારી બનવાનો ઢોંગ રચવો પડ્યો છે.

ભૂતકાળ પણ કલંકિત: અમેરિકાથી વાડજ સુધીની પ્રેમલીલા
રામ સ્વામી માટે આ કોઈ પહેલી ઘટના નથી. આ સાધુ ભગવા વસ્ત્રોની આડમાં છુપાયેલો એક રીઢો ગુનેગાર હોય તેમ જણાય છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અગાઉ અમેરિકામાં કથા કરવા ગયા ત્યારે પણ એક હરિભક્તની પુત્રવધૂ સાથે વાંધાજનક હાલતમાં તેઓ પકડાયા હતા. તે સમયે આચાર્ય અને અન્ય વગદાર લોકોએ સંપ્રદાયની આબરૂ જાળવવા અને હરિભક્તોના આક્રોશથી બચવા મામલો દબાવી દીધો હતો. એટલું જ નહીં, વાડજ વિસ્તારના કૃષ્ણનગર મંદિરની એક યુવતીને પણ રામ સ્વામીએ ‘આઈ લવ યુ’ અને ‘આઈ મિસ યુ’ જેવા મેસેજો કરીને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. વ્યાસપીઠ પર બેસીને ભગવાનની વાતો કરનાર આ સાધુની નજર હંમેશા મહિલાઓ અને યુવતીઓના શરીર પર જ બગડેલી રહેતી હતી.
આ પણ વાંચો: મોરબીના ધૂળકોટમાં સ્વામિનારાયણ મંદિરે ગયેલી દલિત મહિલાને માર પડ્યો
ગુરુ જેવા ચેલા: સંપ્રદાયમાં લંપટોનો રાફડો ફાટ્યો?
સૌથી ગંભીર આક્ષેપ એ છે કે રામ સ્વામીના ગુરુ પોતે પણ અગાઉ સેક્સ સીડી કાંડમાં સંડોવાયેલા હતા. જ્યારે ગુરુ જ કાળા કરતૂતોમાં માહેર હોય, ત્યારે શિષ્યો પણ તે જ માર્ગે ચાલે તે સ્વાભાવિક છે. કાલુપુર સંપ્રદાયમાં નાના પી.પી. સ્વામીના ચેલાઓએ હંમેશા હરિભક્તોની મહિલાઓ પર જ નજર બગાડી છે. ચેતન સ્વામી અને વ્રજ સ્વામી જેવા અનેક સાધુઓના નામ અગાઉ પણ મહિલાઓ સાથેના આડા સંબંધોમાં ઉછળી ચૂક્યા છે. આક્ષેપો મુજબ, આ સાધુઓ મંદિરમાં રહીને અઢળક સંપત્તિ ભેગી કરે છે અને જ્યારે પાપ છાપરે ચડીને પોકારે, ત્યારે રાજીનામું આપીને જલસાથી સાંસારિક જીવન ભોગવવા નીકળી પડે છે.
આચાર્ય પક્ષની નિષ્ક્રિયતા અને છાવરવાની નીતિ
સંપ્રદાયના જાણકારોનું કહેવું છે કે આચાર્ય કૌશલેન્દ્ર પાંડે અને લાલજી પોતે આવા કાંડ કરનારા સાધુઓ સામે કડક પગલાં લેવાને બદલે તેમને છાવરે છે. આચાર્ય અને લાલજી પોતે પણ રંગીન મિજાજના હોવાના આક્ષેપો ઉઠ્યા છે. જે સાચા અને નિષ્ઠાવાન સાધુઓ આ લંપટ લીલા સામે અવાજ ઉઠાવે છે, તેમને સંપ્રદાયમાંથી તગેડી મૂકવામાં આવે છે. લાલજી ખુદ હનીમૂન મનાવવામાં વ્યસ્ત હોવાની ચર્ચાઓ વચ્ચે અંધ ભક્તો ભોજનમાં વ્યસ્ત છે, જેના કારણે ધર્મની આડમાં પાખંડ ફૂલ્યું-ફાલ્યું છે. આ પિતા-પુત્રની જોડીને હવે શરમ જેવું કશું રહ્યું નથી, તેઓ માત્ર સત્તા અને સંપત્તિના જોરે લંપટોને રક્ષણ પૂરું પાડી રહ્યા છે.
