સતલાસણા (મહેસાણા): 21મી સદીના ડિજિટલ યુગમાં પણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં દલિત સમાજ માટે લગ્નનો વરઘોડો કાઢવો એ કોઈ આનંદનો ઉત્સવ નહીં, પરંતુ અસ્તિત્વનો જંગ અને સામાજિક સંઘર્ષ સમાન બની ગયો છે. મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના વાવ ગામે તાજેતરમાં બનેલી એક ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે કાયદો ગમે તેટલો કડક હોય, પરંતુ જાતિવાદી તત્વોની દાદાગીરીની માનસિકતા અને સત્તાનો નશો આજે પણ સક્રિય છે. મહેસાણાના સતલાસણના વાવ ગામે બનેલી આ ઘટના તેનો પુરાવો છે.
મામલો શું હતો?
ઘટનાક્રમની વિગતવાર વાત કરીએ તો, આ વિવાદની શરૂઆત ગત 7 ફેબ્રુઆરીના રોજ થઈ હતી. સતલાસણાની વાવ ચોકડી પર ‘જય અંબે શક્તિ પાર્લર’ ચલાવતા કાનજીભાઈ રણછોડભાઈ સેનમાના ભાણા કિરણકુમારના લગ્ન પ્રસંગે કેશરપુરા ગામે એક વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જે આ ગામના જાતિવાદી ઠાકોરોને ગમ્યું નહોતું. આ વરઘોડાનો ગામના નરેશજી ઠાકોર નામના શખ્સે વીડિયો ઉતાર્યો હતો. અને તેને ગામના ઠાકોરોના એક વોટ્સએપ ગ્રુપમાં મૂકીને દલિત પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાની વાત કરવામાં આવી હતી. એટલું જ નહીં, આ જાતિવાદી શખ્સે કાનજીભાઈને ફોન કરીને આ બાબતે ધમકી પણ આપી હતી. જેથી કાનજીભાઈએ સતલાસણા પોલીસ સ્ટેશનમાં નરેશજી ઠાકોર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટે લેખિત અરજી આપી હતી.

આ પણ વાંચો: ન્યાયની દેવીની આંખે પટ્ટી બાંધેલી છે, પણ ન્યાયાધીશો કેમ પૂર્વગ્રહી?
“હું ભાજપનો પ્રમુખ છું, તારો ધંધો બગાડી નાખીશ…”
નરેશજી ઠાકોર સામે એટ્રોસિટીની ફરિયાદ થયાની જાણ થતા જાતિવાદી તત્વો વધુ ઉશ્કેરાયા હતા અને મામલો થાળે પાડવાને બદલે સત્તાનો દુરુપયોગ શરૂ થયો હતો. ગત 11 માર્ચના રોજ જ્યારે કાનજીભાઈ પોતાની દુકાને રોજબરોજની જેમ હાજર હતા, ત્યારે સરતનપુર (ગઢ) ગામનો વિરેન્દ્રસિંહ લાલસિંહ ચૌહાણ ત્યાં ધસી આવ્યો હતો. તેણે કાનજીભાઈને ધમકાવતા અરજી પાછી ખેંચવા દબાણ કર્યું હતું.
જ્યારે કાનજીભાઈએ ના પાડી, તો તેણે જાતિસૂચક અપશબ્દો કહીને “હું ભાજપનો પ્રમુખ છું, તારો ધંધો બગાડી નાખીશ અને ખોટા કેસમાં ફસાવી દઈશ, પત્તો નહીં લાગે” કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે કાનજીભાઈએ ફરિયાદ નોંધાવી છે.
દલિતોના વરઘોડા સામે જાતિવાદીઓને કેમ બળતરા થાય છે?
આ પણ વાંચો: BJP MLAની ઓફિસ પાસે કોઈ તિરંગામાં દારૂની બોટલો લગાવી ગયું!

અહીં એ યાદ રાખવું જોઈએ કે, ઉત્તર ગુજરાતમાં વરઘોડા રોકવાની, મૂછ રાખવા બદલ હુમલો કરવાની કે સામાજિક બહિષ્કાર કરવાની ઘટનાઓનો ગ્રાફ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. દલિત યુવાનો જ્યારે વરઘોડો કાઢે છે ત્યારે અમુક જાતિવાદી તત્વોને ગમતું નથી. સતલાસણાની આ ઘટનામાં પણ જ્યારે એક સામાન્ય વેપારીએ કાયદાકીય રક્ષણ મેળવવાની કોશિશ કરી, ત્યારે તેને રાજકીય દબાણ હેઠળ દબાવવાનો પ્રયાસ થયો હતો. પોલીસે ગુનો તો નોંધ્યો છે, પરંતુ પીડિત વેપારી હજુ પણ ફફડાટમાં છે.
આ પણ વાંચો: દલિત હોવાના કારણે મહિલાને રિસેપ્શન માટે મેરેજ હોલ ભાડે ન આપ્યો












Aa loko Hindu jatankvadi che ane aatankvadi che tene jail bhega karo