આ પણ વાંચો: હું દલિત છું એટલે રામમંદિરના ધજારોહણમાં ન બોલાવ્યો’
આયોજનબદ્ધ પાપનો પર્દાફાશ થયો
રામ સ્વામીને એવો ભ્રમ હતો કે સાધુના વેશમાં તે સુરક્ષિત છે. દિવસે ભક્તિનો દેખાડો કરવો અને રાત્રે સ્ત્રી સુખ માણવું એ તેનું આયોજનબદ્ધ કાવતરું હતું. હરિભક્તોમાં વધતું માનપાન તેને સુરક્ષા કવચ પૂરું પાડતું હતું. જોકે, પાપ લાંબો સમય છુપાતું નથી. જેતલપુરના પી.પી. સ્વામીએ રામ સ્વામીના કરતૂતો બહાર લાવવા માટે જે પ્રયાસો કર્યા તેનાથી આખરે સત્ય સામે આવ્યું છે. કથાની વ્યાસપીઠનો દુરુપયોગ કરીને સ્ત્રીઓને ફસાવનાર આ ‘શૈતાન’ હવે જેલના સળિયા પાછળ હોવો જોઈએ, તેને બદલે તે જીન્સ-ટીશર્ટ પહેરીને ફરાર થઈ ગયો છે.
ધાર્મિક સંસ્થાઓમાં પેસી ગયેલા એ સડાનું પ્રતીક
રામ સ્વામીનો આ કિસ્સો માત્ર એક સાધુનો પતન નથી, પરંતુ ધાર્મિક સંસ્થાઓમાં પેસી ગયેલા એ સડાનું પ્રતીક છે જે સમાજને પોકળ બનાવી રહ્યો છે. સાધુનો ભગવો વસ્ત્ર ત્યાગ અને સંસારનો મોહ એ સાબિત કરે છે કે અંતર મનથી તેઓ ક્યારેય ભગવાનના થયા જ નહોતા. ભક્તોએ હવે અંધશ્રદ્ધાના ચશ્મા ઉતારીને આવા પાખંડીઓને ઓળખવાની જરૂર છે. જે મંદિરમાં સ્ત્રીઓની મર્યાદા જળવાતી નથી અને જ્યાં સાધુઓ કામલીલામાં વ્યસ્ત હોય, ત્યાં પ્રભુ નહીં પણ લંપટતાનો વાસ હોય છે.
સવાલ એ ઊભો થાય છે કે શું કાલુપુર મંદિર ટ્રસ્ટ હવે આ મામલે કોઈ આંતરિક અને પારદર્શક તપાસ કરશે? શું હરિભક્તોની આસ્થા સાથે ચેડાં કરનારા આ સાધુઓ સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે? કે પછી હંમેશની જેમ ‘ગુરુના આશીર્વાદ લઈને છૂટા થયા’નું ગાણું ગાઈને ભ્રષ્ટ આચરણ પર પડદો પાડી દેવાશે? સ્વામિનારાયણ સંપ્રદાયના સાચા સંતો અને ભક્તોએ હવે એક થઈને આ ‘સફેદ વસ્ત્રધારી’ પાખંડીઓ સામે મોરચો માંડવો જ રહ્યો, નહીં તો આવનારા સમયમાં આસ્થાનું આ કેન્દ્ર માત્ર કામલીલાનો અડ્ડો બનીને રહી જશે.
આ પણ વાંચો: ‘હું દલિત હોવાથી સ્વામિનારાયણની દીક્ષા ન આપી!’











